« Older Entries Newer Entries » Subscribe to Latest Posts

21 Feb 2011

અધૂરી

Posted by sapana. 9 Comments

અંદર કાંઇક તૂટ્યું ફૂટ્યું
વરસોથી સાચવી રાખેલ
સ્ત્રીત્વ પળમાં સરકી ગયું
અધૂરી રહી ગઈ એ
ઉદરમાં વણજન્મેલા
બાળકનાં ઉંહકારા
હવે નહીં સંભળાય
હવે વણજન્મેલા એ
બાળકને ઉદર પર
હાથ ફેરવી નહીં સુવાડે
ડોકટરના કાઢેલા
બધાં ફાઈબ્રોઈડસ
અને વણજન્મેલા
બાળકો હવે એક બરણીમાં
બંધ છે.
બરંણી તરફ એકીટશે તાકતી એ
વણજન્મેલાં બાળકોનાં
ઉહકારા સાંભળશે.
સપના વિજાપુરા

16 Feb 2011

વ્હાલું

Posted by sapana. 10 Comments


વ્હાલી વ્હાલી  સંબોધી વ્હાલુ  બોલે છે
શબ્દો મધમાં મારી મારીને  તોલે છે

જાણું  જુઠ્ઠું એ સાચાં જેવું બોલે છે
તો પણ એ  સાંભળતા મન મારું ડોલે છે

ખંજર , કરવત  કે તીર નથી હાથોમા
પણ
આંખોથી હોલે હોલે દિલને છોલે છે


ખામોશીમાં બોલે છે આંખો તોફાની
મેળામાં મારાં ભેદ બધાં એ ખોલે છે

‘સપનાં’માં મારાં સાજન આવે છે  તેથી
આંખો મારી  મદનાં પ્યાલાઓ ઢોળે છે

સપના વિજાપુરા

11 Feb 2011

આબુ

Posted by sapana. 3 Comments



મિત્રો,

આ રચના આબુમાં સનસેટ પોઈન્ટ પર બેસી લખી છે ..આપનાથી દૂર છું પણ શબ્દોથી
નજીક છું.આપણી શબ્દોની સંગત રહેશે..

પૂર્વ માથી અચાનક નીકળેલ
ધીરે ધીરે આસમાનમાં ઊંચે ચડતો
ઇશ્વરનાં હુકમને બઝાવતો
અને ગિરીમાળામાં થઈને
સૂર્યાસ્તનાં સ્થળે પહોંચતો
પાછું વળી વળીને જોતો
વિસ્મયથી વિચારતો હતો
હશે કોઈ સ્વર્ગનો ટુકડો
સ્વર્ગથી છૂટૉ પડ્યો..
ઈશ્વરે હસીને પૂછ્યું
તે સ્વર્ગ જોયું છે કદી?


સપના વિજાપુરા

14 Jan 2011

તે કેટલો સુંદર હશે!!!

Posted by sapana. 11 Comments

અવનિ પુષ્પોથી ભરી તે કેટલો સુંદર હશે!
વ્યોમની એ તો પરી તે કેટલો સુંદર હશે!

વૃક્ષની છાયા નમી વંદન કરે ઈશ્વર તને
પ્રીત પર્ણોથી ઝરી તે કેટલો સુંદર હશે!

ઓસ થી ફૂલો મહેંકે ભાન ભમરા ભૂલતા
કૂમળી કળીઓ ડરી તે કેટલો સુંદર હશે!

આસમાની ચૂંદડી ઓઢી ધરા સોળે સજી
ચાંદની પણ પાથરી તે કેટલો સુંદર હશે!

લાલ પીળાં રંગબેરંગી જો પંખી શોભતા
ગાન લેતા મન હરી તે કેટલો સુંદર હશે!

વૃક્ષ ઊભું છે જટાયુ સમ ઘવાઈ એકલું
કૈં તપસ્યાઓ કરી તે કેટલો સુંદર હશે!

ઘૂઘવાતો ઉદધિ જો ગાય ગાથા શ્રેષ્ઠની
ઓ નદી જા જળ ભરી તે કેટલો સુંદર હશે!

ઝળહળે આકાશ આખું સૂર્ય લાલી માં થકી
સિંદૂરી સંધ્યા સરી તે કેટલો સુંદર હશે!

શબ્દ પુષ્પોનાં કવન ‘સપના’ જશે છોડી અહીં
જિંદગી જેને ધરી તે કેટલો સુંદર હશે!!

સપના વિજાપુરા

9 Jan 2011

અમદાવાદ

Posted by sapana. 5 Comments


મિત્રો આજે અમદાવાદ આવી તો આ અછાંદસ સુઝ્યું..કાંકરીયા તળાવ વિષે એક ઈતિહાસીક બનાવ પણ જાણવાં મળ્યો.
એહમદ શાહ બાદશાહે આ તળાવ બનાવેલ..આ તળાવનું મૂળ નામ ‘હોઝે કુતુબ’ હતું જેનો અર્થ જ્ઞાનનું સરોવર થાય છે.બાદશાહ જહાંગીર અને બેગમ નૂરજહાં અમદાવાદ પધાર્યા અને એમનાં રહેઠાણ માટે નગીનાવાડી બનાવમા આવી એ એકજ રાત રોકાયા હતાં.બેગમ સવારે ચાલવા નીકળ્યાં તો રસ્તામા કાંકરા ખૂબ હતાં ..બેગમે હસીને કહ્યુ કે અહીં ખૂબ કાંકરા છે તો હોઝે કુતુબનું લાડકવાયું નામ પડ્યુ..કાંકરિયા.આ મહિતી’ગુજરાતની તમદ્દુની તવારીખ”માંથી પ્રાપ્ત થઈ છે…કાંકરિયા તળાવ વઝુ કરવા માટે બનાવામાં આવેલ ..લોકો વઝુ કરીને પાછળ જે ઇદગાહ છે ત્યાં નમાઝ પડવા જતાં.

અઝાનની અવાજો

મંદિરનો ઘંટારવ

શીદીસૈયદની જાળીને

કાંકરિયાની પાળ

રીક્ષાઓની વણજાર

અજાણ્યા ચહેરા

અજાણ્યો સંસાર

સાબરમતી વિશાળ

એક બાદશાહે સપનું જોયું ને

બની ગયુ અમદાવાદ..

‘સપના’નું રળિયામણું ગામ.

સપના વિજાપુરા

28 Dec 2010

હોય છે

Posted by sapana. 11 Comments


મિત્રો,
આપ સર્વને નવા વર્ષની શુભકામના…

આજે એક ગઝલ મારાં બ્લોગમાં મૂકું છું..આ ગઝલ હું મારાં બ્લોગનાં મિત્રોને અર્પણ  કરું છું. આશા રાખું કે આપને  ગમશે..આ સાથે થોડાં સમય માટે હું ભારતનાં પ્રવાસે જાઉં છું.હું પૂરતાં પ્રયત્ન કરીશ કે ત્યાંથી પણ મારો બ્લોગ અપડેઈટ કરું અને મારાં મનમાં આવેલી ભાવના અને સ્ફુરણા આપની સમક્ષ રજુ કરું ..આપની પાસે દુઆની ગુજારીશ છે..સપના

દુખમાં જે સાથ દેતા હોય છે
એજ દોસ્તીને સમજતાં હોય છે
બેવફાઈ તો છે કરનારા ઘણાં
હા, વફા કરનાર થોડાં હોય છે

દુખ સ્વજનથી જ મળતાં હોય છે
ક્યા હ્રદય  પરજન રહેતાં હોય છે

ઓસથી ન્હાતાં બધા ફૂલો જુઓ
હર્ષથી એ પણ તો રડતા હોય છે
 
ચાંદ જોઈને સતત રડતા ચકોર
ચન્દ્રમાંને ક્યાં એ મળતા હોય છે
 
ભાગ્યમાં શું છે થવાનું શી ખબર?
હોંશથી વર, ઘોડી ચડતા હોય છે

ભોળપણનો લાભ ઊઠાવે છે જે

એમનાં દિલ ખૂબ ડસતા હોય છે
મૌનની ભાષા સમજતો પણ નથી
બંધ આંખે દિલેય ગળતા હોય છે
રોજ સપના જોઉં છું હું એટલે
એ હકીકતમાં બદલતાં હોય છે

હોય મક્તામા ભલે સપના રડી
આ ગઝલ વાંચી તે હસતા હોય છે

સપના વિજાપુરા

22 Dec 2010

મોક્ષ

Posted by sapana. 10 Comments


મુક્ત થયું મન

આકાશ તરફ ઊડ્યું મન

એકજ માર્ગ છે મુક્તીનો મોક્ષનો

લવ લગાઉં હું તારાં પર

હું આવરણો ઉતારું મોહનાં

અને ઝંઝાળો દુનિયાની ત્યાગું

બંધનો બધાં તોડું

એક પંખીની જેમ ઊડું નિલગગનમાં

હાડ માંસમાં અટવાયેલું મન

પંખી બની ઊડી જાય

નથી થાક નથી દર્દ

નથી તૂટેલા શરીરનો કારાવાસ

એ મન ઊડ્યું આકાશ..

સપના હવે શરીર નથી

એ છે ફકત આત્મા

ચાલ્યો પરમાત્મા વિલીન થવા

સપના  વિજાપુરા

17 Dec 2010

આશુરા

Posted by sapana. 15 Comments


મિત્રો,
આજે હું આપને ટૂંકમા 1400 વરસ પહેલાં બનેલા એક દુ:ખદાયી પ્રસંગની માહિતી આપીશ..

1400 વર્ષ પહેલાં ઇમામ હુસૈન.(અ.સ)ને તથા એમનાં ખાનદાનનાં કેટલાક સભ્યોને દુ:ખદાયી રીતે શહીદ કરવામાં આવેલા.ફકત એટલાં માટે કે તેમણે  સત્ય ,ન્યાય અને શાંતિને સ્થાપવાની કોશિશ કરી.
ઈમામ હુસૈન અ.સ પયગંબર મહમદ અ.સ ના નવાસા હતા.અને ઇમામતનાં ત્રીજા ઇમામ હતાં.  જુલ્મી શાસકોએ  ઇમામ અ.સ ને ત્રાસ આપવામાં બાકી ના રાખ્યું. યજીદ જે મઆવિયાનો દિકરો હતો. જુલ્મી શરાબી અને સત્તાનો દિવાનો હતો. તે સતત ઇમામ હુસૈનને હુકુમત થકી ત્રાસ આપતો હતો. તેણે ઇમામ હુસૈનને બયત કરવા આમંત્રણ આપ્યું. બયત કબુલ કરવી  એટલે એની મરજી પ્રમાણે ના જુલ્મી, અન્યાયી અને ભ્રષ્ટાચારી શાસનનો સ્વીકાર. પણ ઇમામ હુસૈનને એ મજૂર ન હતું.
યજીદે ઇમામ હુસૈનને કરાર કરવા માટે  મહેમાન તરીકે  બોલાવ્યા. ઇમામ હુસૈન પોતાનાં કુટુંબ કબીલા સાથે કરબલા જવા નીકળ્યા. યજીદ સાથે  વાતચીત કરવાં ગયા. એ જમાનામાં ઊંટો પર મુસાફરી થતી હતી. ઈમામ હુસૈન બીજી મહોરર્મએ(ઇસલામીક કેલેન્ડરનો પહેલો મહિનો ) કરબલા પહોચ્યાં અને યજીદના મહેમાન બનવાને બદલે એનાં લશ્કરે ઇમામ હુસૈનને ઘેરી વળ્યા.

યજીદે ફરમાન કર્યુ કે જો ઇમામ હુસૈન મારી બયત કબુલ ના કરે તો એમનુ સર ઉડાવી દો અને મારી પાસે લાવો. ઇમામ હુસૈન જો બયત કરે તો  મહમદ પયગંબરનો સાચો સંદેશો લોકો સુધી ના પહોચત. ઇમામ હુસૈન બયત કરવાં ના કહી અને લડાઈની તૈયારી ચાલુ થઈ. યજીદનું લશ્કર ૪૦,૦૦૦ થી એક  લાખ સૈનિકોનું હતું એવું ઠોસદાર સબૂત સાથે માનવામાં આવે છે.   ઇમામ હુસૈન પાસે કુલ મળીને ૧૩૦ સૈનિકો હતાં. જેમા ૧૦ વરસના બાળકોથી માંડીને ૯૦ વરસના વૃદ્ધ પણ હતાં. આ હતું ઇમામ હુસૈનનુ લશ્કર.

સાતમી મહોરર્મથી યજીદે ઇમામ અને એમના સાથીઓ  ઉપર પાણી બંધ કર્યુ. ઇમામના સૌથી નાનાં પુત્ર અલી અસગર છ મહીનાના હતા જે એમની સાથે હતા. જેઓ પાણી વગર અને ખોરાક વગર ત્રણ દિવસ રહ્યા. આ લશ્કર સચ્ચાઈ માટે અને હક માટે લડવા તૈયાર હતું. ભૂખ્યુ ને તરસ્યું. ! આ યુધ્ધમાં શહાદત  નક્કી હતી..પણ ઇમામને એ મંજૂર હતું પણ શરાબી અને ભ્રષ્ટાચારીના હાથમાં ઇસ્લામની બાગડોર સોપવી એ મંજૂર ન હતું.

દસમી મહોરર્મ આવી . આશુરા! સવારનો સૂરજ ઉગ્યો. આવી સવાર પહેલાં ક્યારેય ઉગી નથી અને કદી  ઉગશે પણ નહી. આ  જંગ હતી અસત્યની સામે સત્યની, અન્યાયની સામે ન્યાયની ભ્રષ્ટાચારની સામે પ્રમાણીકતાની અને જુલમની સામે દયા અને સબરની. સવારની અઝાન થઈ. ફઝરની અને ઝોહરની નમાઝ સુધીમાં ઇમામનાં સાથીદારો જેની સંખ્યા પચાસ ગણવામાં આવે છે શહીદ થઈ ગયા. આ બધાં ભૂખ્યાં ને તરસ્યાં શહીદ થયા. ઝોહરની નમાઝ બાદ ઘરનાં બધાં પુરુષો  જેમાં  ભાઈ,ભાણિયા, ભત્રીજાઓ  પુત્રો તથા મિત્રો શહીદ થયા. અંતમાં ઇમામ હુસૈન એકલા રહી ગયા. 57 વર્ષના ઇમામ બહાદૂરીથી લડ્યા પણ જાલીમોએ એમને તીરોથી છલની કરી નાખ્યા. અને ગરદન પર ખંજર ચલાવી એમના મસ્તકને ધડથી જુદું કરી દીધું. આમ દરેક શહીદના મસ્તકને ધડથી અલગ કરી નેજા પર લટકાવવવામાં આવ્યા.

આશુરાનો દિવસ પૂરો થયો. કરબલાના રણની તપતી જમીન ઉપર મહમદ સ.અ. ના ખાનદાનની લાશો રઝળતી રહી કફન વિના! સૂરજ આથમી ગયો. સૈનિકો તંબુઓ તરફ ધસી ગયા. સ્ત્રીઓનાં દુપટા ખેંચી લીધાં અને તંબુઓમાં આગ ચાંપી.

ઇમામ હુસૈનનો સંદેશ હતો કે અસત્ય અને અન્યાય સામે ઝૂકવું નહી. આતંકવાદનો વિરોધ કરવો.ચાહે તેની કિંમત જિંદગીથી પણ ચૂકવવી  પડે. અંતમા સત્યનો હમેશા વિજય થાય છે એનો આ એક ઉમદા દાખલો છે કે ઇમામ હુસૈનના રોઝા ઉપર લાખોની સંખ્યામા દુનિયાભરના  લોકો દર્શન(ઝિયારત) કરવા કરબલા(ઈરાક) જાય છે. જ્યારે એ જમાનાની અરબસ્તાનની સલ્તનનના  ગવર્નર યઝીદનું  કોઇ નામ નિશાન નથી. આમ છતાં કેટલીક જગ્યાએ આજના જમાનામાં યજીદ જેવા આતંકવાદીઓ ઇસ્લામને બદનામ કરી રહ્યા છે એ દુ:ખદ વાત છે.

આશુરા=૧૦ મો દિવસ અહીં દસમો દિવસ મોહરર્મ મહીનાનૉ દસમો દિવસ

નવાસા = દોહિત્ર= મહમદ સ.અ ના દીકરીનાં દીકરા

બયત કબુલ કરવી=એની મરજી પ્રમાણે ચાલવું

સત્યમેવ જયતે..

નીચે ભારતના મહાનુભાવો ઇમામ હુસૈન વિષે કહે છે ..

મહાત્મા ગાંધીજી કહે છે ” અન્યાય થતો હોય છતાં જીત કેવી રીતે મેળવવી એ હુસૈન પાસેથી શીખ્યો છું. ” ઇસ્લામ તલવારથી નહીં પણ હુસૈનનની કુરબાનીથી વિકાસ પામ્યો છે.

જવાહરલાલ નેહરુ: “ઇમામ હુસૈન (અ.સ.)નું બલિદાન તમામ જૂથો અને સમુદાયો માટે છે, જે સચ્ચાઈના માર્ગનું ઉદાહરણ છે.”

રવીન્દ્રનાથ ટાગોર: “ન્યાય અને સત્યને જીવંત રાખવા માટે, લશ્કર અથવા શસ્ત્રોને બદલે, જીવનની કુરબાની આપીને સફળતા પ્રાપ્ત કરી શકાય છે, બરાબર તે જ ઇમામ હુસૈન (અ.સ.)એ કર્યું હતું.

ડૉ. રાજેંદ્ર પ્રસાદ “ઇમામ હુસૈન (અ.સ.)નું બલિદાન માત્ર દેશ કે રાષ્ટ્ર પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર માનવજાતના ભાઈચારાની વારસાગત સ્થિતિ છે.”

ડૉ . રાધાક્રિષ્નન : જો કે ઇમામ હુસૈન (અ.સ.) એ લગભગ 1300 વર્ષ પહેલા પોતાનો જીવ આપ્યો હતો, પરંતુ તેમનો અવિનાશી આત્મા આજે પણ લોકોના હૃદય પર રાજ કરે છે.”

સ્વામી શંકરાચાર્ય : “હુસૈન (અ.સ.)ની કુરબાનીએ જ ઇસ્લામને જીવંત રાખ્યો છે નહીંતર આ દુનિયામાં ઇસ્લામનું નામ લેનારું કોઇ બચશે નહીં.

શ્રીમતી સરોજિની નાયડુ : “હું મુસ્લિમોને અભિનંદન આપું છું કે તેમની વચ્ચેથી, હુસૈન (અ.સ.) એક મહાન માનવીનો જન્મ થયો, જેને તમામ સમુદાયો દ્વારા સંપૂર્ણ રીતે પુનરાવર્તિત અને સન્માનિત કરવામાં આવે છે.

સપના વિજાપુરા

12 Dec 2010

દિલ

Posted by sapana. 10 Comments


અમે ખૂબ મારી દબાવ્યું છે દિલ
સતત આજ રીતે રડાવ્યું છે દિલ

હુલાવી અણી સોયની તે પછી
વળે કળ હવે ક્યાં? ઘવા્યું છે દિલ

મળી બેવફાઇ કરી જો વફા
વફાનાં બહાને મનાવ્યું છે દિલ

જમાના જુલમ ના હવે કર વધુ
ઘણું આજ તક તેં સતાવ્યું છે દિલ

હતી જંગ દિલને દિમાંગો વચે
દિમાગે તો અંતે હરાવ્યું છે દિલ

ભરાયે નયનમાં અશ્રુઓ ક્દી
મનોહર છબીએ હસાવ્યું છે દિલ

કરો આમ ને  તેમ પણ ના કરો
સો સો તીર મારી  વિંધાવ્યુ છે  દિલ

જહન્નમી કહેનાર જોતા રહી ગયાં
ખુદાએ હસીને વધાવ્યું છે દિલ

હતી  આમ તો વાત  નાની છતાં
ફરી ને ફરી તે તપાવ્યું છે દિલ

તબીબો તો થાકી ગયાં છે હવે
અરે નામ કોનું મઢાવ્યું છે દિલ

બતાવ્યા છે આંખો ને ‘સપનાં’ ઘણાં
ન એકેય સાચું ઠરાવ્યું છે દિલ

સપના વિજાપુરા

મિત્રો,

આજે આ ગઝલ સાથે એક રેડિઓ સ્ટેશનની લિન્ક આપું છું..જેની મુલાકાત જરૂર લેશો..આપણાં સર્વનાં માનીતાં શ્રી વિજયભાઈ શાહ જેનાં મુખ્ય અતિથિ બન્યા હતા ..તેઓ ગુજરાતી ભાષાને જીવંત રાખવા તન તોડ મહેનત કરે છે..આ પ્રોગ્રામમાં આપ મારી તથા ભરતભાઈ દેસાઈની ગઝલનું પઠન પણ સાંભળી શકશો..આપ સર્વને અમારું હાર્દિક આમંત્રણ છે..

આપની મિત્ર સપના

http://www.rangilogujarat.com/

27 Nov 2010

ફરું છું

Posted by sapana. 13 Comments


કફનના વિના લાશ લઈને ફરૂ છું
નથી શ્વાસ ઉચ્છવાસ લઈને ફરૂં છું

સતત ત્રાસ દેનાર જુલ્મી સમાજો
રિવાજો તણો પાશ લઈને ફરૂ છું

હતો શોખ તો આટલો જિંદગીનો
હું એનો જ પરિહાસ લઈને ફરું છું

અગનની પછેડી બદન પર લપેટું
હવાનું હું આકાશ લઈને ફરું છું

ચમન તો  સુકાઈ ગયો છે પહેલાં
હું વેરાનમાં આશ લઈને ફરૂ છું

વફાઓ બધી બેવફાઈ બની ગૈ
હું તો પ્રેમ ઉપહાસ લઈને ફરું છું

ખુદા છો રહે તવ ખુદાઈ સલામત
હું પણ એક ઇતિહાસ લઈને ફરું છું

કબ્રસ્તાન ‘સપનાં’ તણુ છે હ્રદયમાં
હું સપનાં, ઘણી લાશ લઈને ફરું છું

સપના વિજાપુરા