16 May 2011
આદિલ મન્સૂરી ગઝલ મહોત્સવ
વ્હાલાં મિત્રો ,
શિકાગો ખાતે શિકાગો આર્ટ સર્કલ દ્વારા શ્રી આદિલ મન્સૂરીના ૭૫ વર્ષનાં જ્ન્મદિવસ નિમીત્તે યોજાયેલ આદિલ મન્સૂરી ગઝલ મહોત્સવ મે મહીનાની સાતમી તારીખે ઈ.સ ૨૦૧૧ ના થયો…આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારતથી શ્રી વિવેકભાઈ ટેલર અને શ્રી રઈશ મનીયાર પધારેલા..ન્યુ જર્સીથી શ્રી આદિલ મન્સૂરીના પત્ની શ્રીમતી બિસમીલ્લાહબેન મન્સૂરી પોતનાં પતિને શબ્દાંજલી આપવાં પધારેલાં .શિકાગો આર્ટ સર્કલના ધોરી નસ જેવા શ્રી અશરફભાઈ ડબાવાલા તથા તેમનાં પત્ની મધુબેન મહેતા એ આ પ્રોગ્રામ આયોજીત કરેલ અને શિકાગો આર્ટસર્કલનાં ઘણાં કવિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધેલો..જેમાં ભરત દેસાઈ, અબ્દુલ વહીદ’સોઝ’,કમલેશ શાહ અને સપના વિજાપુરા શામિલ હતાં..
એલ્ક ગ્રોવ વિલેજ હાય સ્કુલનો હોલ ખચાખચ ગુજરાતીઓથી ભરાઈ ગયો હતો..રંગ બે રંગી કપડાંમાં ગુજરાતણો અને ગુજરાતીઓના ચહેરા ઉપર સાહિત્યનો લહાવો લેવાનો ઉમંગ હતો..અને જ્યારે રઈશભાઈએ કાર્યક્રમની ડોર હાથમાં લીધી તો શ્રોતાઓને સાહિત્ય સીવાય હાસ્ય રસનો પણ લહાવો મળ્યો.રઈશભાઈના સ્વભાવ મુજબ રમૂજી રીતે પ્રોગ્રામની શરૂઆત થઈ..ભરતભાઈ દેસાઈને પહેલો મોકો મળ્યો એમણે જુસ્સાથી પોતાની આગવી શૈલીમાં પોતાની બે ગઝલ સંભાળાવી બધાંને મંત્રમુગ્ધ કર્યા હતા.ત્યારબાદ મેં એક અછાંદસ અને એક ગઝલ સંભળાવી લોકોને વિસ્મીત કર્યા હતા.પછી બિસ્મિલ્લાહબેને પોતનાં પતિની યાદમાં એક ગમગીન ગઝલ સંભળાવી લોકોની આંખો છલકાવી દીધી હતી..કમલેશભાઈ અને ‘સોઝ’ સાહેબે પોતાની બબ્બે રચના સંભળાવીને શ્રોતાઓને આકર્ષી રાખ્યાં હતાં ત્યારબાદ મધુબેન ની કાઠીયાવાડી ભાષામાં શબ્દોની રમઝટ બોલી હતી..અને હવે આવ્યા સૌરાષ્ટ્રના કવિવર શ્રી અશરભાઈ જેમનું એક પુસ્તક ‘ધબકારાનો વારસ’ ભાવનગર યુનીવર્સીટીમાં કોર્સ તરીકે લેવાયું છે એમણે કાઠીયાવાડીમાં ગઝલનું પઠન કરી લોકોનાં મન મોહી લીધાં હતા..
હવે શિકાગોના અતિથિનો પઠનનો સમય હતો .પહેલા આપણાં નેટ જગતના લાડકવાયા શરમાળ અને ગંભીર વિવેકભાઈ જેમનાં હાલમાં બે સંગ્રહ બહાર પડ્યા છે ‘ગરમાળો’ અને ‘શબ્દો છે શ્વાસ મારાં’.એમણે ગઝલ અને ગીતનું પઠન કરી શ્રોતાઓના હૈયાઓને જીતી લીધાં..વિવેકભાઈ મૃદુભાષી અને મધૂર વચની છે..એમનાથી મહેફિલમાં ચાર ચાંદ લાગી ગયાં..રમૂજી રઈશભાઇએ તો પહેલેથી જ શ્રોતાઓના દિલ જીતી લીધાં હતા કાર્યક્રમનું સંચાલન એટલી સરળ અને રમૂજી રીતે કર્યુ કે અંત સુધી રઈશભાઈને સાંભળતાં થાકતાં ન હતા અને હાસ્યનાં ફુવારાઓ હાયસ્કુલનાં હોલમા ઊડી રહ્યા હતા..એમણે પોતાની ગઝલ તથા હઝલ સંભળાવી લોકોને આનંદીત કરેલા..બ્રેકમા શ્રી ખંડ ઊંધીયું અને પરોઠા ખાઈ તાજા માજા થઈ ફરી બે કલાકની શબ્દોની રમઝટ બોલી..
આ કાર્યક્રમમાં શ્રી આદિલ મન્સૂરી પણ પધારેલા!! જી હા આદિલજી..!!ટેકનોલોજી અને વિડિઓની કરામતથી શ્રી આદિલજીને અમે ગઝલ પઠન કરતાં સાંભળ્યાં..ત્યારે ખરેખર મારી આંખની ભીનાશ હું ના છૂપાવી શકી. .
બીજે દિવસે શ્રી રઈશભાઈ મણિયાર,અશરફભાઈ ડબાવાલા,મધુબેન મહેતા,ભરતભાઈ દેસાઈ અને અન્ય શિકાગો આર્ટ સર્કલના સભ્ય અને બીજાં અન્ય સાહિત્ય રસિક મારાં ઘરે પધારેલા.રઈશભાઈએ પ્રોજેક્ટર ઉપર ગઝલ કેવી રીતે બનાવવી અને છંદનો ઉપયોગ કેવી રીતે કરવો તથા લઘુ ગુરુની સમજ આપી હતી..શ્રી રઈશભાઈ સાચાં સાહિત્યપ્રેમી છે એની ઓળખ ત્યારે થઈ જ્યારે દોઢ કલાક સુધી કોઈ પણ સ્વાર્થ વગર કવિતાનાં જિજ્ઞાસુ લોકોને જ્ઞાન આપ્યું..આવાં ગુજરાતી ઉપર માન થયાં વગર ના રહે.. લંચ પછી ફરી ગઝલનો અને ગીતનો દોર ચાલુ થયો..મારૂ ઘર કવિતાઓથી ગુંજી ઊઠ્યું..આ માટે હું અશરફભાઈનો હ્ર્દયપૂર્વક આભાર માનું છું..અને સાથે મારાં પતિ શ્રી શરીફ વિજાપુરાનો પણ જે મને લખવા માટે પ્રોત્સાહન આપે છે. શિકાગો ખાતે આવાં કાર્યક્રમ થતાં રહેશે એવી અપેક્ષા સાથે વિરમું છું.
સપના વિજાપુરા
૫-૧૫-૨૦૧૧











