11 Mar 2016
« Older Entries Newer Entries » Subscribe to Latest Posts
રહી રહીને મને દરિયો બોલાવે
ચાંદ રૂપેરી જાળ બીછાવે
ચાલું હું વ્હાલા દરિયા ઉપર
છે મારાં પાલવમાં શંખલા
25 Nov 2015
દશા યાદ
રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ
બીજું તો બધું ઠીક છે આવ્યો ન ખુદા યાદ (મરીઝ)
હર એક કદમ પર છે તમારી જ નિશાની
આવી ન મને આજ તો મારી જ દશા યાદ
મારાં જ તો મૃત્યુ પછી મારી થઈ ચર્ચા
જીવનમાં ન જાણી, છે એને મારી કઝા યાદ
આવીને પથારી કને રડતાં જો હશે એ
કોઈ ના દુઆ કે ન રહેશે કો’ દવા યાદ
આંસું ભરી આંખે એ જો મય્યતમાં પધાર્યા
સોગંદ ખુદાના ન રહી કોઈ ખતા યાદ
આવી એ ઘડી છે કે ન સપના રહી સપના
ભૂલી એ ગઈ દુનિયાને, રહ્યો બસ એ ખુદા યાદ
સપના વિજાપુરા
4 Nov 2015
વાત આવી
મિત્રો,
આ સાથે એક મારી દોસ્ત ચંદ્રાબેને મારાં માટે એટલાં મીઠાં શબ્દો કહ્યા કે હું આપની સાથે શેર કર્યા વગર રહી શકતી નથી..
સપનાનું ઉપવન
ધરા સમી સંતૃષ્ઠ ‘સપના’ સૂરજની ઉષ્ણતા તથા ચાંદની શીતળતા જીલીને શબ્દોની વાવણી કરી કાવ્યોનો પુષ્પોનું ઉપવન મહેકાવે છે.
વાતવાતે એમ તારી વાત આવી
નામ લઉં કોઈનું ને તારી યાદ આવી
દોષ ગણ્યાં રોજ લોકોના ને જુઓ,
આયના સામે લો મારી જાત આવી
તારલાની ગણત્રી પૂછી લો મને પણ
આજ ગણતાં એમને મધરાત આવી
પ્રેમ માટે દોષ સ્ત્રીનો હોય છે બસ
ભીખુ ભાગ્યો, રુખી માટે નાત આવી
વિંટળાઈ સાપ માફક આ એકલતા
રોજ રોજ એવી વિરહની સાંજ આવી
નામ તારું ના રહ્યુ હાથમાં પણ
રંગ વિનાની હિનાની ભાત આવી
સાંજ પડતાં આંખમાં સપનાં રહે છે
તું ન આવ્યો પણ આ તુજ સોગાત આવી
સપના વિજાપુરા
10 Oct 2015
રહેવાય
દર્દ જેવું રોજ દિલમાં થાય છે
વાતે વાતે નામ તુજ લેવાય છે
આડકતરુ કૈંક ગઝલથી મેં કહ્યું
સીધેસીધુ આમ ક્યાં કહેવાય છે?
છોડવા બેસું તો છોડું હાલ હું
ક્યાં મને એક જણ વિના રહેવાય છે?
ચાંદ, રાત્રિ,તારલા છે સાથમાં
એકલા ક્યાં આ વિરહ સહેવાય છે?
લો મલિનતા, ધોઈ મારી ડૂબકી
પણ હ્રદયના પાપ ક્યાં ધોવાય છે?
એક જાતું ને ફરી આવે બીજું
એમ ક્યાં દુખથી પિછો છોડાય છે?
હું તને તાકું, તું તાકે છે મને
આમ સપનાંમાં તું પણ ખોવાય છે
સપના વિજાપુરા
30 Sep 2015
“સમીસાંજનાં સપનાં”
“સમીસાંજનાં સપનાં”નું શ્રી પી કે દાવડા સાહેબે કરેલ રસાસ્વાદ!!!
થોડા દિવસ પહેલા મને સપનાબહેને પોતાનું ગઝલોનું પુસ્તક “સમીસાંજના સપના”. ભેટમાં આપ્યું. આજે એનું વાંચન પુરૂં થયું.
સપનાબહેનની ગઝલો સામાન્ય માણસના જીવનની આસપાસ રચાયલી છે. જીવનમાં આવતી આનંદ અને દુખની લાગણીઓ એમણે સરળ શબ્દોમાં વ્યક્ત કરી છે. એમની ગઝલોમાં ૠજુતા છે, aggression નથી. મોટાભાગની ગઝલમાં કોઈને કોઇ પંક્તિ, કમાનમાંથી વછૂટેલા તીરની માફક નિશાના ઉપર લાગે છે.
એમની ગઝલમાં પરદેશમાં રહેવાથી થતો વતન માટેનો અને કુટુંબ માટેનો ઝુરાપો છે, પ્રેમીઓની લાગણીની વાતો છે, પ્રેમભંગની પીડા છે, ખુદાને બંદગી છે, આમ અનેક વિષય એમની ગઝલોમાં નજરે પડે છે. એમની લેખન શૈલી સમજવા આપણે એમની ગઝલોમાંથી થોડી પંક્તિઓનો આસ્વાદ લઈયે.
શ્યામનાં સપનાં શીર્ષકવાળી ગઝલમાં બે પંક્તિઓ છે,
“તેં કર્યા રસ્તા, હ્રદયમાં આવવા
શ્યામ તો મેં આંખમાં ડેલી કરી.”
સાહિત્યામાં આંખોના ઝરૂખા, આંખોના દરવાજેથી, આંખોની જાજમ, વગેરે પ્રયોગો આ અગાઊ થયા છે, પણ ડેલીનો પ્રયોગ મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી સર્વ પ્રથમ છે. ગામમાં રહ્યા હોય તેને આ ડેલી શબ્દ સમજાસે. દરવાજામાંથી તો માણસ જ પ્રવેશી શકે, પણ ડેલીમાંથી ગાડું અંદર આવી શકે. શ્યામ હવે એના હ્રદયમાં કાયમી મુકામ કરવા આવે છે તો એનો સરસામાન પણ સાથે હશે, એટલે એનું ગાડું અંદર આવી શકે એટલે આંખોમાં ડેલી બનાવી. પ્રતિકો દ્વારા સાહિત્યકારો આપણને દેખાય છે એના કરતાં ઘણું વધારે કહેતા હોય છે.
બીજી એક ગઝલમાં પોતાના દુખ અને લાચારીનું બ્યાન આ પ્રમાણે કરે છે,
“તરફડું હું બંધ ખૂણામાં, તું હસતો જાય છે
અય ખુદા, હું માછલીને આખી દુનિયા જાળ છે.”
હે ખુદા હું જાળમાં ફસાયલી માછલીની જેમ તરફડું છું, આ જાળ આખી દુનિયા જેટલી વિશાળ છે, હવે મને તું એકલો જ આમાંથી બચાવી શકે એમ છે.
સામાન્ય રીતે લોકો ઈશ્વર પાસેથી “અમે આ આપ, મને તે આપ” એમ માંગ માંગ કર્યા કરતા હોય છે, પણ એક ગઝલમાં સપનાબહેન “મને આ ન આપ, મને તે ન આપ” એમ ન જોઈતી વસ્તુઓનું લીસ્ટ આપી રહ્યા છે. અને એમાં એક વિનંતી છે,
“સંબધોએ ખૂબ છળ્યા છે,
સંબંધોનું વળગણ ના દે.”
સાંપ્રતિક સમયનું કેટલું મોટું સત્ય માત્ર બે પંક્તિઓમાં કહી દીધું છે.
કેટલીકવાર ગેરસમજને લીધે સંબંધો ખરાબ થઈ જાય છે અને એને પાછા મઠારવાનું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. થોડા સમય બાદ તો સંબંધ કેમ ખરાબ થયા એ વાત પણ ભૂલાઈ જાય છે. આવી મુંઝવણને વ્યક્ત કરતાં સપનાબહેન કહે છે,
“વફામાં ખોટ ના તારી કે ના મારી છે,
અલગ થયા માર્ગ શા કારણ ખુદા જાણે.”
કેટલાક લોકો પાસેથી કેટલીક વસ્તુઓ મળવી લગભગક અશક્ય છે. આવા લોકો પાસેથી એ મેળવવાની આશા રાખવી એ મૂર્ખામી છે. આ વાત સમજાવતાં સપનાબહેન કહે છે,
“નદી સૂકી પડી, જળની આશ તું રાખ મા,
કદી બાવળ કને ફળની તું આશા રાખ મા.”
અને આ વાત વધારે મજબૂતાઈથી સમજાવવા કહે છે,
“અડીખમ પર્વતો ખસવાની વાતો માનજે,
મનુજ બદલાય એ પળની આશા તું રાખ મા.”
કેટલી સાચી વાત સહજમાં કહી દીધી છે?
એક વાર છેતરાયા પછી કેવી લાગણી થાય છે તેનું વર્ણન કરતાં લખે છે,
“કોઈનો વિશ્વાસ પણ પડતો નથી,
છે જખમ એવો કે એ ભરતો નથી.”
એક ગઝલમાં સપનાબહેન કહે છે કે ચાંદની આખી રાત રોતી રહી, એનો પુરાવો છે સવારમાં દેખાતી ઝાકળ. બીજી એક ગઝલમાં કહે છે, પ્રેમમાં જો માલીકીનો ભાવ આવી જાય તો પ્રેમ સજા બની જાય છે, પણ પ્રેમમાં થોડી Space હોય તો અબોલા પણ રજા બની જાય છે.
૨૦૦૯ થી ૨૦૧૪ સુધીના પાંચ વરસમાં લખાયલી આસરે ૨૦૦ જેટલી રચનાઓમાં આવી અનેક પંક્તિઓ મળી આવશે. સપના બહેનનો પુસ્તક ભેટ આપવા બદલ આભાર.
–પી. કે. દાવડા
30 Aug 2015
સપનું જોઇએ
જીવવાને એક સપનું જોઈએ.
એ જ સપનાં કાજ લડવું જોઈએ.
હોય છે પીડા ઘણી આ પ્રેમમાં,
સૌ એ તો પણ એમાં પડવું જોઈએ.
છો પહોંચી જાય ઊંચાઈ ઉપર,
પણ ખુદાને રોજ નમવું જોઈએ.
સુખ હજારો હોય તારી આસપાસ,
આંખથી આંસું ય દડવું જોઇએ.
યાદ તારી સાચવીને રાખું છું,
ડૂબતાંને એક તરણું જોઈએ.
વેદના સર્વત્ર છે દુનિયામાં અહી,
તોય બાળક જેમ હસવું જોઇએ.
એક સ્મિત દુઃખીને આપી તો જુઓ,
આ મફતનું કામ કરવું જોઈએ.
છો રહે ‘સપનાં’મહેલમાં છતાં,
એક સપનું નોખું તરવું જોઈએ.
બે નયયમાં લાખ સપના ગ્યાં સજી,
એક તો સાચું ય પડવું જોઇએ.
સપના વિજાપુરા
4 Aug 2015
આવડી ગયું
જિંદગીની ચાલ રમતા આવડી ગ્યું
તું કરે છે એમ કરતા આવડી ગ્યું
આ જગતની દોર તારે હાથ છે તો
આ જગતને હાથ ઉડતા આવડી ગ્યું
છેતરી છે જાતને તે તો મને પણ
આંખ મિંચોલી ય કરતા આવડી ગ્યું
તે કહેલી વાત સાચી તો નથી પણ
કાનમાં એ ઝ્હેર ભરતાં આવડી ગ્યું
સાપ જેવી આ ત્વચા છે તો સુંવાળી
ચામડીના મેલ અડતાં આવડી ગ્યું
આંખનાં સપનાં તો છે લલચાવનારા
આંખને પણ લાંચ ધરતાં આવડી ગ્યું
સપના વિજાપુરા
1 Aug 2015
રૂક્ષમણી બા
આજ જ્યારે શબ્બીરનો જન્મદિવસ છે ત્યારે એક વ્યકતિની ખોટ સતત સાલી રહી છે..એ છે રુક્ષમણી બા..આમ જોવા જઈએ તો મારે ને રૂક્ષમણી બા સાથે કાંઈ પણ લોહીનો સંબંધ નહી..પણ મારાં જીવનનો એ મોટો હિસ્સો બની ગયાં હતાં.હેમંતભાઈ જેને હું ઘણા વરસોથી રાખડી બાંધું છું..એ મારા પતિને ૧૯૮૦ માં મળેલા ફાર્મસી બોર્ડની એક્ઝામ વખતે..હેમંતભાઈ વોરા અને અમે વિજાપુરા એટલે પરીક્ષા સમયે બન્નેનો નંબર સાથે આવેલો અને ઓળખાણ થયેલી..વાત વાતમાં હેમંતભાઈએ કહેલું કે આમ એ લોકો મુંબઈથી પણ ઓરીજનલી મહુવાના..બસ એ દિવસથી હેમંતભાઈ મારા ભાઈ બની ગયેલાં..કારણકે હું મહુવાથી છું..અને એમણે એ સંબંધ આજ સુધી જાળવી રાખ્યો છે..
ત્યારબાદ હેમંતભાઈએ રૂક્ષમણી બા ને ભારતથી અમેરીકા બોલાવેલા..અને અમારો પ્રેમનો સંબંધ બંધાઈ ગ્યો..બાએ પણ ‘બા’નો સંબંધ બરાબર નીભાવ્યો..જ્યારે શબ્બીરના સમયે હું પેટસે હતી ત્યારે મારો ખોળૉ ભર્યો અને મોટી પાર્ટી રાખી..મને સોનાની ચેઈન અને એક જોડી કપડા પણ કર્યા..અને જ્યારે હું હોસ્પીટલ ગઈ તો મારી સાથે સાથે હોસ્પીટલ પણ આવ્યા અને શબ્બીરઅને સૌથી પહેલો ખૉળામાં લેનાર પહેલા બા હતાં..આશીર્વાદ આપનાર પણ રૂક્ષમણી બા હતાં..પછી તો ઘણાં પ્રસંગોમાં બા હાજર હતાં..શબ્બીરના લગ્નની કંકોત્રી આપવા હું મુંબઈ ગઈ હતી ત્યારે બા ને છેલ્લા જોયેલા બસ એ છેલ્લા જોયા હતાં..બા હવે ભારતમાં હતાં. શબ્બીરના લગ્નમાં આવવાની એમની ખૂબ ઈચ્છા હતી..પણ આવી ના શક્યા..શબ્બીરના લગ્ન ૫ જુન ૨૦૧૫ ના દિવસે થયાં..અને બા ૨ જુન ૨૦૧૫ ના દિવસે આ દુનિયા છોડી ગયાં. હેમંતભાઈએ અમને જણાવ્યું નહીં..કે તમારો પ્રસંગ બગડે અને તું દુઃખી થાય એમ કહીને…રૂક્ષમણી બા તમે મને ખરા સમયે દગો દીધો…
આજ શબ્બીરના જન્મદિવસે તમે ખૂબ યાદ આવ્યાં..
સપના વિજાપુરા
23 Jul 2015
માંગીશ હું
મારાં ઉદાસ દિવસોનો હિસાબ માંગીશ હું,
મારાં ઉપરના જુલમોનો જવાબ માંગીશ હું
કરચો હજી કણી માફક ખુંચે છે જે આંખમાં,
મારાં બધાં એ તૂટેલાં ય ખ્વાબ માંગીશ હું.
છલકાવ્યા તો નથી મે જામ મયકદામાં કદી,
જન્નતમાં જામે કૌસરની શરાબ માંગીશ હું.
છાયું છે અંધકારે આસમાન આ આજ તો,
તારી અવેજમાં એક માહતાબ માંગીશ હું.
લઈ પીળો રંગ, પીંછીથી બનાવું સૂરજ અહીં,
ઝળહળ કરે જે જીવન આફતાબ માંગીશ હું.
નહીં હુ ડરું કબરનાં અંધકારથી દોસ્ત!
મારી કબરમાં મૌલા અબુ તુરાબ માંગીશ હું.
તારાં કહેરથી દુનિયા ડરે છે જાલિમ છતાં,
નિર્દોષ કાજ તડપીને અજાબ માંગીશ હું.
પંડિત કે મૌલવી જે કહે છે ‘પ્રેમ તો છે ગુનો’
જેમાં લખ્યું ‘ગુનો છે’ એ કિતાબ માંગીશ હું
‘સપના’ સહેજ અમથાં સળવળે નયનની તળે
સંતાડવા એ, પાંપણનો નકાબ માંગીશ હું.
સપના વિજાપુરા
-
Browse
or