« Older Entries Subscribe to Latest Posts

2 Mar 2024

દુપટ્ટો

Posted by sapana. No Comments

આભાર પ્રદીપભાઈ! ન્યુઝ ઓફ ગાંધીનગરમાં મારો આસ્વાદ લેવા માટે!

હરખથી ડાળ પર થઈ પારણું ઝૂલ્યો દુપટ્ટો
પરંતુ બાળ પોઢ્યા બાદ, ના પોઢ્યો દુપટ્ટો

હતો જો મુક્ત તો પણ કેમ ના ઊડ્યો દુપટ્ટો?
નવાઈ છે, તમે સાંકળ વગર બાંધ્યો દુપટ્ટો!

મસોતું થઈને પણ છૂટી નથી એ ટેવ જૂની
કિનારી આંખની લૂછવા થયો તરસ્યો દુપટ્ટો

બદામી, ભૂખરી, કાળી કે કથ્થઈ, આસમાની
કઈ છે આંખ કે જેણે નથી ભેદ્યો દુપટ્ટો?

અરીસો કોઈ કારણથી બહુ ભેદી હસ્યો’તો
રમતમાં બાળકીએ બે ઘડી વીંટ્યો દુપટ્ટો

કરી બાધા કે નવસો ને નવાણું ચીર ઊગે ત્યાં
પીડિતાએ લીરા ભેગા કરી વાવ્યો દુપટ્ટો

હવે તો પ્રાણ સાથે દેહથી છૂટે તો છૂટે
બળેલી છાતીને એ રીતથી વળગ્યો દુપટ્ટો

મલાજો રાખવા માટે વડીલોની નજરનો
વિચારી જો કદી, કે કેમ પહેરાવ્યો દુપટ્ટો?

કોઈ આવીને ખોલી કાઢશે પંખાથી હમણાં
લદાયેલા વજનથી આમ તો છૂટ્યો દુપટ્ટો

લિપિ ઓઝા

“આપણું આંગણું” બ્લોગ જે દાવડા સાહેબનો હતો અને હવે મારી મિત્ર જયશ્રી મરચંટ અને કવિ શ્રી હિતેન આનંદપરા ચલાવે છે. સાહિત્યના દરિયામાં ડૂબકી મારી નવી અદભૂત રચનાઓ પીરસે છે. કવયિત્રી લિપિ ઓઝાની આ ગઝલ મને ત્યાંથી મળી લિપિ ઓઝા અદભુત હ્ર્દયસ્પર્શી ગઝલ આપે છે. અમદાવાદ નિવાસી છે અને એમનું વતન ભાવનગર છે. કવયિત્રી લિપિ ઓઝા એક સંચાલક તરીકે પણ કામ કરે છે. સંગીતના કાર્યક્રમ, કોન્સર્ટ ,ગવર્મેન્ટ ફંક્શન તેમજ લાઈવ ટીવી કાર્યક્રમ પણ આપે છે.

હરખથી ડાળ પર થઈ પારણું ઝૂલ્યો દુપટ્ટો પ
રંતુ બાળ પોઢ્યા બાદ, ના પોઢ્યો દુપટ્ટો

દુપટ્ટો રદીફ લઈને કવયિત્રી લિપિ ઓઝાએ નવ ચોટદાર શેર આપ્યા છે. સ્ત્રીની મર્યાદા એક દુપટ્ટામાં રહેલી છે. પણ એ દુપટ્ટાનો ઉપયોગ ફક્ત માથું ઢાંકવા કે પોતાની લાજ બચાવવા માટે નથી. આ નવ શેર ઘડીભર તમને વિચાર કરતા મૂકી દે છે. કોઈ ગરીબ સ્ત્રી જ્યારે દાડીએ જાય છે ત્યારે પોતાના બાળકને સાથે લઇ જાય છે. અને જ્યારે દાડીએ પહોંચે છે ત્યારે એ કોઈ એક ઝાડની ડાળ પર પોતાના દુપટ્ટાનું પારણું બનાવી નાના બાળને સુવાડે છે પણ બાળ સુઈ જાય તોયે દુપટ્ટો સુઈ શકે છે? ના એ દુપટ્ટા પર જવાબદારી છે એ બાળની સંભાળ રાખવાની અને ખેતરમાં કામ કરતી એ દુપટ્ટાની માલિકને ખરાબ નજરોથી બચાવવાની . પછી ક્યાંથી એ દુપટ્ટો સુઈ શકે?

હતો જો મુક્ત તો પણ કેમ ના ઊડ્યો દુપટ્ટો?
નવાઈ છે, તમે સાંકળ વગર બાંધ્યો દુપટ્ટો!

મર્યાદાએ તમારા પગ બાંધી રાખ્યા છે. સંબંધમાંથી છૂટવું સહેલું નથી હોતું. એક અણદેખી બેડી તમારા પગમાં પડેલી હોય છે. દુનિયાને મુક્ત લાગતાં હોઇએ છતાં બેડીએ તમે બંધાયેલા હો છો. આ દુપટ્ટાની ગાંઠ પણ એવી જ હોય છે. સાંકળ નથી હોતી છતાં બંધાયેલા રહો છો. આ ગાંઠ લગ્ન સમયે થતા ગઠબંધન જેવી હોય છે. આમ મુક્ત લાગો પણ ઊડી ના શકો. સાંકળ વિના આ દુપટ્ટો તમને બાંધી શકે છે.

મસોતું થઈને પણ છૂટી નથી એ ટેવ જૂની
કિનારી આંખની લૂછવા થયો તરસ્યો દુપટ્ટો

આ દુપટ્ટો તમારી વેદનાનો તમારી પીડાનો મૂક સાક્ષી છે. કેટલીય વાર લોકોની નજરોથી છૂપાવીને સ્ત્રી એનાથી આંખો લૂછી છે. અને આ દુપટ્ટાને પણ તમારા આંસુ છૂપાવવા ની આદત પડી ગઈ છે. પછી ભલેને મસોતું થઇ જાય પણ આંખની કિનારી લૂછવા તરસી જાય છે. એ તમારી પીડાનો ભાગીદાર બની જાય છે.જેટલો સાથ દુપટ્ટો આપે છે ,એટલો સાથ તમારાં પોતાનાં નથી આપી શકતાં . આંસુ લૂંછવા કોઈ તૈયાર નથી વેદના બધાં આપી જાય છે .

બદામી, ભૂખરી, કાળી કે કથ્થઈ, આસમાની
કઈ છે આંખ કે જેણે નથી ભેદ્યો દુપટ્ટો

માણસની નજર દુપટ્ટાની આરપાર ઉતરી જતી હોય છે. કવયિત્રી શિકાયત કરતા કહે છે કે ચાહે ગમે તેવા રંગની હોય, બદામી, ભૂખરી, કાળી ,કથ્થઈ કે આસમાની એવી કઈ આંખ છે જેણે દુપટ્ટાની આરપાર ના જોયું હોય? આ શેર સીધો નીકળી છાતીમાં વાગે છે. એ લાલચુ આંખ જેને દુપટ્ટાની આરપાર જતા રોકી શકાતી નથી. એ આંખને સીધો સવાલ કરે છે આ શેર . લોકોની લોલુપ નજરથી બચવા દુપટ્ટો ઓઢ્યો હતો, પણ એ દુપટ્ટાને ભેદીને આંખો યૌવનનો રસ પીવે છે. દુપટ્ટો મૌન રહીને જોયા કરે છે.

અરીસો કોઈ કારણથી બહુ ભેદી હસ્યો’તો
રમતમાં બાળકીએ બે ઘડી વીંટ્યો દુપટ્ટો

નાની બાળકીએ રમતમાં દુપટ્ટો વીંટ્યો તો અરીસો શા માટે ભેદી હસ્યો? આ નાની બાળકી દુપટ્ટો પહેરીને જલ્દી મોટી થવા માંગે છે, પણ એ નાની બાળકીને ખબર નથી કે જે દુપટ્ટો એ પ્રેમથી વીંટાળી રહી છે એ દુપટ્ટો ખેંચવા માટે કેટલાં હાથ આગળ આવશે. પછી ના તો એ સ્વયં બચી શકશે અને ના તો જર્જરિત દુપટ્ટોએને બચાવી શકશે. અરીસાના ભેદી હાસ્યમાં ભવિષ્યમાં આવનારી કોઈ ગંભીર આપત્તિની વાત હશે. બાળકીની નિર્દોષ રમત મોટી થતાં કેવા કેવા દર્દમાંથી પસાર થવાની છે, એ અરીસો જાણે છે.

કરી બાધા કે નવસો ને નવાણું ચીર ઊગે ત્યાં
પીડિતાએ લીરા ભેગા કરી વાવ્યો દુપટ્ટો

બાધા કરવાથી દિલની ઈચ્છા પુરી થાય છે. બાધાઓ કરી આપણે શું માંગીએ છીએ? કોઈ સુખ , કોઈ લગ્ન, કોઈ સંતાન તો કોઈ રોજગાર માંગે છે ! પણ એ પીડિતાએ લીરા ભેગા કરીને વાવ્યો દુપટ્ટો અને બાધા કરી કે નવસો નવાણું ચીર ઊગે ત્યાં ! શા માટે ? કોઈ કૃષ્ણ ચીર પૂરવા નહિ આવ્યા હોય અને કોઈ દુઃશાસને ચીર હરણ કરીને એ દુપટ્ટાના લીરા કરી નાખ્યા હશે. તેથી એને બાધા કરી કે ત્યાં નવસો નવાણું ચીર ઉગે કે જેથી એની કે બીજી એના જેવી નવસો નવાણું સ્ત્રીઓની ઈજ્જત બચી શકે!

હવે તો પ્રાણ સાથે દેહથી છૂટે તો છૂટે
બળેલી છાતીને એ રીતથી વળગ્યો દુપટ્ટો

કોઈને દહેજના લીધે કે કોઈને પીડાને લીધે સ્ત્રીને બાળી નાંખવામાં આવી હોય છે. વગર ગુના એ બળી ગઈ હોય છે, પણ એના પ્રાણ નીકળતા નથી અને એ બળેલી છાતી સાથે દુપટ્ટો એ રીતે વળગી રહે છે જે રીતે મા ની છાતી સાથે બાળક! બસ હવે તો પ્રાણ સાથે છૂટે તો છૂટે જે બળેલી છાતી સાથે વળગી રહ્યો છે દુપટ્ટો. કવયિત્રી સમાજના ગાલ પર સણસણતો તમાચો મારે છે.

મલાજો રાખવા માટે વડીલોની નજરનો
વિચારી જો કદી, કે કેમ પહેરાવ્યો દુપટ્ટો?

દીકરીને નાનપણથી દુપટ્ટો છાતી પર નાખતા શીખવાડવામાં આવે છે. મલાજો રાખવાનો, મોટાનું માન રાખવાનું, મોટા સામે બોલવાનું નહિ, વડીલો સામે નજર નીચી રાખી વાત કરવી. વડીલોનો મલાજો રાખવાનો! વિચારી જોજો કેમ આ દુપટ્ટો પહેરાવવામાં આવ્યો છે? ભાવકને વિચારવા માટે કહે છે. દરેક ભાવક પોતાની રીતે વિચારે છે. હું કહું છું કે કાલે ઉઠીને એજ વડીલ જેની નજરનો મલાજો રાખવાનો હતો એ એના દુપટ્ટાને ઉતારવાવાળો ના બની જાય!

કોઈ આવીને ખોલી કાઢશે પંખાથી હમણાં
લદાયેલા વજનથી આમ તો છૂટ્યો દુપટ્ટો

મકતાનો શેર દરેક સ્ત્રી હૃદયને હચમચાવી દેશે. આ કોણે પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવ આપી દીધો છે ? કેવું દુઃખ પડ્યું હશે કે આત્મહત્યા માટે એ તૈયાર થઇ હશે? અરે આ દુપટ્ટો આ મૃત દેહનું વજન ઊંચકી શકતું નથી. કોઈ આવીને હમણાં પંખાથી એને ખોલી નાખશે. અને સ્ત્રી અને દુપટ્ટો બંને છૂટી જશે. એ કોઈ સંબંધી હોય કે પછી એનો પોતાનો પતિ હોય, જે સ્ત્રીની લાશને નીચે ઉતારે છે! જે પીડા આપે ,એજ આંસું પણ સારે છે.અરે ,આ રીતે છૂટ્યો દુપટ્ટો!! સ્ત્રી પણ દુનિયાની વેદનાથી છૂટી ગઈ. દુપટ્ટાએ છેલ્લે સુધી સાથ ના છોડ્યો. પારણાથી માંડીને પંખા સુધી. આભાર કવયિત્રી લિપિ ઓઝા એક હ્ર્દયસ્પર્શી ગઝલ આપવા માટે !

સપના વિજાપુરા

31 Aug 2023

રક્ષાબંધન ગઝલ આસ્વાદ :13

Posted by sapana. No Comments

મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી;
હે પ્રભુ! ભીની થવા દેતો ન એની આંખડી.

છે પિતા થડ જેમ, માતા ડાળખી, હું પાન છું;
બ્હેન તું તો સાવ નાજુક ફૂલની એક પાંખડી!

કોક દી ચશ્માં બની દુનિયા બતાવી બ્હેન તેં!
માર્ગમાં કાંટા જો આવ્યા તું બની ગઈ ચાખડી.

ઘરને લાગેલો ઘસારો દૂર કરવા માટે તેં,
માની સાથોસાથ કાયમ રાખી બાધા-આખડી.

આજ રક્ષા બંધને આ હૈયું ઊભરાઈ ગયું,
આંખમાંથી છૂટી ગઈ સૌ આંસુઓની ગાંસડી!

  • અનિલ ચાવડા

ભારતમાં દરેક સંબંધ સાથે કોઈ ને કોઈ તહેવાર જોડાયેલો છે. પતિપત્ની સાથે ભાઈબહેન સાથે. રક્ષાબંધનની પ્રથા શ્રી કૃષ્ણના સમયથી ચાલુ થઇ. શ્રી કૃષ્ણની આંગળી પર ઘા થયો તો દ્રૌપદીએ પોતાની સાડી ચીરી એમાંથી એ ઘા પર પટ્ટી બાંધી એ સમયે શ્રી કૃષ્ણએ દ્રૌપદીની રક્ષા કરવાનું પણ લીધું અને નિભાવ્યું.

કવિ શ્રી અનિલ ચાવડાના નામથી ભાગ્યેજ કોઈ અજાણ હશે. એમણે આ ગઝલ મને મોકલી અને મને એનો આસ્વાદ કરવાની તક મળી.


મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી;
હે પ્રભુ! ભીની થવા દેતો ન એની આંખડી.

બહેન પોતાના ભાઈ માટે હંમેશા પ્રાર્થના કરતી હોય છે. અને એમની સલામતી માટે દુઆ કરતી હોય છે. ખૂબ સાદો અને સમજાય જેવો શેર છે. ભાઈ પણ દુઆ કરે છે કે તે મારા રક્ષણ માટે મારા હાથમાં રાખડી બાંધી છે, તો હે પ્રભુ તું મારી બહેની આંખમાં ક્યારેય આંસુ આવવા નહિ દેતો. ભાઈ ભારે હૈયે બહેનને પારકાને સોંપી દે છે પણ હૃદયથી હંમેશા બહેન માટે દુઆ કરતો રહે છે.

છે પિતા થડ જેમ, માતા ડાળખી, હું પાન છું;
બ્હેન તું તો સાવ નાજુક ફૂલની એક પાંખડી!

પોતાના કુટુંબની સરખામણી એક વૃક્ષ સાથે કરીને ભાઈ કહે છે કે ,” પિતા આપણા થડ જેવા છે. જેની ઉપર આખું વૃક્ષ ટકેલું છે. માતા છે ડાળી અને હું તો બસ એક પાન છું અને બેનડી તું છે નાજુક ફૂલની પાંખડી સમી. પણ ફૂલની એ પાખડીની મહેક આખા વૃક્ષને મહેકતું રાખે છે. કોણ કોને આધારે છે એ કહેવું મુશ્કિલ છે. એકબીજાને સહારો આપે એજ સારા સંબંધની નિશાની છે. થડ વગર ડાળી નહિ ડાળી વગર પાન નહિ પાન વગર ફૂલ નહિ અને ફૂલ વગર પાંખડી નહિ. બધાં એક બીજાનું રક્ષણ કરે છે.

કોક દી ચશ્માં બની દુનિયા બતાવી બ્હેન તેં!
માર્ગમાં કાંટા જો આવ્યા તું બની ગઈ ચાખડી.

ભાઈ જો ખોટા માર્ગે ચાલે તો બહેન જ એની માર્ગદર્શક બની જાય છે. ખાસ કરીને મોટી બહેન હોય તે તો માર્ગદર્શક બને જ છે. વળી સાચના ચશ્મા પહેરાવીને સાચી દુનિયા બહેન બતાવી શકે છે. અને ભાઈના માર્ગમાં જો કાંટા આવે તો બહેન એની ચાખડી બની જાય છે. એક એક કાંટો એ પોતાની પલકો પર ઉઠાવીને ભાઈનો માર્ગ સાફ કરે છે.

ઘરને લાગેલો ઘસારો દૂર કરવા માટે તેં,
માની સાથોસાથ કાયમ રાખી બાધા-આખડી.

જ્યારે પોતાનું ધાર્યું ના થાય અને ભાઈઉપર કોઈ આફત આવી પડે તો મા સાથે મળીને બાધા અને આખડી બહેન કરે છે. મને યાદ છે મારો ભાઈ માંદો પડ્યો તો મારી બહેને મારા ભાઈ માટે એવી બાધા રાખેલી કે મારા ભાઈને હું માંગેલા કપડાં પહેરાવીશ અને જેને ઘરે નાના બાળકો હોય ત્યાં કપડાં માંગવા જાય અને ભાઈ સાજો થયો નહિ ત્યાં સુધી માંગેલા કપડાં પહેરાવ્યાં .

આજ રક્ષા બંધને આ હૈયું ઊભરાઈ ગયું,
આંખમાંથી છૂટી ગઈ સૌ આંસુઓની ગાંસડી!

રક્ષાબંધન હોય અને રાખડી બાંધવા માટે બહેન હજારો માઈલ દૂર હોય ત્યારે ભાઈની એકજ ઈચ્છા હોય કે બહેન ક્યારે મારી આરતી ઉતારે અને રાખડી બાંધે! પણ સમય અને સંજોગ એવું થવા દેતા નથી ત્યારે ભાઈનું હૈયું બહેનને યાદ કરીને ભરાઈ આવે છે.અને આંખમાંથી શ્રાવણ ભાદરવો છલકાઈ જાય છે. બહેનની યાદ ભાઈને રડાવી દે છે. બહેન દૂર હોય કે નજીક પણ બહેનની દુઆ હંમેશા તમારી સાથે હોય છે. અને તમારા આશીર્વાદની મોહતાજ હોય છે. ખૂબ સુંદર ભાઈબહેનની પ્યાર છલકાવતી ગઝલ! અભિનંદન અનિલભાઈ! સૌને રક્ષાબંધનની શુભેચ્છા!

સપના વિજાપુરા

1 Aug 2023

મોહર્રમ :9

Posted by sapana. No Comments

આજ મોહર્રમ ની નવમી તારીખ છે. નવમી તારીખે અલી અસગરનો કિસ્સો પડાતો હોય છે, તેથી આજ અલી અસગ઼ર સૌથી નાના શહીદની વાત કરીએ. રસુલે ખુદા મહંમદ પયગંબર સાહેબ અને બીબી ફાતિમા ઝેહરાનું ભરેલું ઘર આજ ઉજડી ગયું. એક એક કરીને બધાં નવજવાન શહીદ થઇ ગયાં. અલી અક્બરના સીનામાં બરછી મારી, કાસીમની લાશ ઘોડાની ટાપોથી પાયમાલ કરી. હઝરત અબ્બાસના બંને હાથ કાપી નાખવામાં આવ્યાં. અસ્હાબ અને ઔલાદ બધાં શહીદ થઇ ગયાં. ઇમામ હુસૈન એક ટેકરી પર જઈને આસમાન તરફ નજર કરીને બોલ્યા,” હલમિન્નાસે યંસૂરના.” “છે કોઈ જે મારી મદદ માટે આવે.” તંબુમાં ઇમામ હુસૈનના છ મહિનાના પુત્ર અલી અસગ઼ર જે ત્રણ દિવસના ભૂખ્યા અને પ્યાસા હતા, તેમને પોતાની જાતને ઝૂલામાંથી બહાર ફેંકી દીધી. તંબુમાં કોહરામ મચી ગયો. બીબી રૂબાબ જે અલી અસગરની માદર હતા. ઉમ્મે રૂબાબનું છાતીનું દૂધ શુષ્ક થઇ ગયું હતું. ઇમામ અસગ઼ર પણ પાણી અને દૂધ વગરના હતા. માછલીને જો પાણીમાંથી કાઢી લેવામાં આવે તો તેનું મોઢું ઉઘાડબંધ થાય પાણી શોધવા માટે એજ રીતે અલી અસગરનું મોઢું ઉઘાડબંધ થતું હતું, એ માનું દૂધ શોધી રહ્યા હતા. ઉમ્મે રુબાબે છ મહિનાના અસગરને ઉઠાવીને બીબી ઝયનબના હાથમાં મૂકી દીધા. બીબી ઝયનબ ઇમામ હુસૈનના બહેન તંબુના દરવાજા પાસે આવ્યાં. ઝયનબે ઇમામ હુસૈનને કહ્યું, “ભાઈ, અલી અસગરને દુશ્મન પાસે લઇ જાઓ કદાચ એમના દિલમાં રહેમ આવી જાય, અને અલી અસગરને પાણી આપે.”ઇમામ હુસૈન માસૂમ અલી અસગરને કપડું ઢાંકી મેદાનમાં લઇ ગયા.

માસૂમ અલી અસગરને જોઈને લોકોને લાગ્યું કે ઇમામના હાથમાં કુરાન શરીફ છે, કુરાનનો વાસ્તો આપી જંગ બંધ કરાવશે. ઇમામ હુસૈને બંને હાથોમાં બાળકને ઊંચકીને આકાશ તરફ લઇ ગયા અને કહ્યું,” એ યઝીદ તારી જંગ મારી સાથે છે, મારા છ મહિનાના અસગરે તો તમારું કાંઈ બગાડ્યું નથી! મારા અસગરને પાણી આપો એ ત્રણ દિવસથી તરસ્યા છે. યઝીદના લશ્કરમાં ખળભળાટ મચી ગયો. સિપાહીઓ રડવા લાગ્યા. એ લોકો પણ ઇન્સાન હતા અને બાઔલાદ હતાં. સિપાહીઓ રડવાં લાગ્યાં. ઇમામે કહ્યું,” તમને એમ હોય કે હું પાણી પી લઈશ તો લો હું એને જમીન પર મુકું તમે એને પાણી પીવડાવો. મજબૂર બાપે કુમળા બાળકને કરબલાના તપતાં રણમાં અલી અસગરને મૂકી દીધા. પણ કોઈ પાણી લાવ્યું નહિ. ઇમામ હુસૈને અલી અસગરને ઉઠાવી લીધા. ઉંમરે સાદે હુરમલા ને હુકમ કર્યો કે તરત આ બાળકને શહીદ કરો નહીંતર સિપાહીઓના દિલમાં રહેમ આવી જશે અને બાજી ઉંધી વળી જશે.

હુરમલાએ ત્રણ ધરીવાળું તીર કાઢ્યું,જે જાનવરોને મારવા માટે વપરાય છે. હુરમલાએ તીર અલી અસગ઼ર પર ફેંક્યું. હાયે, એ તીર અલી અસગરના નાજુક ગળાને છેદીને ઇમામ હુસૈનના હાથમાં પેસી ગયું. અલી અસગ઼ર ખામોશ થઇ ગયા. ઇમામ હુસૈનના હાથમાં અલી અસગરનું ખૂન આવી ગયું. ઇમામ હુસૈન આ ખૂન જમીન પર ફેંકવા ગયા તો જમીન પોકારી ઉઠી ,” હુસૈન આ ખૂન જો જમીન પર ફેંકશો તો આ જમીન પર કોઈ અનાજ નહિ ઉગે અને જમીન વેરાન થી જશે. એમણે એ ખૂન આસમાન તરફ ફેંકવા ચાહ્યું, આસમાન પોકારી ઉઠ્યું,” હુસૈન, નહિ નહિ આ ખૂન આસમાન તરફ ફેંકશો તો કદી વરસાદ નહિ થાય. ઇમામ હુસૈને એ ખૂન ચહેરા પર લગાવી દીધું અને કહ્યું, ” હું આ ખૂન સાથે કયામતમાં ઉઠીશ અને નાના પાસે જઈને કહીશ કે જુઓ તમારી ઉમ્મતે મારી શી હાલત કરી, તમારા નમાઝી, તમારું કુરાન પડવાવાળાએ મારા અસગરને શહીદ કરી નાખ્યા.

ઇમામ હુસૈન અલી અસગરની લાશ લઈને તંબુ તરફ જવા નીકળ્યા ,જ્યા મા પ્રતીક્ષામાં હતીકે મારો અસગ઼ર પાણીથી સેરાબ થઈને આવશે! ઇમામ હુસૈન સાતવાર તંબુ પાસે ગયા અને પાછાં ફર્યા. માનાં હાથમાં લાશ શી રીતે મૂકવી ? છેવટે તંબુમાં ગયા. બીબી ઝયનબના હાથમાં અલી અસગરને મૂક્યા. ઝયનબે ઉમ્મે રૂબાબને અલી અસગ઼ર ની લાશ આપી જે ખૂનથી લથપથ હતી. રૂબાબ જમીન પર બેસી ગયા અને વિલાપ કરવા લાગ્યાં.

ફરી ઇમામ હુસૈન અને ઉમ્મે રુબાબે તલવારથી એક નાની કબર ખોદી અલી અસગરને દફન કર્યા . પણ દસમી મોહર્રમે જાલીમોએ એ કબર શોધી કાઢી અને એક નેઝા માં એમની લાશને ટાંકી દીધી. હાયે અસગ઼ર, એ નેઝા તરફ મા શી રીતે જુએ જયાં પોતાનો જિગરનો ટૂકડો મૃત હાલતમાં હોય!

સપના વિજાપુરા

31 Jul 2023

મોહર્રમ :8

Posted by sapana. No Comments

અબ્બાસ એટલે બહાદૂરીનું નામ ! અબ્બાસ એટલે વફાદારીનું નામ! અબ્બાસ એટલે દિલાવરનું નામ! જ્યારે બીબી ફાતિમા બિન્તે રસુલે ખુદાની વફાત થઇ. તો હઝરત અલી બીજી શાદી કરવા માંગતા હતા. એમણે પોતાના ભાઈ અકીલને કહ્યું કે મારા માટે એવી સ્ત્રી જે એક આલા નસલથી સંબંધ રાખતી હોય અને પોતે પણ બહાદૂર હોય. કારણકે એનાથી બહાદૂર ઔલાદ પેદા થાય જે ઇમામ હુસૈનને કરબલામાં મદદ કરે. ફાતિમા બિન્તે અસદ (હઝામ ) નું નામ આપવામાં આવ્યું. એમનું કુટુંબ શરાફત ,સખાવત ,પાકી અને મહેમાનનવાઝી માં અવ્વ્લ હતું. ઇમામ અલીએ ફાતિમા બિન્તે અસદ થી નિકાહ કરી લીધાં .ફાતિમા બિન્તે અસદ દીકરાઓની મા હોવાથી એમને ઉમ્મુલ બનીન તરીકે પણ પ્રખ્યાત હતા.

ઉમ્મુલ બનીન જ્યારે ઇમામ અલી સાથે નિકાહ કરીને આવ્યાં તો ઇમામ હસન ઇમામ હુસૈન અને બીબી ઝયનબની ઉંમર ખૂબ નાની હતી. એમણે ત્રણે બાળકોને ગળે લગાડ્યાં અને શાદીની રાતે જ કહ્યું કે ,” હું તમારી માની જગ્યા લેવા નથી આવી. હું તમારી કનીઝ બનીને આવી છું. તો મને તમારા કદમોમાં જ રહેવા દેશો.” અને જ્યારે હઝરત અબ્બાસનો જન્મ થયો ત્યારે હઝરત અબ્બાસ કરતા આ ત્રણ બાળકોનો વધારે ખ્યાલ રાખતાં હતા. હઝરત અબ્બાસ બોલતા શીખ્યા એટલે ઉમ્મુલ બનીને હઝરત અબ્બાસને કહ્યું, “હુસૈનને કદી ભાઈ કહીને ના બોલાવતા નહિ. એમને આકા કહીને જ બોલાવશો.”જિંદગીભર હઝરત અબ્બાસ સાયાની જેમ ઇમામ હુસૈન સાથે રહ્યા.

હઝરત અબ્બાસ દેખાવમાં બિલકુલ પોતાના અબ્બા હઝરત અલી જેવા હતા. એમને મદીનાવાળાએ કમરે બની હાશમ નામ આપેલું , કારણકે એ દેખાવમાં ખૂબ ચાંદ જેવા હતાં . એ એટલા ઊંચા હતા કે ઘોડા પર બેસતા તો એમના પગ જમીન પર રહેતાં. એ જ્યારે મદીનાની ગલીયોમાં નીકળતા તો એમને જોવા માટે માણસો થોડીવારમાં થંભી જતા.અબ્બાસનો અર્થ સિંહ થાય છે. એવો સિંહ જેને જોઈને બીજા સિંહ ભાગી જાય! એ બહાદૂરીમાં સિંહ જેવા જ હતા. બહાદુરીમાં એ એમના અબ્બા ઇમામ અલી જેવા હતા. એમણે ઇમામ હસન સાથે ઘણી જંગ કરી જેમાં જંગે સિફફીન માં એમણે ઇમામ અલીના કપડાં પહેરીને એવી જંગ કરી કે લોકો એને ઇમામ અલી માનવા લાગ્યા.

કરબલામાં ઇમામ હુસૈને અલમ એમના હાથમાં આપી એમને લશ્કરના સરદાર બનાવ્યા હતા. આશુરાના દિવસે એક પછી એક બનુ હાશમના નવજવાન કુરબાન થતા ગયા. પોતાના હાથોથી હઝરત અબ્બાસે અલી અકબર, હઝરત કાસીમ, ઓન અને મહંમદ , તેમજ અસ્હાબોના માથાથી છૂટા પડેલા ધડને કરબલાની તપતી જમીન પર દફન કરતા રહ્યા. કારણકે દરેક લાશ પરથી સર કાપીને નેઝા પર લટકાવામાં આવતાં હતાં . હવે એમની સબરની સીમા આવી ગઈ હતી. એ આકા હુસૈન પાસે ગયા અને જંગ માટેની ઈજાજત માંગી. ઇમામ હુસૈને કહ્યું,” અબ્બાસ તમે મારા લશ્કરના સરદાર છો અને અલમદાર છો તમને શી રીતે લડવા જવા દઉં ?” અબ્બાસે ગરદન ઝૂકાવીને કહ્યું,” આકા , એ લશ્કર જ ક્યાં રહ્યું છે જેનો હું સરદાર છું. આપણે ત્રણ જણા બચ્યાં છીએ એક હું એક તમે અને એક છ મહિનાનાં અલી અસગ઼ર. એટલામાં તંબુ જેને ખયમા પણ કહેવાય છે. તેમાંથી અલ-અતશની બૂમો સંભળાઈ! અલ-અતશ એટલે હાય પ્યાસ હાય પ્યાસ અથવા પાણી પાણી! બનુ હાશમના બાળકો પાણી વગર માછલીની જેમ તડપી રહ્યાં હતાં. બીબી સકીના જે ઇમામ હુસૈનની ચાર વર્ષની દીકરી હતાં તે ચાચા અબ્બાસ પાસે આવીને ક્હેવા લાગ્યાં ,”ચાચા અબ્બાસ અલ-અતશ.” ચાચા અબ્બાસ સકીનાને લઈને ઇમામ હુસૈન પાસે જાય છે. અને કહે છે કે આકા મને પાણી લેવા જવાની ઈજાજત આપો. ઇમામ હુસૈન ના ન પાડી શક્યા. હઝરત અબ્બાસ ઝયનબની ઈજાઝત લેવા ગયા ત્યારે ઝયનબ રડી પડ્યાં હઝરત અબ્બાસને કહ્યું,” બાબાએ જ્યારે મને કહ્યું કે કરબલામાં તારો હિજાબ ચાદર છીનવાઈ જશે, ત્યારે મને થતું હતું કે જેનો અબ્બાસ જેવો ભાઈ હોય તેના પરદાને કોણ છીનવી શકે! ભાઈ અબ્બાસ હવે મને યકીન થઈ ગયું કે મારી ચાદર છીનવાઈ જશે!” હઝરત અબ્બાસ મશ્ક ( પાણી ભરવાનો કુંજો) અલમ સાથે બાંધીને નેહરે ફુરાત તરફ જવા લાગ્યા. રસ્તામાં કેટલાય દુશમનોને જહન્નમવાસી કરતા ગયા.લડતા લડતા નેહરે ફુરાત પર પહોંચી ગયા. મશ્ક ભરી હાથમાં પાણી લીધું કારણકે એ પણ ત્રણ દિવસના પ્યાસા હતા. પણ પાણી તરત ફેંકી દીધું, સકીના પ્યાસી હોય તો એમના ગળે પાણી ક્યાંથી ઉતરે! કહેવાય છે કે ઘોડાએ પણ પાણી ના પીધું!

મશ્ક લઈને પાછાં ફરવા લાગ્યા પણ એક સિપાહીએ એમનો ડાબો હાથ કાપી નાખ્યો. એમણે અલમ જમણા હાથમાં પકડ્યો. બીજા સિપાહીએ એમનો જમણો હાથ પણ કાપી નાખ્યો અને એક તીર પાણીની મશ્ક પર માર્યું અને બધું પાણી વહી ગયું. અબ્બાસ અલમદારની પાણી તંબુ સુધી પહોંચાડવાની આશા પર પાણી ફરી વળ્યું. કોઈ એક સિપાહીએ ત્રિશૂળ જેવા નેઝાથી એમના સર પર ઘા કર્યો અને હાથ વગરના અબ્બાસ જમીન પર આવી ગયા. કલ્પના કરો કે જેના હાથ નથી તે ઘોડા પરથી શી રીતે જમીન પર આવતા હશે? અબ્બાસે આકાને મદદ માટે બોલાવ્યા. ઇમામ હુસૈને અબ્બાસનો અવાજ સાંભળ્યો તો બોલ્યા,” હાય અલ્લાહ, આજ મારી કમર તૂટી ગઈ. એ અબ્બાસ પાસે નાના બાળકની જેમ ગોઠણીયે ચાલતા ચાલતા પહોંચ્યા! અબ્બાસ મારા ભાઈ! એમનું માથું પોતાના ખોળામાં મૂક્યું. ઇમામ હુસેને પૂછ્યું ભાઈ કોઈ ઈચ્છા છે? અબ્બાસે કહ્યું, “આકા મારી આંખોમાં ખૂન છે આપ એને સાફ કરી દો તો હું આપની ઝિયારત કરું. ” ઇમામે એમની આંખો સાફ કરી. ઇમામે કહ્યું,” ભાઈ મારી પણ એક આરજૂ છે, જિંદગીભર આપે મને આકા કહીને બોલાવ્યો છે ,આજ મને ભાઈ કહીને બોલાવો. અબ્બાસે ઈમામની આરજૂ પૂરી કરી. પછી અબ્બાસે કહ્યું, “ભાઈ મારી લાશ તંબુ સુધી ના લઇ જતા, સકીનાથી હું શર્મિંદા છું કે પાણી ના લાવી શક્યો.” અબ્બાસે દમ તોડી દીધો. ઇમામ હુસૈને અલમ ઉપાડ્યો અને તંબુ તરફ રવાના થયા. અલમ આવ્યો પણ અલમદાર ના આવ્યો. લુબના અલી અબ્બાસની પત્ની ઇમામ હુસૈનને અલમ લાવતા જોઈ સમજી ગઈ કે અલમદાર નથી. એ માથું કૂટવા લાગી. સકીનાએ જોયું કે અલમ આવ્યા છે અલમદાર નથી આવ્યા. એને બનુ હાશમના બાળકોને ભેગા કર્યા જે હાથમાં જામ લઈને પાણીની રાહ જોતા હતાં કહ્યું,” મારા ચાચા પાણી લઈને નથી આવ્યા, માફ કરજો મેં તમને વચન આપ્યું હતું કે મારા ચાચા પાણી લાવશે! પછી આશુરા ગઈ 11 મી મોહર્રમ આવી કોઈ બાળકે પાણીનું નામ ના લીધું!

થા હાથોંકે કટનેકા કુછ ગમ ના દિલાવરકો
સઇદાનીયોકા પરદા અબ કૌન બચાયેગા
ઝેહરા ઝેહરા અબ્બાસકા ભી પૂરસા લો

સપના વિજાપુરા

28 Jul 2023

મોહર્રમ :7

Posted by sapana. No Comments

એક એક કરીને ઇમામ હુસૈનના કબીલાના નવજવાન શહીદ થઇ રહ્યાં હતાં. હઝરત કાસીમની ઉંમર કરબલાના મેદાનમાં તેર વર્ષની હતી. કાસીમ ઇમામ હસનના પુત્ર હતા. ઇમામ હસન જે ઇમામ હુસૈનના મોટાભાઈ અને ઇમામ અલીના પુત્ર હતા. જ્યારે ઇમામ હસનને ખબર પડી કે ઇસ્લામ બચાવવા માટે ઇમામ હુસૈનને કરબલામાં શહીદ કરવામાં આવશે, તો એમણે અલ્લાહ પાસે દુઆ કરી કે યા અલ્લાહ ઇસ્લામ પર કુરબાન થવા માટે અને મારા ભાઈની મદદ માટે મને એક બહાદૂર પુત્ર દે! ઇમામ હસનની પત્ની ઉમ્મે ફરવાના પેટે હઝરત કાસીમનો જન્મ થયો. હઝરત કાસીમ જ્યારે ત્રણ વર્ષના હતા ત્યારે ઇમામ હસનને માહવીયા એ ઝેર આપીને શહીદ કરી નાખ્યા. મૃત્યુ પહેલા એક પત્ર એમણે પત્નીને આપેલો, અને કહ્યું કે આ પત્ર કરબલાના મેદાનમાં ખોલશો.

આશુરાનો દિવસ ઢળી રહ્યો હતો. ઇમામનું લશ્કર ધીરે ધીરે ઓછું થઈ રહ્યું હતું. ઉમ્મે ફરવાએ દીકરા કાસીમને બોલાવીને કહ્યું ,” બેટા જંગ માટે તૈયાર થી જાઓ. ચાચા પાસે જાઓ અને ઈજાજત માંગો.” કાસીમ ચાચા પાસે જાય છે અને જંગની ઈજાજત માંગે છે. પણ ઇમામ હુસૈન શી રીતે ઈજાજત આપે? ઇમામ હસન જેવા દેખાતા પોતાના ભત્રીજાને જોઈને ભાઈને યાદ કરી લેતા હતા. વળી કાસીમની ઉંમર પણ તેર વર્ષની હતી.ચાચાએ ઈજાજત ના આપી. કાસીમ અમ્મી પાસે ગયા. એમનો ઉદાસ ચહેરો જોઈ માદર સમજી ગઈ. એમણે ઇમામ હસનનો પત્ર કાઢીને કાસીમને આપ્યો. કાસીમ પત્ર લઈને ચાચા પાસે આવ્યા અને પત્ર આપ્યો. જેમાં લખેલું હતું કે,”એક સમય આવશે જયારે ભાઈ હુસૈનને હઝારોના લશ્કરનો સામનો કરવો પડશે, ઇસ્લામ કુરબાની માંગશે ત્યારે તમે મારા તરફથી કુરબાની આપશો.”

ઇમામ હુસૈને કઈ કહેવાનું ના રહ્યું મોટાભાઈના હુકમની અવગણના શી રીતે થાય? ઇમામ હુસૈને કાસીમને પૂછ્યું,” મોત તમને કેવું લાગે છે?” કાસીમે કહ્યું,” મધથી વધારે મીઠું !” ઇમામ હુસૈને ઈજાજત આપી. કાસીમ એટલા નાના હતાકે એમને બખ્તર ફિટ થતું ના હતું. હેલ્મેટ ચહેરો છૂપાવી લેતો હતો. હઝરત અબ્બાસે એમને ઘોડા પર બેસાડ્યા. કાસીમને તલવારબાજી અને જંગ કરવાનું હઝરત અબ્બાસે અને લઈ અકબરે શીખવાડ્યું હતું. બલ્કે કરબલામાં શહીદ થવાવાળા માસુમ બાળકોને તલવારબાજી હઝરત અબ્બાસે શીખવાડેલી. કાસીમે ઘણાં દુશ્મન ને જહન્નમવાસી કરી નાંખ્યાં . પણ એક તેર વર્ષના બાળકનું કેટલું ગજુ ? બધાં સિપાહોએ સાથે હૂમલો કર્યો, કાસીમ જમીન પર આવી ગયા. એમણે ચાચાને બોલાવ્યા અને સલામ કહ્યા. ચાચા હુસૈન અને ચાચા અબ્બાસ કાસીમ તરફ દોડ્યાં તો યઝીદને લાગ્યું કે હૂમલો કરવા આવ્યાં છે. સિપાહીઓ ડાબી અને જમણી તરફ ઘોડા લઈને દોડવાં લાગ્યાં. આવી હડબડીમાં કાસીમની લાશ ઘોડાની નાળથી કચડાતી ગઈ અને પાયમાલ થઇ ગઈ. ઇમામ હુસૈન મેદાનમાં આવી કાસીમની લાશને શોધવા લાગ્યા તો લાશ મળી નહિ.પણ ક્યાંકથી કાસીમનો હાથ, કયાંકથી કાસીમનો પગ અને એમ આખું શરીર વિખેરાઈ ગયું હતું. ઇમામ હુસૈને રડતા રડતા પોતાની અબા માં કાસીમની લાશનું પોટલું વાળ્યું અને તંબુ તરફ ગયા. ઉમ્મે ફરવાએ કાસીમ વિષે પૂછ્યું તો ઇમામે પોટલું ખોલીને કહ્યું,” આપણે અલ્લાહથી છીએ અને અલ્લાહ તરફ પાછું ફરવાનું છે.” બીબીઓ કાસીમની લાશ જોઈને રડવાં લાગી!

પામાલ હુઆ કાસીમ જબ ઘોડોકી ટાપોસે
કિસ તરહ ચાચા તેરી મય્યતકો ઉઠાયેગા
ઝેહરા ઝેહરા કાસીમકા ભી પૂરસા લો

સપના વિજાપુરા

27 Jul 2023

મોહર્રમ :6

Posted by sapana. No Comments

મોહર્રમની છઠ્ઠી તારીખ થઇ છે. આપણે આશુરાના શહીદોના કિસ્સા વાંચીએ છીએ. ઇમામ હુસૈનના લગભગ બધાં અસહાબ (સાથી) શહીદ થઇ ગયાં. હવે ફક્ત રસુલની આલના સભ્યો બાકી હતા. એ લોકો બનુ હાશીમ કહેવાતાં હતાં . અલી અકબર ઇમામ હુસૈન અને ઉમ્મે લયલાના અઢાર વર્ષના પુત્ર હતા. જે સુરતમાં અને સિરતમા રસુલે ખુદા મહંમદ પયગંબર સાહેબ જેવા હતા. ઇમામ હુસૈન ઘણીવાર કહેતા કે મને જ્યારે નાનાની યાદ આવે છે ત્યારે હું અલી અકબર ના મુબારક ચહેરા સામે જોઈ લઉં છું. ઉમ્મે લયલાને દીકરાની શાદી કરવાના ખૂબ અરમાન હતા. ઇમામ હુસૈનની એક દીકરી જે બીમાર હતી એ મદીનામાં રહી ગઈ હતી. અલી અકબર સુગરાને ખૂબ ચાહતા હતા. બહેનને એમને વચન આપેલું કે હું તને તેડવા જરૂર આવીશ. બીબી સકીના, ઇમામ હુસૈનના દીકરી જે ચાર વર્ષની વયનાં હતાં , એ પણ ભાઈ અલી અકબરના લાડલાં હતાં.

આશુરાના દિવસે ઝોહરની અઝાન અલી અકબરે અઝાન કરી. તંબુમાં બીબીઓની રડવાનો અવાજ બુલંદ થઇ ગયો. કારણકે જે કોઈ રણમાં જતું હતું પાછું આવતું ના હતું. અલી અકબરની અઝાન પણ રસુલે ખુદા જેવી પ્યારી હતી. બીબીઓને ખાતરી હતી કે આ છેલ્લીવાર અલી અકબરની અઝાન સાંભળવા મળશે. ઝોહરની નમાજ પછી અલી અકબરે ઇમામ હુસૈન પાસે જંગમાં જવાની ઈજાજત માંગી. વિચારો કે બાપના હૃદય પર નશ્તર ફરી ગયું હશે! બૂઢા સતાવન વર્ષના બાપ પાસે અઢાર વર્ષનો દીકરો જઈને પૂછે મને મરવાની ઈજાજત આપો! ઇમામ હુસૈને કહ્યું પહેલા તમારી અમ્મા લયલા અને ફોઈ બીબી ઝયનબની ઈજાજત લઇ આવો. અલી અકબર અમ્મા પાસે ગયા, અમ્મા નમાજ પડતાં હતાં. અલી અકબરે ઈજાજત માંગી. ઉમ્મે લયલા છ મહિના, વરસના પાંચ વરસના દસ વરસના એમ બધા કપડાં અલી અકબરને બતાવવા લાગી. અને રડવા લાગી. પણ ઉમ્મે લયલા એ કહ્યું, “બેટા, ઈજાજત છે. જાઓ ઇમામ હુસૈન પર કુરબાન થાઓ.” અલી અકબર ફોઈના તંબુમાં ગયા. ફોઈએ અલી અકબરને દીકરાની જેમ ઉછેરેલા. કડીયલ જવાનને શી રીતે ઈજાજત આપે. પણ અલી અકબરે કહ્યું,” ફુફી, દાદી ફાતિમાના દીકરા માટે કુરબાન થવા જાઉં છું તો પણ ઈજાજત નહિ આપો!” બીબી ઝયનબ કશું ના બોલ્યાં . અલી અકબર તંબુમાંથી બહાર નીકળવા જાય, તંબુનો પરદો થોડો ઊંચો થાય અને ફરી બંધ થાય. આવું ક્યાંય સુધી ચાલ્યું. ઇમામ હુસૈન તંબુ માં આવ્યા તો ખબર પડી કે અલી અકબર જેવા તંબુની બહાર નીકળવા જાય એટલે કોઈ બીબી એમને પાછાં અંદર ખેંચી લે અને વહાલ કરે. બીબી સકીના તો ભાઈના પગે વીંટળાઈ ગયેલા. છેવટે ઇમામ હુસૈન અલી અકબરને તંબુની બહાર લાવ્યા.

ઇમામ હુસૈને અલી અકબરને ઘોડા પર સવાર કર્યા. માનાં દિલનો ટૂકડો , ફોઈની આંખોનો તારો, ચાંદને શરમાવે એવો આ ગભરુ જવાન યઝીદના લશ્કર સામે લડવા ચાલ્યો. અલી અકબરને લાગ્યું કે મારા ઘોડાની પાછળ કોઈ આવી રહ્યું છે. એમણે પાછું ફરીને જોયું તો સત્તાવન વર્ષનો બુઢો બાપ ઘોડાની સાથે દોડી રહ્યો છે. અલી અકબરે ઘોડો રોક્યો અને ઇમામ હુસૈનને કહ્યું, “અબ્બા, પાછળ પાછળ કેમ આવો છો?” ઇમામ હુસૈને રડતા રડતા કહ્યું ,” બેટા, તને પણ તારા જેવો દીકરો હોત તો તને ખબર પડત કે બાપની નજર સામે દીકરો મરવા જાય તો કેવું લાગે.” ઇમામ હુસૈન પાછાં ફર્યા.

થોડીવાર જંગ કરી એક સાથે બબ્બે ત્રણ ત્રણને એક સાથે જહન્નમવાસી કરી ફરી તંબુ પાસે આવ્યા. “બાબા, થોડું પાણી મળશે?” જબાન સુકાઈ જાય છે. ઇમામ હુસૈને પોતાની જબાન અલી અકબરની જબાન પર મૂકી. અલી અકબરે તરત જબાન ખેંચી લીધી. “બાબા , આપની જબાન તો મારા કરતા પણ વધારે સૂકી છે.” ઇમામે કહ્યું,” આપણે ઇસ્લામ માટે ભૂખ્યાં અને તરસ્યાં કુરબાન થવાનું છે. બેટા, જયારે ફરી જંગમાં જાઓ તો પાછા ફરી ફરીને જોતા જજો તો હું તમારા દીદાર કર્યા કરું. ફરી એ જંગના મેદાનમાં પહોંચી ગયા. હજારોની સંખ્યામાં દુશમનોને જહન્નમવાસી કર્યા. ઉમર ઈબ્ને સાદે હુકમ કર્યો કે અલી અકબરને મારી નાખો, પછી હુસૈન નહિ જીવે. કારણકે હુસૈનનો જીવ અલી અકબરમાં છે. એક સાથે મળીને હુમલો કરો.” મુરા ઈબ્ને મુનાકદે એવી બરછી મારી કે અલી અકબર જમીન પર આવી ગયા. પછી મુરાહે બરછીનો હાથો તોડી નાખ્યો. બરછી અલી અકબર ના હૃદય પર વાગેલી. અલી અકબરે બાબાને બોલાવ્યા,” બાબા મારા સલામ કબૂલ કરો.” ઇમામ હુસૈન કમર પકડીને બેસી ગયા. એમને આંખે અંધારું છવાઈ ગયું. ધીરે ધીરે ઊભા થી અલી અકબરને કહ્યું મને બોલાવતા રહો, મને કશું દેખાતું નથી. અલી અકબર બોલાવતા રહ્યા અને ઇમામ હુસૈન એમની પાસે પહોંચી ગયા. ઇમામ હુસૈને જોયું અલી અકબરને બરછી લાગેલી છે. અલી અકબરે કહ્યું બાબા ખૂબ દુખાવો કરે છે આ બરછી ખેંચી લો. ઇમામ હુસૈને આસમાન તરફ જોઈને કહ્યું,” હે દાદા ઈબ્રાહીમ, જુઓ મારી આંખે પટ્ટી નથી અને અલી અકબરના હાથ બાંધેલા નથી. અલ્લાહ પાસે ગવાહ રહેશો કે મેં ઇસ્લામ માટે મારા કડીયલ જવાન હમશક્લે મુસ્તુફા અલી અકબરને કુરબાન કર્યો છે. ઇમામ હુસૈને બની હાશિમના બાળકોને બોલાવ્યા અલી અકબરની લાશ ઉઠાવવા માટે! ઇસ્લામમાં બીજા ધર્મની જેમ મૃત્યુ પર સગાને પુરસો આપવા જાય છે. બીબી ફાતિમાને પુરસો આપીએ.

તૂટી હૈ કમર શેહકી,ગભરા ના મગર અકબર
ફરઝંદે નબી તેરી મય્યતકો ઉઠાયેગા
ઝેહરા ઝેહરા અકબરકા ભી પૂરસા લો!

સપના વિજાપુરા

25 Jul 2023

મોહર્રમ : 5

Posted by sapana. No Comments

જ્યારે ઇમામ હુસૈન કુફા તરફ આવતા હતા ત્યારે જનાબે હૂરનું લશ્કર એમને રસ્તામાં મળ્યું. કારણકે ઉબેદુલ્લાહ ઈબ્ને ઝિયાદે હૂરને 1000 સિપાહી સાથે મોકલેલા. ઇમામ હુસૈનને કુફા તરફ આવતા રોકવા માટે. ઇમામ કરબલા પહોંચતા પહેલા મકામે જી હુશમ પર પડાવ નાખ્યો. કારણકે અહીંયા પાણીની નહેર હતી. જનાબે હૂર ઇરાકથી આવતા હતા એટલે જનાબે હૂરના સિપાહી પ્યાસા હતાં. ગરમીથી એમના ઘોડા બેહાલ હતાં ત્યારે ઇમામ હુસૈને સિપાહીઓને તેમજ ઘોડાઓને પાણી આપ્યું. ત્યાં સુધી પાણી આપ્યું જ્યાં સુધી બધાંની પ્યાસ બુઝાઈ ના ગઈ. દુશ્મન હતાં છતાં ઇમામે પાણી પર પહેરા ના મૂક્યાં. ઈમામનો હુશ્નએ અખલાક જોઈ હૂર ખૂબ પ્રભાવિત થયા અને ઇમામ હુસૈનની પાછળ નમાજ પણ પડી. જનાબે હૂરે ઇમામ હુસૈનને કહ્યું ,”હું તમને કુફા જતા રોકવા માટે આવ્યો છું.” ઇમામે કહ્યું કે “કુફીઓએ મને પત્ર લખ્યાં છે કે એ લોકો ઉબેદુલ્લાહ ઈબ્ને ઝિયાદ થી બેઝાર છે અને મારી બયત કરવા માંગે છે.” ત્યારે હૂરે ઇમામને સમજાવવા પ્રયત્ન કરેલો કે મદીના પાછાં જાઓ અને યઝીદની બયત કરો એ એકજ ઈલાજ છે શહાદતથી બચવાનો. પણ ઇમામ ક્યાં માને એમ હતા.

એટલામાં હૂરને ઉબેદુલ્લાહ ઈબ્ને ઝિયાદનો પત્ર મળે છે. જેમાં એવું લખ્યું હતું કે ઇમામને એક ખુલ્લાં મેદાનમાં રાખો જ્યાં ના પાણી હોય કે મહફુઝ જગ્યા રહેવા માટે હોય. ઉબેદુલ્લાહ ઈબ્ને ઝિયાદે શિમર અને અમરે સાદ સાથે બીજું 20,000 નું લશ્કર મોકલી આપ્યું.

ઇમામ હુસૈન કરબલા પહોંચ્યા ત્યારે હૂર,યઝીદ ,શિમર, ઉંમરે સાદ તેમજ બીજા સરદારોએ મીટીંગ કરી અને નક્કી કર્યું કે ઇમામ હુસૈન પર પાણી બંધ કરી દેવું. તો બાળકોની અને સ્ત્રીઓની પ્યાસ જોઈને ઇમામ હુસૈન નમતું જોખીને બયત કરશે. પણ આ તો એહલેબયતમાંથી હતા. ભૂખ અને પ્યાસ સામે ઝૂકે એમ ક્યાં હતા.

છેવટે આશુરાની રાત આવી ગઈ. જનાબે હૂર બેચેન હતા. એમના દિલમાં ખટકો હતો કે હું ફાતિમા બિન્તે રસુલના જાનીસાર સાથે કેવું વર્તન કરું છું. એ ફાતિમાને એ ખૂબ માન આપતા હતા. જ્યારે હૂરે ઇમામ હુસૈનનો રસ્તો રોક્યો ત્યારે ઇમામ હુસૈને એમને કહ્યું કે ” એય હૂર, તારી મા તારા ગમમાં રડે!” અરબ લોકો આ રીતે લાનત મોકલતા. ત્યારે હૂરે ઇમામને કહ્યું હતું,” આપની મા માટે હું એમ કહી શકતો નથી કારણકે આપની મા ફાતિમા બિન્તે રસુલ છે. ” હૂર હવે બેચેન છે. જહન્નમ અને જન્નત વચ્ચે એનું મન ગોથા ખાય છે. એમનો આત્મા કહે છે કે અરે મૈં હુસૈનને કેવી હાલતે પહોંચાડી દીધા છે. એહલેબયત ના બાળકો અને સ્ત્રીઓ ભૂખ્યાં અને તરસ્યા છે. અલ્લાહ મને માફ નહિ કરે જો હુસૈન મને માફ નહિ કરે. હુસૈનની માફી યઝીદ એને શહીદ કરશે! હુસૈનની માફી માંગવી એટલે મોતને આમંત્રણ!

આખી રાત વિચાર કરી આશુરાની સવારે હૂરે નક્કી કરી લીધું કે ઇમામને સાથ આપશે. સવારે ઘોડા પર બેસી પોતાના દીકરાને તથા ગુલામને સાથે લઈને ઇમામના તંબુ પાસે ગયા. અને ઈમામની સામે ગોઠણ ટેકવી દીધાં . બે હાથ જોડીને રડીને રડીને કહ્યું,” ઇમામ હુસૈન, તમારી હાલત માટે હું જવાબદાર છું શું મને માફી મળશે? ઇમામે હૂરને ગળે લગાવી દીધા અને કહ્યું ,” એ હૂર મેં તમને માફ કર્યા મારા અલ્લાહે તમને માફ કર્યા મારા નાનાએ તમને માફ કર્યા. પછી એમણે જંગમાં જવા માટે ઈજાજત માંગી અને ઇમામ હુસૈને ઈજાજત આપી. પહેલા એમનો દીકરો જંગ કરવા ગયો જ્યારે એ શહીદ થઇ ગયો તો હૂર એમની મદદ માટે જવા માંગતા હતા. પણ ઇમામે કહ્યું,” હૂર જવાન દીકરાની લાશ જોવી સહેલી નથી. હું જઈશ તારા દીકરાની લાશ ઉઠાવવા.ઇમામને ખબર હતી એમને અલી અકબરની લાશ ઉઠાવવાની હતી. પછી હૂર ગયા. જંગ કરતા કરતા એમનો ઘોડો જખ્મી થઇ ગયો. અને 40 દુશમનોને જહન્નમવાસી કરી હૂર જમીન પર આવી ગયા. એમના માથાં પર તલવાર વાગી જેનાથી લોહી વહી રહ્યું હતું. ઇમામ હુસૈને બીબી ફાતિમાનો રૂમાલ એમના માથા પર બાંધ્યો. હૂરે મરતા મરતા કહ્યું, “હું કયામતમાં આ રૂમાલ સાથે ઉઠીશ!” થોડાં સમય પહેલા જયારે હૂરની કબરનું સમારકામ થતું હતું તો એમની લાશ 1400 વર્ષ પછી પણ તાજી હતી. માથા પર બાંધેલો રૂમાલ ખોલવા ગયા તો તાજું લોહી વહેવા લાગ્યું. અલ્લાહે કુરાનમાં કહ્યું છે કે” શહીદોને મરેલા ના સમજો ,એમને અલ્લાહ તરફથી રીઝક મળે છે અને તે જીવંત છે.” આમ હૂરે છેલ્લાં ચાર કલાકમાં જન્નત કમાઈ લીધી.

સપના વિજાપુરા

24 Jul 2023

મોહર્રમ : 4

Posted by sapana. No Comments

બીબી ઝયનબે જ્યારે અબ્દુલ્લાહ ઈબ્ને જાફરે તૈયાર સાથે શાદી કરી ત્યારે અબ્દુલ્લાહ સાથે શરત રાખેલી કે જ્યાં જ્યાં ઇમામ હુસૈન જશે ત્યાં ત્યાં હું તેમની સાથે જઈશ. અને અબ્દુલ્લાહે આ શરત મંજૂર રાખેલી. તો જ્યારે બીબી ઝયનબ કરબલા જવા તૈયાર થયાં તો અબ્દુલ્લાહે એમને રોક્યાં નહિ. પણ ખુશી ખુશી ઝયનબને રજા આપી અને સાથે ઓન અને મહંમદને જવા કહ્યું. કરબલામાં શું થવાનું છે એની રસુલે ખુદા, બીબી ફાતિમા, હઝરત અલી અને બીબી ઝયનબને ખબર હતી. અબ્દુલ્લાહે કહ્યું કે જો એવો વખત આવે તો એક દીકરાને મારા તરફથી અને એક દીકરાને તમારા તરફથી ઇમામ હુસૈન પર કુરબાન કરશો.

હાય, એ આશુરાનો દિવસ આવી ગયો. મોહર્રમના છેલ્લાં ત્રણ દિવસ યજીદે ઇમામ હુસૈન અને તેમના કબીલા ઉપર પાણી બંધ કરી દીધું હતું અને નેહેરે ફુરાત પર પહેરા લગાવી દીધાં હતાં. ઇમામ અને એમના બોત્તેર ના લશ્કરે ભૂખ્યા અને પ્યાસા શહીદ કર્યા હતાં . સ્ત્રીઓને પણ ત્રણ દિવસ ભૂખી અને પ્યાસી રાખેલી! ઝોહરનો સમય થયો એક પછી એક લાશ તંબુમાં આવવા લાગી. ઝયનબ બેચેન થઇ ગયાં. એમણે ઓન અને મહંમદ ને બોલાવ્યા અને કહ્યું,” મારા જાનીસાર , તમારે મામુજાન પર કુરબાન થવાનું છે. ખૂબ બહાદુરીથી લડાઈ લડવાની છે. મારા દિલબર, તમે તમારી મા ને શર્મિંદા ના કરતા. તમે નહેરે ફુરાત પાસે જાઓ તો પાણી ના પીતા કારણકે ઇમામ હુસૈનના બાળકો પ્યાસા છે. ” બીબી ઝયનબ પોતાના નાના રાજકુમારોને તૈયાર કરવા લાગી. ઓન ફક્ત તેર વર્ષના અને મહંમદ અગ્યાર વર્ષના હતા. એને બખ્તર પહેરાવ્યું તો શરીર પરથી ઉતરી જતું હતું. એમની કમરમાં તલવાર બાંધી તો જમીન સાથે ઘસડાતી હતી. માથા પર હેલ્મેટ રાખી તો ચહેરો ઢંકાઈ જતો હતો. આવા બે નાના બાળકો મામુ પાસે જંગની ઈજાજત લેવા ગયાં તો મામુનો જીવ ના ચાલ્યો. ઇમામ હુસૈને એમને તંબુમાં પાછાં મોકલી આપ્યા. ઝયનબે ભાઈ અબ્બાસને બોલાવ્યા અને વિનંતી કરી કે મારા દીકરાને જંગ કરવા જવા દો !

છેવટે ઝયનબની ખૂબ વિનંતીને ટાળી ના શક્યાં , અને ઓન અને મહંમદને જંગ કરવા મોકલ્યાં. ઓનને ઇમામ હુસૈને અને મહંમદ ને અબ્બાસે અલમદારે ઘોડા પર બેસાડ્યાં. કહેવાય છે કે ઓને 30 દુશમનને જહન્નમવાસી કર્યા અને મહંમદે 20 દુશમનને ફિન્નાર કર્યા. છેવટે દુશમનોએ મળીને હુમલો કરી ઓનનાં માથા પર તલવારનો વાર કર્યો અને ઓન ઘોડા પરથી જમીન પર આવી ગયા, મહંમદ ના માથા પર બુર્જનો વાર કર્યો અને મહંમદ ની રૂહ પરવાઝ કરી ગઈ. ઇમામ હુસૈન બહેનના બાળકોની લાશ તંબુ પાસે લઇ આવ્યા. બધી બીબીઓ માથા ફૂટી કૂટીને રડવા લાગી. બીબી ઝયનબ તંબુમાંથી બહાર ના આવ્યા. અને રડ્યાં પણ નહિ. પણ મુસલ્લો બીછાવીને અલ્લાહનો શુક્ર કર્યો. આમ બે માસુમ બાળકો મામુજાન પર કુરબાન થઇ ગયા. બોતેર શહીદોની જેમ દુશમનોએ બાળકોના સર કાપીને નેઝા પર લગાવી દીધાં. ઓનનાં છેલ્લા શબ્દો હતાં કે “અમ્મીને કહેશો અમે ફુરાત પર પાણી પીધું નથી.”રસુલની આલનો આવો અંજામ મુસલમાનોએ જ કર્યો હતો.

સપના વિજાપુરા

22 Jul 2023

મોહર્રમ :3

Posted by sapana. No Comments

ઇમામ હુસૈન બીજી તારીખે કરબલા પહોંચી ગયા. તંબુઓ તણાઈ ગયાં. હઝરત અબ્બાસ જે ઇમામ હુસૈનના ભાઈ હતા. તે આખી રાત તંબુઓનો પહેરો દેતા હતા. રોજ એક લશ્કર યઝીદનું જુદાં જુદાં સરદાર સાથે આવી જતું હતું. બીબી ઝયનબનું દિલ બેસતું જતું. એમણે ઇમામ હુસૈનને પોતાના તંબુમાં બોલાવ્યા. બીબી ઝયનબે ઇમામ હુસૈનને કહ્યું,” ભાઈ રોજ યઝીદનું એક લશ્કર આવે છે. તમે પણ કોઈને બોલાવો જે તમને મદદ કરે.” ઇમામ હુસૈને કહ્યું,” બહેન કોને બોલાવું? જ્યારે નાના વફાત પામ્યા ત્યારે કોણ આપણને મદદ કરવા આવ્યું? જ્યારે અમ્મા વફાત પામ્યાં ત્યારે કોણ આપણને મદદ કરવા આવ્યું? જ્યારે બાબા અને ભાઈ હસન શહીદ થયાં ત્યારે કોઈ આપણને મદદ કરવા ના આવ્યું! હવે હુસૈનને મદદ કરવા કોણ આવશે? બીબીએ ફરમાવ્યું, “આપ આપના દોસ્ત હબીબ ઈબ્ને મઝાહીર ને મદદ માટે બોલાવો.” ઇમામે બહેનની વાત માની હબીબને પત્ર લખ્યો જે કુફામા હતા. કાસિદ પત્ર લઈને ગયો. જમવાનો સમય હતો. કાસિદ પત્ર લઈને આવ્યો. હબીબે પત્ર વાંચ્યો. તેમની પત્નીએ પૂછ્યું કોનો પત્ર છે. હબીબે જણાવ્યું ઇમામ હુસૈનનો પત્ર છે. મુશ્કેલીમાં છે બોલાવે છે વિચારું છું કે જાઉં કે નહીં ?” પત્નીએ હજુ સાંભળ્યું નહિ કે પોતાના હાથની ચૂડી હબીબને આપી કે તમે આ ચૂડી પહેરો હું જઈશ ઇમામને મદદ કરવા.હબીબે કહ્યું કે હું તારું મન જાણવા માંગતો હતો. બાકી ઇમામ હુસૈન મારા બચપણ નો મિત્ર છે હું કેમ ના જાઉં મદદ કરવા ?

હબીબ રાતના અંધારામાં કરબલા તરફ રવાના થયા.. કુફાથી કરબલા દૂર નથી. હબીબ કરબલા પહોંચી ગયા. દૂરથી ઘોડાને આવતો જોઈ ઇમામ હુસૈન સમજી ગયા હબીબ આવી રહ્યાં છે. ઉઠીને હબીબને ગળે લગાવ્યા. બીબી ઝયનબને સમાચાર મળ્યા કે હબીબ આવી ગયા છે.તો એમણે હબીબને સલામ મોકલ્યા. હબીબે માથું ફૂટી લીધું કે હાય હાય મારા નબીની શહેઝાદી મને સલામ મોકલે છે! એ કેટલી મજબૂર હશે!

હબીબ અને ઇમામ હુસૈન બચપણ થી મિત્રો હતા. હબીબ જયારે પાંચ વર્ષના હતા ત્યારે ઇમામ હુસૈનની પાછળ પાછળ ચાલતા અને જ્યાં જયાં ઇમામ હુસૈનના પગલાં પડતાં ત્યાંની ખાક લઇ માથે મૂકતા ! એકવાર હબીબના વાલિદે રસુલે ખુદાને દાવત કરી અને કહ્યું કે ઇમામ હુસૈન અને હબીબ એક બીજાને ખૂબ ચાહે છે. તો સાથે રમશે. હબીબને ખબર પડી કે હુસૈન આવવાના છે. તો છત પર જઈને રાહ જોવા લાગ્યા. કોઈપણ કાફલો આવતો તો દોડીને નીચે આવતા જોવા માટે કે હુસૈન તો નથીને! આમ કરતા સાંજ પડી ગઈ. છત પરથી એમણે દૂરથી રસુલે ખુદાને જોયા! દોડીને નીચે આવવા ગયા તો પગ લપસ્યો અને પડી ગયા. લાદી સાથે ભટકાઈ માથું ફાટી ગયું, અને એજ ક્ષણે મૃત્યુ પામ્યા. મઝાહીરે લાશ પર કપડું નાખી દીધું અને રસૂલને જમવા બોલાવ્યા. હુસૈને પૂછ્યું હબીબ ક્યાં છે? આપે ફરમાવ્યું, ” આપ જમી લો હું હબીબને મળવા લઇ જઈશ.” પણ ઇમામ હુસૈને જીદ કરી એટલે મજાહીર એમને રૂમમાં લઇ ગયા અને વાકીયો બતાવ્યો. ઇમામ હુસૈને ચાદર હટાવીને કહ્યું,” હબીબ, તારા ઇમામ ઊભા છે અને તું સુવે છે?” અને હબીબ તરત ઊભા થઇ ગયા. આવી મહોબત બંને વચ્ચે હતી.

આશુરાને દિવસે શહીદ થવાવાળા પહેલા શહીદ હતા. ઝોહરને સમયે ઇમામે હબીબને કહ્યું કે દુશ્મન પાસે જાય અને નમાજ પડવાની ઈજાજત લઇ આવે. પણ નમાજની વાત પર દુશ્મને મજાક ઉડાવી, તેથી હબીબને જલાલ આવી ગયો અને દુશ્મન સામે લડાઈ કરી. દુશ્મને હબીબનું સર કલમ કરી નેઝા પાર ભરાવી દીધું. ઇમામ હુસૈન દોડીને મિત્રની મદદ કરવા ગયા પણ એ પહેલા હબીબ જન્નતની સફરે નીકળી ગયા હતા.

સપના વિજાપુરા

27 Jun 2023

ગઝલ આસ્વાદ 1

Posted by sapana. No Comments

ગાંધીનગર દૈનિકમાં પ્રકાશિત રચના માટે તંત્રી શ્રી પ્રદીપભાઈ રાવલનો તથા શ્રી કૌશિકભાઈ શાહના સૌજન્યથી …આનંદ અને આભાર

રગરગ ને રોમરોમથી તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે જીવી જવાય છે!

વરસાદ શું કરી શકે, છત્રીય શું કરે?
બીજાને કોરો રાખવા પલળી જવાય છે!

આંખોના ઇલાકામાં રહો એક બે દિવસ,
ત્યાંથી તો પછી દિલ સુધી પહોંચી જવાય છે!

સામે જ થોડે દૂર કશે એ ઊભાં હશે,
હું ચાલવા મથું છું, ને દોડી જવાય છે!

રાતો છે જાગરણની, દિવસ દોડધામનો,
બેસું તો મોત, ચાલું તો થાકી જવાય છે.

દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું,
દરરોજ એ વિચારમાં ડૂબી જવાય છે!

પડકાર સામે હો તો અડીખમ ઊભો રહું,
લિસ્સી સુંવાળી વાતોમાં લપસી જવાય છે.

ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે!

– ખલીલ ધનતેજવી ‘સારાંશ’ માંથી

ડિસેમ્બર 12, 1935 થી એપ્રિલ 4, 2021! સાહિત્યના ઝળહળતાં આકાશમાંથી એક સિતારો ખરી પડ્યો. મનગમતો સિતારો! જેની ઉપર તમામ સાહિત્ય જગતની નજર હતી એ સિતારો!! હા જી ખલીલ ધનતેજવી સાહેબ આ ફાની દુનિયાનો ઇશ્ક છોડી ઈશ્કે હકીકી તરફ પ્રયાણ કરી ગયા. એમના માટે ઘણું લખ્યું, અને ઘણું લખવાનું બાકી છે અને સદાય બાકી રહેશે. શબ્દોથી વર્ણવી શકાય એવું એમનું જીવન ક્યાં હતું! એ એક ગઝલકાર વાર્તાકાર, પત્રકાર ફિલ્મ નિર્દેશક અને એક ખેડૂત પણ હતા. આજ એક એમની ગઝલ ‘સારાંશ’ માંથી મળી છે. જે મારી ગમતી ગઝલ છે. એના વિષે વાતો કરીશું.

રગરગ નેે રોમરોમથી તૂટી જવાય છે,

તો પણ મઝાની વાત કે જીવી જવાય છે!

જીવન જેવું હોય તેવું જીવવાનું હોય છે.કેટકેટલી મુશ્કેલીઓ આવે છે. જીવન વિટંબણાથી ભરેલું છે. દુઃખ અને અને પરેશાની દરેક માણસથી વીંટાયેલી છે. ઉદાસી ઘેરેલી છે. એવી ઉદાસી કે રગરગ અને રોમરોમ તમારું તૂટી જાય છે. રોજ રડતાં માણસો કહે છે કે જિંદગીથી કંટાળી ગયાં છીએ. પણ તેમ છતાં લોકો જીવી જતા હોય છે. એ એક ખૂબ સુંદર વાત છે કે આવતી કાલનું નવું કિરણ આપણને જીવવાનું બળ આપે છે. “યેહ સફર હૈ મુશ્કિલ, ના ઉદાસ હો મેરે હમસફર, નહિ રહનેવાલી યે મુશ્કિલેં હૈ અગલે મોડ પર મંઝિલે ! મઝાની વાત છે કે જીવી જવાય છે.

વરસાદ શું કરી શકે, છત્રીય શું કરે?

બીજાને કોરો રાખવા પલળી જવાય છે!

એક દ્રશ્ય ઊભું થાય છે. પ્રેમી અને પ્રેમિકા વરસાદમાં જઈ રહ્યાં છે. અનરાધાર વરસાદ છે અને એક છત્રી છે. એમાં બે જણા સમાય શકે એમ નથી. બીજાને કોરો રાખવો હોય તો ખુદને પલળવું પડે! પ્રેમી પ્રેમિકાને છત્રી આપી પલળે છે અને પ્રેમિકા કોરી રહી જાય છે. એમાં વરસાદ કે છત્રી બંને શું કરી શકે? એક મિત્રને સહારો આપતા પોતાને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે! પણ કેટલા લોકો આ માટે તૈયાર હોય છે? વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે ! મિત્રને કોરો રાખવા જે છત્રી છોડી દે એ પણ સાચો વૈષ્ણવ!

આંખોના ઇલાકામાં રહો એક બે દિવસ,

ત્યાંથી તો પછી દિલ સુધી પહોંચી જવાય છે!

દિલ સુધી જવાનો રસ્તો આંખો થકી છે એવું ઘણા ગઝલકારો કહી ગયા છે. આંખોની મસ્તી છે જે ઇશ્ક ને શેહ દે છે. નૈનો કી મત સુનો, નૈના ઠગ લેંગે. કવિ માશુકાને આમંત્રણ આપે છે કે એક બે દિવસ આંખોના ઇલાકામાં રહો, ત્યાંથી પછી દિલ સુધી જવાય છે. બે ત્રણ દિવસ નજર પડ્યા પછી જો ફરી એ ચહેરો તમે શોધવા લાગો તો સમજો કોઈના દિલ સુધી પહોંચી ગયા છો. “ભરી મહેફિલ મેં પલટ પલટ કે દેખના ઉસકા પ્યાર તો નહિ!

મેરે દેખતે હી નઝરે ઝુકા લેના ઈકરાર તો નહિ ?”

સામે જ થોડે દૂર કશે એ ઊભાં હશે,

હું ચાલવા મથું છું, ને દોડી જવાય છે!

ખબર જો મળી જાય કે આ રસ્તે પ્રિય વ્યક્તિ ઊભી છે! દિલની શું હાલત થાય છે? પગ પહોંચે એ પહેલા દિલ ત્યાં પહોંચી જાય છે. એ ઊભાં હશેની સંભાવના પણ આપોઆપ એના તરફ ધસી જવાની તાલાવેલી જગાડે છે અને પગ ભારે હૃદય ભારે હોય છે તેમ છતાં દોડી જવાય છે. ઈચ્છા છે કે પોતાની તાલાવેલીની એમને જાણ ના થાય પણ હૃદય ક્યાં પોતાના વશમાં છે? ચાલવા મથું અને દોડી જવાય છે ! કેવી અદભુત પ્રતીતિ!

રાતો છે જાગરણની, દિવસ દોડધામનો,

બેસું તો મોત, ચાલું તો થાકી જવાય છે.

ઇશ્ક ,મહોબત એની જગા પર, રાતોના ઉજાગરા એની જગા પર તેમ છતાં રોજની દોડધામ તો હોય જ આ બધાની વચ્ચે જો બેસી જાઓ તો મોત નક્કી અને ચાલતા રહો તો થાકી જવાય. “ઇશ્ક ને ગાલિબ નિક્કમા કર દિયા વરના હમ ભી આદમી થે કામકે!” એક તરફ કુઆ દૂસરી તરફ ખાઈ જેવી હાલત થઇ જાય છે. જીવન ગતિશીલ છે અને ગતિમાં રહેવું પડે છે. બેસી જવું એટલે મોત છે. પણ જીવનથી પણ થાકી જવાય છે.

દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું,

દરરોજ એ વિચારમાં ડૂબી જવાય છે!

ઇશ્ક નો દરિયો છે અને પાર ઉતરવાનું છે. જ્યારે મહોબત થઇ જાય ત્યારે ઇન્સાન ખયાલોમાં ખોવાયેલો રહે છે. કોઈપણ રીતે પોતાના પ્રેમને મેળવવાની કોશિશ કરે છે. પણ બધાં વિચારો બધા સપનાં પુરા થવા માટે નથી હોતા. કેટલાક સપનાં હૃદયમાં ઉદભવે છે અને મગજમાં મરણ પામે છે. દરિયો પાર કરવાના વિચારમાં જ ડૂબી જવાય છે. મુઝફર સાહેબની પંક્તિ યાદ આવે છે.” સોચતે સોચતે દિલ ડૂબને લગતા હૈ મેરા, જહેન કી તય મે ‘મુઝફર’ કોઈ દરિયા તો નહિ !

પડકાર સામે હો તો અડીખમ ઊભો રહું,

લિસ્સી સુંવાળી વાતોમાં લપસી જવાય છે.

કવિની ખુમારી અહીં દેખાય આવે છે. જો કોઈ પડકાર કરે તો સામે ઊભા રહે છે. કોઈનો ડર કોઈની બીક નથી. પડકાર જીલવા માટે અડીખમ ઊભા રહે છે. પણ લીસ્સી અને સુંવાળી વાતોમાં લપસી જવાય છે. કોઈ પ્યારના બે બોલ બોલી દે , કોઈ મીઠી અને સુંવાળી વાતો કરે તો લપસી જવાય છે. અહીં એક પુરુષની મર્દાનગી સાથે સાથે એક કવિનું કોમળ હૃદય બંને એક શેર માં મળી આવે છે.

ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ,

આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે!

ગઝલ શી રીતે બને છે? ગઝલ કોઈની હૃદયની વાત શબ્દ થકી કાગળ પર ઊતરે છે. અને એ શબ્દો કાગળ પર આવતા આવતા કેટલી વાર ઘૂંટાય છે અને ક્યારેક કલમ વડે તો ક્યારેક લોહીથી ખરડાઈને તો ક્યારેક આંસુથી ભીંજાઈને કાગળ પર ઊતરે છે. એટલે કવિ કહે છે કે ખાલી ગઝલ હોય તો ફટકારી દઈએ પણ આ તો હૃદયની વાત છે , હાંફી જવાય છે. તમે પણ સર, જિંદગીથી હાંફી ગયા. સલામ કવિ શ્રી ખલીલ ધનતેજવી સાહેબ! જન્નતમાં આપને આલા મુકામ મળે એવી અભ્યર્થના સાથે!

સપના વિજાપુરા

May be a doodle of 2 people and text

All reactions:

29Mumtaz Merchant, Kaushik Shah and 27 others