« Older Entries Newer Entries » Subscribe to Latest Posts

9 May 2018

મારાં લાગો છો?

Posted by sapana. No Comments

 

સારા લાગો છો
વ્હાલા લાગો છો

સાગર જેવા છો
ગહેરા લાગો છો

આંસું થૈ બેઠા
ધારા લાગો છો

સ્પર્શી લઉં થોડાં
સપના લાગો છો

હોઠોં છે સુકા સઠ
પ્યાસા લાગો છો

સ્પર્શી ના હું શકું
તારા લાગો છો

ફૂલો ઝરતા હસતા
ક્યારા લાગો છો

મીઠાં ઈશારા
મીઠાં લાગો છો

શા માટે આજ
મારાં લાગો છો?

સપનાં મા સપના
સપનાં લાગો છો

સપના વિજાપુરા

21 Mar 2018

તું કવિતા છે મારી

Posted by sapana. 1 Comment

વિશ્વ કવિતા દિન મુબારક!!બસ યું હી હમ લિખતે રહે યહીં દુઆ કે સાથ!!
હું અને તું મળ્યાં
એક કવિતા બની
હું અને તું સ્પર્શ્યા
એક કવિતા બની
ચાંદની રાત તું સાથ
એક કવિતા બની
આપણે જુદાં થયાં
એક કવિતા બની
તું જ છે કવિતા
તને વાંચું કે લખું?
એક કવિતા બની!
હું અને તું મળ્યાં
એક કવિતા બની!!
સપના વિજાપુરા

 

21 Aug 2017

જન્મદિવસ!!

Posted by sapana. 2 Comments

જન્મદિવસ એટલે?
એક કેલેન્ડરનું પાનું
ફાડીને ફેંકી દો
પણ એ તામારા
હ્ર્દય પર અને તમારી જન્મપત્રિકા
પર એક વધારે વરસનો થપ્પો
લગાવી જાય છે!!
તમે હસતાં મોઢે
નવાં વર્ષની શુભેચ્છા
સ્વિકારતા જાઓ અને ધન્યવાદ
કહેતી જાઓ!!
‘જન્મદિવસ મુબારક!!’
‘ધન્યવાદ!!’
સપના વિજાપુરા

12 Jul 2017

એક તું

Posted by sapana. 10 Comments

દિલના હજારો રંગ છે, એક તું
ગમ પણ હજારો,સંગ છે એક તું

તો તું અને હું ક્યાંથી રહેશે સંગમાં
જ્યાં જીતનારો જંગ છે એક તું

તરસે છે મારા પ્રેમને આ જગત
પણ પ્રેમમાં બસ તંગ છે એક તું

વિશ્વાસ છે મળશે એક તું
દુનિયા જલે પણ દંગ છે એક તું

છે હાથ ખાલી,ના કો’ શ્રુંગાર છે
દિલમા જડેલો નંગ છે એક તું

ભૂલું તને શાને હ્ર્દયથી કહે?
દિલ સામે મારી જંગ છે એક તું

આખું જગત છો એક બાજું રહે,
મુજ જિંદગીમાં સંગ છે, એક તું

સપના બની છે મેનકા આજ તો
સમજી લે કે તપભંગ છે એક તું

સપના વિજાપુરા

20 May 2017

બે એરિયામાં ગુજરાતી સમાજ નોર્ધન કેલિફોર્નિયા દ્વારા યોજાયેલ ‘ગુજરાત ગૌરવ દિવસ’

Posted by sapana. No Comments

બે એરિયામાં ગુજરાતી સમાજ નોર્ધન કેલિફોર્નિયા દ્વારા મે ૧૪ ૨૦૧૭ ના દિવસે ગુજરાત ગૌરવ દિવસ ખૂબજ શાનથી ઈન્ડિયા કોમ્યુનીટી સેન્ટરમાં ઉજવવામાં આવ્યો.પ્રજ્ઞાબેન દાદભાવાળાના નેતૃત્વ નીચે છ મહીનાથી વધારે સમયથી જોરદાર તૈયારી ચાલી રહી હતી.કાર્યક્રમનીની શરૂઆત પ્રજ્ઞાબેને સૌ મહેમાનોને સ્વાગતથી કરી હતી અને જ્યાં મળે ગુજરાતી ત્યાં રોજ દિવાળી કહી લોકોના દિલ જીતી લીધા હતાં. સરવસ્તી વંદના સુગમ સંગીતમાં મોટું નામ ધરાવતા શ્રીમતી માધવી મહેતાના મધૂર સૂરથી કરવામાં આવી.તેમના સુરીલા સ્વરે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરેલા. ત્યારબાદ બે એરીયાના સ્તંભ સમા શ્રી સુરેશભાઈ પટેલ જે સુરેશમામા તરીકે જાણીતા છે એમણે શ્રોતાઓને સંબોધન કરેલું. તેમણે જણાવ્યું હતું કે બેઠક તથા પુસ્તક પરબ તથા બે એરિયાની બીજી સંસ્થાઓ મળી ગુજરાતીને જીવંત રાખવાની કોશિશ કરી રહી છે.પ્રજ્ઞાબેન તથા બીજી સંસ્થાઓના કાર્યને બીરદાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે આ ઉત્સવનો હેતુ નવી તથા જુની પેઢીને એક ધાગેથી મજબુત રીતે બાંધવાનો છે.અને બે એરિયાની દરેક સંસ્થાને એક છત્ર નીચે લાવવાનો છે.

ત્યારબાદ એમણે ત્રણ વ્યકતિઓ જે સમાજ સેવા અને દરેક ક્ષેત્રમાં કામ કરે છે એમને વાર્ષિક પુરસ્કારથી સન્માનીત કર્યા હતાં. આ એવોર્ડ શ્રી વિનોદભાઈ પટેલ શ્રી મહેશભાઈ પટેલ અને ચિ.મનીષા પંડ્યાને અર્પણ કરવામાં આવ્યા હતાં.શ્રી વિનોદભાઈ પટેલને સમાજસેવા કરે છે અને ગુજરાતીઓ ને ડગલે લે મદદ કરે છે શ્રી વિનોદભાઈ ભારત અને અમેરિકા વચ્ચે જોડતી કડી બન્યા છે.પરદેશમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક ને સામાજિક કાર્યક્રમો નું આયોજન કરી યુવાનોને પ્રેરણા આપી રાસ ગરબા ફિલ્મ અને લોક નૃત્ય સ્પર્ધા યોજી ૫૬૦ થી વધુ કલાકાર ૪૦ થી વધારે કોરિયોગ્રાફરએ એક મંચ પર એમણે કલાને વિકસાવી છે..શ્રી મહેશભાઈ એક બીઝનેસ મેન તરીકે તથા ગુજરાતી સમાજને મદદરૂપ થવા બદલ અને મનીષા પંડ્યાને બાળકો તથા બાળકીઓને ગુજરાતી સંસ્કૃતી અને નૃત્ય શીખવવા બદલ તેમજ આપણી સંસ્કૃતિ અને અસ્મિતા ટકાવી રાખવા માટે તથા તેને ઝળહળતી રાખવા માટે વિદ્યાર્થીઓને, કલાકારને અને સાહિત્યકારોનો પ્રેરણા આપવા તન અને મનથી સતત પ્રયત્ન કરવા માટે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. શ્રી મહેશભાઈ પટેલને શ્રીમતી શાંતાબેન પટેલે એવોર્ડ અર્પણ કર્યો હતો.

ત્યારબાદ એક બાળનૃત્ય પ્રસ્તૃત કરવામાં આવ્યું. “થપ્પો” હું તો થપ્પો રમુ મારા કાનુડા સાથ” મેઘલતા મહેતાબેનનું આ કાનુડાનું બાળગીત નાના ભૂલકાઓએ પ્રસ્તૃત કર્યુ શ્રોતા મુગ્ધ ભાવે આ અમેરિકામાં વસતા ગુજરાતી બાળકોના મુખે
ગુજરાતી ગીત સાંભળી રહ્યા.સપ્તક વૃંદ બે એરિયાનું સૂરીલું સંગીત વૃંદ છે. અસિમભાઈ મહેતા અને શ્રીમતી માધવી મહેતાના નેતૃત્વ નીચે ૨૬ કલાકારોએ મળીને કર્ણપ્રિય ગીતોથી શ્રોતાને મંત્રમુગ્ધ કર્યા. આ સપ્તક બે એરિયાના સુરીલા કલાકારો મળી એક વૃંદ બનાવ્યું છે. પ્રજ્ઞાબેનના શબ્દોમાં કહું તો ‘એક ડૂબકીમાં તો આખો દરિયો’બે એરિયાના બધાં કલાકારો એક છત્ર નીચે કામ કરે છે. જ્યાં શબ્દો,હોય, સૂર હોય, રાગ હોય, સંગીત હોય, સર્જન હોય, વાધ્ય હોય્ અને સાર્વત્રિક એકતાની સંવેદના હોય ત્યા સપ્તક વૃંદ પહોંચી જાય.આ વૃંદમાં દર્શના ભુતા, અંજના પરીખ, મિનૂ પુરી, નિકિતા પરીખ, પ્રણીતા સુરૈયા,પરિમલ ઝવેરી,મુકેશ કાણકિયા,મહેશ શીંગ, ક્રિશ્ના મહેતા, લહેર દલાલ, બેલા દેસાઈ, નેહા પાઠક, સંજીવ પાઠક, આણલ અંજારિયા, અચલ અંજારિયા,ગૌરાંગ પરીખ, રત્ના મુનશી, પલક વ્યાસ,આશિષ વ્યાસ અને હેતલ બ્ર્હ્મભટ્ટ.સંગીતમય મધૂર ગીતો પછી સહિયર ટ્રુપે એક સરસ નૃત્ય કર્યુ. આસમાની ચૂંદડી અને પીળા રંગના ખૂણિયામાં મુગ્ધા ઓ સુંદર દેખાતી હતી. ૧૯૮૦ માં શ્રીમતી હીના દેસાઈએ ગુજરાતી સસ્કૃતિને અમેરિકામાં નૃત્ય દ્વારા જીવીત રાખવા તેમણે નૃત્ય શીખવાડવાની શરૂઆત કરી હતી. જેની શરૂઆત પોતાની દીકરી રીના દેસાઈ શાહથી કરી. ૧૯૯૪ માં સહિયર ટ્રુપની રચના થઈ.

અંતમાં ભવાઈ કરવામાં આવી જેમાં પ્રજ્ઞાબેન દાદભાવાળાએ રંગલી અને નરેન્દ્ર શાહે રંગલાનો રોલ ભજવ્યો હતો. વિદુષાક તરીક મૌનીક ધારિયા હતાં. ભવાઈ ૧૪ મી સદીમા સ્થાપિત થઈ હતી. અસાઈત ઠાકરે એક વાર એક પટેલની દીકરીની લાજ બચાવી હતી જેથી લોકોએ એને નાત બાર મૂકેલા જીવનનિર્વાહ નો પ્રશ્ન ઊભો થયો તો મંદિરમાં પ્રાર્થના માટે ગયા ત્યાં ઘુઘરા મળ્યા..તો એમના મુખમાંથી તા થૈયા નીકળી ગયું.અને ભવાઈનો જન્મ થયો. એમણે ત્યારબાદ ૩૬૫ વેશ કર્યા. પણ આ જે ભવાઈનો કાર્યક્રમ તે ગુજરાતી ભાષાને જીવંત રાખવાના હેતુથી બનાવવામાં આવ્યો હતો. રંગલો અને રંગલી હસતા અને રડતા આખું નાટક ભજવી જાય છે અને ગુજરાતી ભાષાની એહમીયત સમજાવતા જાય છે. અમેરિકાના જુદાં જુદાં રાજ્યમાં ગુજરાતી ને જીવંત રાખવા પ્રયત્ન થઈ રહ્યા છે. અમેરિકાના બે એરિયામાં એક નાનકડું ગુજરાત બનાવવામાં પ્રજ્ઞાબેનનો મોટો ફાળો છે શ્રી પ્રતાપભાઈ પંડ્યા જે હાલમાં ભારતમાં છે તે અને પ્રજ્ઞાબેન દાદભાવાળા પુસ્તક પરબ અને બેઠક જેવી સંસ્થાઓ ચાલી વાંચન અને લેખનને વેગ આપે છે. મોટા મોટા કલાકારોને નિમંત્રીત કરવા અને કાર્યક્રમ કરવા અને ગુજરાતી ભાષાને બાળકો તથા યુવાનોમાં જીવીત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભવાઈ પછી શ્રી શરદભાઈ દાદભાવાળાએ આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું.કાર્યક્રમના અંતમા પુરી શાક ખમણ દહીંવડા અને ગુલાબ જાંબુના પેકેટ આપી કાર્યક્રમ નું વિસર્જન થયું. અમેરિકાની મિટ્ટીમાં થોડી સુગંધ ગુજરાતની મિટ્ટીની સોડમ ભળી ગઈ જ્યારે અમેરિકામાં ગુજરાતીમાં ભવાઈ થાય છે, ગુજરાતીમાં કવિઓના કાર્યક્રમ થાય છે ત્યારે ગુજરાતમાં ઇંગ્લિશ મીડિયમ બાળકને દાખલ કરવા લાખો રૂપિયા ખર્ચવા માં આવી રહ્યા છે ત્યારે જોઈએ ગુજરાતી ને જીવંત રાખવામાં કોનો મોટો ફાળો હશે!! ગુજરાતનો કે અમેરિકાનો?
સપના વિજાપુરા

16 May 2017

જાય છે

Posted by sapana. 2 Comments

રાત આવે યાદ આવી જાય છે
જુલ્મ તારા એ ગણાવી જાય છે

આસમાને ચાંદ સળગે એકલો
દાગ દિલને ચાંદ ચાંપી જાય છે

માંગી માંગીને શું તું માંગીશ કહે
હાથ ખાલી, હાથ ખાલી જાય છે

એ ખુદા તારી આ દુનિયા બેવફા
હર કો’ દિલને દર્દ આપી જાય છે

વાળ ધોળા થઈ ગયા છે બસ હવે
આ ડહાપણ ઠેસ મારી જાય છે

વાત તારી માનવી મારી ફરજ
વાત મારી તું તો કાપી જાય છે

દીકરો છે એકનો એક આપણો
તુજ ઉપર મા વારી વારી જાય છે

ધારદાર છે આ સપનાં આંખનાં
આંખને એ રોજ વાગી જાય છે.

સપના સપના

13 Mar 2017

પુસ્તક વિમોચન

Posted by sapana. 7 Comments

 

 

મારી લઘુનવલ “ઊછળતા સાગરનું મૌન’નું વિમોચન જાન્યઆરી ૧૬,૨૦૧૭ ના સાંજે છ વાગે શ્રી અઝીઝભાઈ ટંકારવીના હસ્તે થયું. કવિ તથા સંચાલક શ્રી હરદ્વાર ગોસ્વામી એ સંચાલન સંભાળેલું.અતિથિવિશેષ તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાએ હાજરી આપી અમારું માન વધારેલુ. એ સિવાય અમેરિકાથી કવિ મિત્ર તથા સાયન્ટીસ્ટ શ્રી દિનેશભાઈ શાહ, ભુપેન્દ્રભાઈ શાહ, ઉવર્શીબેન શાહ અને કવયિત્રી ગીતાબેન ભટ્ટ એ હાજરી હતી.લંડનથી કવી શ્રી એહમદ ગુલ અનેને કવિ શ્રી બેદાર લાજપૂરીએ હાજરી આપી અમને આભારી કર્યા હતાં.કવિગણ મા રક્ષા શુકલ, રમેશ તન્ના, રમેશ ઠક્કર, વિનય દવે ,અશોક ચાવડા, મનીષ પાઠક, જીજ્ઞા મહેતા સ્નેહા પટેલે ગઝલ અને કવિતાની રમઝટ બોલાવી હતી.આપ સર્વને આમંત્રણ છે આનો વિડીયો જોવા માટે..એક એક ક્ષણ એની માણવા જેવી છે.
સપના વિજાપુરા

https://www.youtube.com/watch?v=DbnTiYlnnKw&t=1404s

13 Nov 2016

“બેઠક” અને “પુસ્તક પરબે” સાહિત્યકાર શ્રી બળવંતભાઈ જાની અને શ્રી અંબાદાન રોહડિયાનું સન્માન કર્યુ

Posted by sapana. 2 Comments

 

dsc_0207

નવેમ્બર ૫,૨૦૧૬ ન દિવસે મિલ્પિટસ,કેલિફોર્નિઆના બે એરીયામાં મિલન રેસ્ટોરન્ટમાં સાહિત્યકાર શ્રી બળવંત જાની સાહેબ અને સાહિત્યકાર શ્રી અંબાદાન રોહડિયાનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત બરાબર પાંચ વાગે સાંજે થઈ.આ સાંજ સાહિત્ય રસીકો માટે યાદગાર સાંજ બની રહી. આ કાર્યક્રમ “પુસ્તક પરબ” ગુજરાતી સાહિત્ય પરિવારના નેજા હેઠળ કરવામાં આવ્યો હતો જેનું સમગ્ર આયોજન “બેઠક” સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું આમ તો બેઠક એજ પુસ્તક પરબ એવું કહેતા પ્રજ્ઞાબેન દાદભાવાળા સૌને પ્રેમથી આવકાર્યાં,પ્રોગ્રામની શરૂઆત સ્નેહમિલન સાથે એપીટાઈઝરમાં ભેળ અને કચોરી અને ફોટો સેશનથી થઇ .

વસુબેન શેઠે તથા જ્યોત્સનાબેને ફૂલગુચ્છથી મહેમાનું સ્વાગત કર્યુ. વસુબેને સરસ્વતી વંદનાથી શરુઆત કરી.પ્રજ્ઞાબેન દાદભાવાળા એ બધાં મહેમાનનું સ્વાગત કરતાં કાઠિયાવાડી લહેકામાં ગીત ગાઈ મહેમાનોને આવકાર્યાં  ‘બેઠક’માં છે આવકાર આપનો નથી ઔપચારિક ભાર ‘બેઠક’ના આંગણીએ રે પ્રેમ તણો સત્કાર. એમણે કહ્યુ કે આ કોઈ એકનું કામ નથી આ સહીયારુ કામ છે.પ્રજ્ઞાબેને સર્વે મહેમાનોને અને વડીલો ને આવકારતા પ્રેક્ષકોને પણ શુભેચ્છા આપી વધાવ્યા અને કહ્યું  આવા કાર્યક્રમ કરી અને સૌ મળીને ભાષાને લીલીછમ રાખીએ છીએ.

પ્રજ્ઞાબેને કલ્પનાબેન રઘુને બેઠક અને એના કાર્ય વિષે માહિતી આપવા વિનંતી કરી. તેમણે “બેઠક’ના કાર્યની અને બેઠકનો હેતુ સમજાવ્યો.’પુસ્તક પરબ’ એજ ‘બેઠક’ છે  પુસ્તક પરબના પ્રણેતા શ્રી પ્રતાપભાઈ પંડ્યા, શ્રીમતી રમાબેન પંડ્યા અને પ્રજ્ઞાબેન લેખન અને વાંચનને ઉજાગર કરે છે,આપણો હેતુ બધાંને વાંચતા અને લખતાં કરવા અને વાંચન દ્વારા લોકોને સર્જન કરતાં કરવાનો .સર્જન થાય તો ભાષા વહેતી રહે સાથે ગુજરાતી સાહિત્યમાં રસ લેતા થાય. સૌ સાથે કામ કરીએ છીએ માટે સહિયારા સર્જનથી ૧૨,૦૦૦ પતાનો મહાગ્રંથ રચાયો છે .જેમાં ૧૦૦ જેટલા સર્જકોએ પોતાનું સર્જન સમાજ સમક્ષ રાખ્યું છે.આ સાથે ‘બેઠક’ સાહિત્યકારોને આમંત્રીત કરવા,સંગિતના કાર્યક્રમ કરવા અને નાટક એકાંકી દ્વારા લોકોને સાહિત્યથી સંકાળાયેલા રાખવા અનેક  આ પ્રયત્નો કરે છે.

તરુલતાબેને કહ્યુ” શ્રી બળવંતભાઈ જાનીની પરિચય કરાવતા કહ્યું કે  મારા માટે સૂરજને દીવો બતાવવા જેવું છે.” શ્રી બળવંતભાઈ જાની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુળપતિ રહી ચૂક્યા છે.હાલમાં શ્રી બળવંતભાઈ જાની ડાયાસ્પોરા સાહિત્ય ઉપર કામ કરી રહ્યા છે.ડાયાસ્પોરાનું નામ આવે અને શ્રી બળવંતભાઈ જાનીનું નામ ના આવે એ તો જાણે એમજ કહેવાય કે આકાશ કાળું ઘેઘૂર થયું અને વીજળી ચમકી અને મેઘરાજા ના આવ્યા..શ્રી બળવંતભાઈ જાની અને ડાયાસ્પોરા સાથે એટલે ‘ દો બદન એક જાન’ જેવું છે.. યુ.કે ના ડાયાસ્પોરા સાહિત્ય માટે ૭૨ જેટલાં સાહિત્યકારોની ૧૪૦ જેટલી રચનાઓના ૧૮ જેટલાં ગ્રંથ પ્રકાશિત થયાં છે.ડો શ્રી બળવંતભાઈ નો ટૂકમાં પરિચય આપું તો એમને અન્યાય થવાનો ભય રહે છે..એટલે જો કોઈ ચૂક રહી જાય તો બળવંતભાઈની માફી માંગી લઉં છું.શ્રી બળવંતભાઈ જાનીએ પી એચ ડી કરેલ છે..અને એ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના વાઇસ ચાન્સલર હતા.અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વિનયન શાખાના ડીન રહી ચૂક્યા છે.એમણે હમેશા સાહિત્યમાં સંશોધન અને વિવેચનમાં તેમના કાર્યને મૂલવે છે અને પ્રકાશિત કરે છે.તેઓ ડિરેક્ટર ઓફ GRIDS છે.ડાયસ્પોરા એવોર્ડ કમિટીમાં,ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ગુજરાતીભાષાના સમિતિના સંયોજક છે.ડો.બળવંતભાઈ જાનીએ દેશવિદેશની યુનિ. માં અધ્યાપકની સેવા આપી છે.ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિ હતા.હાલ સૌરાટ્ર યુનિ.ના ગુજરાતી ભાષા સાહિત્યભવનના અધ્યક્ષ છે.હાલમા એ ડાયાસ્પોરા સાહિત્યમાં સંશોધન કરીને એ વિષય પર ગ્રંથો લખી રહ્યા છે.શ્રી બળવંતભાઈ ગાર્ડી રિસર્ચ ઈન્સટીટ્યુટ ફોર ડાયાસ્પોરાના અભ્યાસમાં ઓનરરી ડાયરેકટર છે.ડાયાસ્પોરા એટલે વિદેશમાં વસતા સર્જકોના સર્જનો વિષે વિવેચન અને એના સર્જનની સાહિત્ય જગત પર થતી અસરનો અભ્યાસ..શ્રી બળવંતભાઈ જાનીએ યુરોપમાં જઈને ડાયાસ્પોરાનો અભ્યાસ કર્યો તો એમને ઘણાં સર્જકો અને એમના સાહિત્ય વિષે જાણવા મળ્યું..એનાં ઉપર એમણે ૧૮ જેટલાં ગ્રંથો લખ્યાં છે.યુરોપમાં એમણે શોધ કરી તો ૨૭ લેખીકાઓ છે..આ ગ્રંથો સિવાય બીજા ૧૦૦ જેટલાં ગ્રંથો લખ્યાં છે જેમાં મધ્યકાલીન સાહિત્ય, સંત સાહિત્ય, ભારતીય ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય શામિલ છે.એમણે ત્રણ મૌલિક પુસ્તકો પણ લખેલાં છે.એ સિવાય અમૂક ગ્રંથોનાં હિન્દી અંગ્રેજીમાં અનુવાદ પણ કરેલ છે.આ સિવાય એ એક સાહિત્યના મોટા વિધ્વાન છે.મારું આ લખાણ ખાલી સૂરજ આગળ દિવો બતાવવા જેવું છે..અને એમની વિધ્વતાની વાતો લખવાં બેસું તો શબ્દો પણ મળતાં નથી…એક જ વ્યકતીમાં આટલી કુશળતા એક સાથે મેં ક્યારેય જોઇ નથી..એમનાં જ્ઞાનનાં સુરજનાં કિરણોની ઝળહળથી હું અંજાયેલી છું..બસ એટલું જ કહીશ..

ત્યારબાદ બળવંતભાઈ જાની ને ગૌરાંગભાઈ પંડ્યાએ ખેશ પહેરાવી સત્કાર્યા અને સુરેશભાઈ પટેલે આ પ્રસંગને યાદગીરી રૂપે મોમેન્ટો આપી બળવંતભાઈ ને નવાજ્યા.શ્રી બળવંતભાઈ ..ડાયાસ્પોરા શું છે અને ગુજરાતી સાહિત્યમાં એનું મહત્વ અને આગળ જતા ઘણી ભાષાઓમાં ડાયાસ્પોરાનું સંશોધન થશે અને ભારતીય સાહિત્ય આ માટે કેટલો રસ લઈ રહ્યુ છે એના વિષે વાત કરી.ભારતીય સરકાર અને શ્રી બાજપાઈએ પણ હવે ડાયાસ્પોરા સાહિત્ય માટે પોલીસી બનાવી છે. અને ગ્રાંટ આપી છે.આમ તો ડાયાસ્પોરાનો અર્થ તડીપાર કે દેશનિકાલ જેવો નકારત્મક થાય છે..પણ અહીં દેશપાર ગયેલાં સાહિત્યકરોને ઉજાગર કરવાનું નામ છે. શ્રી બળવંતભાઈ આ સંશોધનથી વિદેશમાં વસતા સાહિત્ય સર્જકોને દુનિયા સામે લાવવા માટે બીડુ ઝડપ્યું છે..અને અવિરત અને અથાક પ્રયત્ન કરી રહ્યા છે..આ સંશોધન સતત પ્રયાસ સમય અને ઉત્તમ મનોબળ માંગે છે જે શ્રી બળવંતભાઈમાં ભારો ભાર છે .બળવંતભાઈની વાણી અવિરત વહી રહી હતી અને સાહિત્ય પ્રેમીઓ એમાં ડૂબકી લગાવી રહ્યા હતાં..એમના સંશોધન વિષે થોડાં ઉદાહરણ આપીને પણ સમજાવ્યું.જેમાં દીપક બારડોલી તથા અદમભાઈ ટંકારવીની ડાયાસ્પોરા ગઝલ અને આદિલ મન્સુરી, એહમદ ગુલ ની વતન ઝૂરાપાની ગઝલ,મેઘના દેસાઈના રાજકીય નિબંધો વિગેરેના ઊદાહરણ આપ્યા. પન્નાબેન નાયક બાબુભાઈ સુથારને એમના સાહિત્યીક કાર્ય માટે બીર્દાવ્યા.સભામાં હાજર ડો.બાબુભાઇ સુથારને 2010માં ગુજરાતી ડાયસ્પોરા સર્જક એવોર્ડ અપાયો હતો.પરદેશમાં રહેતા સાહિત્યકારોની વેદનાથી માંડી પ્રસન્ન્તા સુધી લાગણીઓને સન્માની.

ત્યારબાદ જાણીતા કવ્યિત્રી જયશ્રીબેન મરચંટે શ્રી અંબાદાન રોહડિયાનો ટૂંકમાં પરિચય આપ્યો. શ્રી અંબાદાન ચારણી અને લોકભાષાના સાહિત્યકાર છે. એમણે ૫૦ જેટલાં મૌલિક ગ્રંથો લખ્યાં છે. આકાશવાણી અને દૂરદર્શન પર ૩૦ જેટલાં વાર્તાલાપ કરેલાં છે. એમના માર્ગદર્શન નીચે ૧૭ જેટલા વિધ્યાર્થીઓએ પી એચ ડીની ડીગ્રી મેળવી છે તથા ૫૧ જેટલા વિધ્યાર્થીઑએ એમ. ફિલની ડિગ્રી મેળવી છે.એમને ઘણાં એવોર્ડ મળ્યાં છે જેમાં દુલા કાગ,ગુજરાત સાહિત્ય અકાદમીનાં સંશોધન વિભાગનું દ્વિતિય સાહિત્ય પારિતોષિક વિગેરે. એમના વિષે વાત કહું તો સાત પાનાના નો પરિચય થાય તો એના કરતા આપ  સૌ એમને રૂબરૂ  માણો અને આમત્રણ આપ્યું.

 શ્રી અંબાદાન રોહડિયાએ સૌરાષ્ટ્રની મીઠી ભાષામાં ચારણી સાહિત્ય અને લોકસાહિત્ય વિષે માહિતી આપી. અને એમાં મેઘાણીની “ચારણકન્યા” અને દુલા કાગના દુહાની રમઝટ બોલાવી. શ્રોતાઓ મુગ્ધતાથી એમની વાત સાંભળી રહ્યા. ચારણી અને લોકસાહિત્યને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સ્થાન મળ્યુ એનો આનંદ વ્યક્ત કર્યો. નારીશક્તિનું સન્માન ,રાજા પ્રત્યેની વફાદારી છતાં સચ્ચાઈને કહેવાની મર્દાનગી વઁદનને પાત્ર છે.તેમને કન્ઠસ્થ ચારણી દુહાઓની તેમણે અતૂટ રસધારા વહેવડાવી.ચારણોને કવિતા ,વીરતા ,શ્રદ્ધા ,ખુમારી ગળથુથીમાં મળ્યા છે.જે ધરતીમાંથી તેઓએ બળ મેળવ્યું છે,તેની ખૂલ્લાદિલે વાત કરતા,દુનિયાના લોકો ચારણીસાહિત્યને જાણે ,માણે તેવી ઋણ ચૂકવ્યાની લાગણી હતી.આ સાથે રમાબેન પંડયાએ ખેશ અર્પણ કરી આશીર્વાદ આપ્યા અને પ્રતાપભાઈ પંડ્યાએ સુરેશભાઈ અને સૌ સાથે ભેગા મળી અંબાદાનભાઈને મોમેન્ટો અર્પણ કર્યો.

અંતમાં શ્રી પ્રતાપભાઈ પંડ્યાએ મહેમાનો આભાર માન્યો. પ્રજ્ઞાબેનનો પણ આભાર માની સાહિત્યનું કામ આગળ ધપાવા માટે અભિનંદન આપ્યા.એમને ભ્રમરકડી કહી બે સંસ્થાના સુત્રધાર કહ્યા. શ્રી બળવંતભાઈ જાની અને શ્રી અંબાદાન રોહડિયા એ “પુસ્તક પરબ”ને બબ્બે ગ્રંથૉ ભેટ આપ્યાં. અને “બેઠક” તરફથી પ્રજ્ઞાબેને ” મારી બારી માહેથી” પુસ્તક જે બે એરીયાનું સહિયારુ સર્જન છે તે શ્રી બળવંતભાઈ જાનીને આપ્યું.ડિનરમાં ઊંધીયુ.ચોળીનું શાક , ભરેલાં રિંગણાનું શાક, કચોરી, ખમણ, પૂરી રૉટલી, બરફી અને લાડવા અને છેલ્લે ચા..બાપુ જલસો પડી ગયો..કાઠિયાવાડી કહુંબાનો સંગ અને કાઠિયાવાડી ભોજન અમેરિકાના બે એરિયામાં!! આનાથી વધારે સુખ બીજું શું હોય?

બીજા દિવસે હરકિશન દાદા મજમૂદાર અને એમની પત્નિ પ્રેમલતાબેનને શ્રી બળવંતભાઈ જાનીએ ગાર્ડી સોશિયલ એવોર્ડ આપ્યો. દાદા હરકિશનભાઈ બે એરિયાના ગુજરાતીઓને ઈમીગ્રેશન માટે અને બીજી ઘણી મદદ કરેલી છે. દાદા લોયર છે. દાદા હરકિશનભાઈ અને પ્રમિલાબેન.એમની નિસ્વાર્થ સેવાઓને બિરદાવવા આવી હતી.આવા સાહિત્યના કાર્યક્રમ બે એરીયા તથા અમેરિકામાં થતા રહે તેવી શુભેચ્છા સહ!!!
સપના વિજાપુરા

3 Nov 2016

સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરી સાહેબનું બે એરીયામાં સ્વાગત!!

Posted by sapana. 1 Comment

img_1670

img_1682

ભારતીય જ્ઞાનપીઠ પારિતોષક વિજેતા સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીનુ કેલિફોર્નિઆના બે એરીયામાં સ્વાગત અને સંન્માન કરવામાં આવ્યું. ઓકટોબર ૨૩, ૨૦૧૬ ના દિવસે બપોરે એક વાગે કાર્યક્રમની શરૂઆત થઈ. આ કાર્યક્રમ મહેન્દ્રભાઈ મહેતાના હાથ નીચે સંયોજીત કરવામાં આવેલો.ટહૂકોએ આ કાર્યક્રમને સ્પોન્સર કરેલો. બેઠક,ડગલો,ગ્રંથગોષ્ટી,અને પુસ્તક પરબે આ કાર્યક્રમને સપોર્ટ કરેલો. કાર્યક્રમની શરૂઆત શારદા સ્તૃતિથી થઈ
પછી હેતલ બ્રહ્મભટ્ટે “વૈષ્ણવ જન તો એને રે કહીએ” ભજન ગાયેલું. યારબાદ જ્યશ્રીબેન મરચંટે મહેમાનનું સ્વાગત કર્યુ.કવિ શ્રી બાબુભાઈ સુથારે કાર્યક્રમનું સંચાલન સંભાળ્યું.સંચાલનની શરૂઆત શ્રી રઘુવીર ચૌધરી સાહેબના દિર્ઘકાવ્ય “બચાવનામુ”માંથી ચાર પંક્તિ
વિતતભર્યો વંટોળ વિશ્વમાં ઝળુંબવાનો,
દીવો થાય ના રાણો, શબધ ધરું હું આડો,
રચું અલ્પ એકાકી સતનું બચાવનામું
અંધકારની અમાસમાં ધ્રુવ તારક પામું”
સત્ય કરતાં અસ્ત્યનું ચલણ’થી શરુઆત થઈ..શ્રી રઘુવીર ચૌધરી સાહેબનો જન્મ બાપુપુરા ગામમાં એક ખેડુત પરિવારમાં થયેલો.હિન્દી ભાષામાં એ ખૂબ જ પ્રવિણ એક આધ્યાપક તરીકે ખૂબ જ આદર પામ્યાં. “અમૃતા”૧૯૬૫ માં એમની પ્રથમ પ્રેમ કવિતા ગદ્યમાં લખાયેલી ખૂબ પ્રખ્યાત થઈ હતી. જેની દસ આવૃતિઓ પ્રકાશિત થઈ છે.શ્રી રઘુવીર ચૌધરી સાહેબની પચાસ નવલકથા,દસ નવલિકાઓ અને સાત કાવ્યસંગ્રહ એ સિવાય એ પ્રવાસ વર્ણનના પુસ્તકો અને વિવેચનના પુસ્તકો, રેખાચીત્ર,સંપાદન અને અનુવાદ આમ કુલ મળીને દોઢસો જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે.

૨૦૧૩ માં સાહિત્ય અકાદેમી, દિલ્હી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.દર્શક એવોર્ડ, ઉત્તર પ્રદેશ તરફથી સૌહાર્દ પુરસ્કાર, હિન્દી સાહિત્ય અકાદમી તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર, ક. મા. મુનશી એવોર્ડ, રણજીતરામ સુવર્ણચંદ્રક, કુમાર ચંદ્રક, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક વગેરે અનેક પુરસ્કારોથી શ્રી રઘુવીર ચૌધરીને નવાજવામાં આવ્યા છે.ગુજરાતી સાહિત્ય પરિષદ, દર્શક ફાઉન્ડેશન, ગ્રામભારતી, લોકભારતી, મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશન, આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ જેવી શૈક્ષણિક – સામાજિક સંસ્થાઓના ટ્રસ્ટીપદે કાર્યરત છે. તો ગુજરાતી સાહિત્ય પરિષદનું ભવન રઘુવીર ચૌધરીના અથાગ પ્રયત્નોના ફળસ્વરૂપ છે. આદરણીય સર્જક રઘુવીર ચૌધરીની સાહિત્ય શિક્ષણ અને સમાજ પરત્વેની કાર્યનિષ્ઠા અપ્રતિમ છે.

કાર્યક્રમમાં ચાર જ્ઞાનપીઠ એવોર્ડ મેળવેલાં કવિઓ શ્રી રઘુવીર ચૌધરી, શ્રી ઊમાશંકર જોશી, શ્રી પન્નાલાલ પટેલ અને શ્રી રાજેન્દ્ શાહની કવિતઆઓને સ્વરકંઠ ટહૂકો પરિવારના સુરીલા સભ્યોએ આપ્યો.જેમાં શ્રી રઘુવીર ચૌધરીનું “શબધનો અજવાસ” શ્રીમતી હેતલબેન બ્રહ્મભટ્ટે, ઊમાશંકર જોશીનું “ભોમીયા વિના મારે ભવમવાતા ડુંગરા, નિકુંજ વૈદે “રાજેન્દ્ર શાહનું ” નિરુદેશે સંસારે” આણંદ અંજારીયાએ અને શ્રી રઘુવીર ચૌધરીનું ” આમ રે જુઓ તો અમી થાય,” અચલ અંજારીઆના કંઠમાં ગવાયેલ આ કાવ્ય શ્રી રઘુવીર સાહેબના હ્ર્દયને સ્પર્શી ગયું.હેતલબેન બ્ર્હમભટ્ટે રાજેન્દ્ર શાહનું ” મન મેં તારું જાણ્યું ના,આને છેવટે ચારે સુરીલા ગાયકોએ રાજેન્દ્ર શાહનું “સંગમા રાજી રાજી” આ સરસ સુગમ સંગિતનું નજરાણુ શ્રી રઘુવીર સાહેબને ધરવામાં આવ્યું.

ત્યારબાદ શ્રી રઘુવીર ચૌધરી સાહેબનું સન્માન કરવામાં આવ્યું.જેમાં એમ્બેસેડર શ્રી વેંકટેશન અશોકનો મેસેજ વાંચવામાં આવ્યો. મિલ્પીટસ, કેલિફોર્નીઆના મેયર પધાર્યા હતાં, જેમણે શબ્દોથી શ્રી રઘુવીરભાઈનું બહુમાન કર્યા પછી સીટી ઓફ મીલ્પીટસનો એવોર્ડ અર્પીત કર્યો. જયશ્રીબેન મરચંટે તથા સુરેશભાઈ પટેલે એમને શાલ પહેરાવી બહુમાન કર્યુ. ત્યારબાદ શ્રી રઘુવીર ચૌધરી સાહેબે નાનકડી પણ હ્ર્દયમાં સોંસરવી ઉતરતી સ્પીચ આપી.જેમાં એમણે જણાવ્યું કે માણસથી મોટું કૈંક છે જે સંસાર ચલાવે છે.અને જ્ઞાનપીઠ એવોર્ડના મેળવનારા ચાર સશકત સાથીઓ માટે કહ્યુ કે,” આ અવોર્ડ આપી ગુજરાતી ભાષાનું સન્માન થયું છે.”શ્રી રઘુવીરભાઈની પ્રતિભા એમની યુવાન વય જેવી સ્ફૂરતી અને સફેદ વસ્ત્રોમાં આભા આપતું નૂર અને મધૂર સ્મિત પૂરતાં હતાં સ્ટેજને સજાવવા માટે પણ એમના વકત્વ્યએ મનને હરી લીધું.

૧૦ મિનીટના ૨ વાચીકમ – અભિનય સાથે વાંચન રજૂ કરવામાં આવ્યાં. પહેલા વાચિકમમાં બે ગુજરાતી જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતાઓ શ્રી પન્નાલાલ પટેલ અને શ્રી રઘુવીરભાઈ ચૌધરીની આત્મકથાનક સ્ક્રીપ્ટ અદભૂત રીતે શ્રી બાબુભાઈ સુથારે લખી હતી જેને ખૂબ સુંદર રીતે શિવાની દેસાઈ અને કલ્પના રઘુએ રજુ કરી. બીજું વાચિકમ શ્રી પન્નાલાલ પટેલની ટૂંકી વાર્તા “કંકુ”ને કલામયતાથી શ્રી બાબુભાઈ સુથારે સંક્ષિપ્ત કરી અને દીપલ પટેલ અને પૃથા દેસાઈએ સરસ રીતે રજુ કરી. આ સિવાય શ્રી રઘુવીર ચૌધરી સાહેબની પુસ્તીકા “વિતતભર્યો વંટૉળ”નું સંકલન પણ બાબુભાઈ સુથારે કર્યુ છે. આ સાથે સ્મ્રુતિગ્રંથ સુવેનીઅર પણ બાબુભાઈ સુથારનું સર્જન હતું જે દેશના બીજા રાજ્યોમાં પસંદ કરાયું. શ્રી બાબુભાઈ સુથારે ખૂબ જ ઝીણવટથી જરાપણ કચાશ વગર સુંદર સર્જન કર્યુ.આ સંચાલનની તૈયારી બાબુભાઈ કેટલાક સમયથી કરી રહ્યા હતાં.
શ્રી રઘુવીર સાહેબનું નાટક ” પસંદગી” રાજુભાઈ અને ટીમે ભજવ્યું. આ માર્મિક નાટક પરથી સમાજમાં ફેલાયેલી બદહવાની ઓળખાણ થઈ.છેવટે શ્રી મહેન્દ્રભાઈએ આભાર વિધી કરી.આ કાર્યક્રમ ગુજરાતી લીટરલી એકેડમી ઓફ નોર્થ અમેરિકા અને ટહુકાના સૌજન્યથી – સ્પોન્સરશીપથી આ પ્રોગ્રામનું આયોજન શક્ય બન્યું હતું. બે એરિયાની લોકલ સંસ્થાઓ બેઠક, ડગલો, ગ્રંથગોષ્ટી,અને પુસ્તક પરબના સમર્થન અને સપોર્ટથી આ કાર્યક્રમ દીપી ઊઠ્યો હતો. આ કાર્યક્રમના દાતાઓએ ઉદારતાથી પોતાનો ફાળૉ આપ્યો જેમાં GCA, ICA, BAYVP, BAPS and JCNC, GCA & અને એના પ્રમુખ મહેશ પટેલે પણ ફાળો આપેલો. ચાર વાગે કાર્યક્રમની સમાપ્તિ થઈ.છેવટે શ્રી રઘુવીર સાહેબના શબ્દો થકી સમાપન કરીશ સંગીત ની કક્ષા ભારત માં સમન્વય સાંભળવા મળતા સંગીત જેવું હતું મારા ગીત ની અચલ ની પ્રસ્તુતી મને સ્પર્શી ગઈ વાચિક્મ નો પ્રયોગ સફળ થયો, બાબુભાઇ ની દોરવણી દોરવણી ને દોરવણી ને કારણે.મારૂ લખેલું નાટક આવા સુંદર અભિનય સાથે ભજવાયું તેથીં આનંદ અને આશ્ચર્ય થયુ. આયોજન બીજી સંસ્થાઓ ને ઈર્ષા થાય તેવું સરસ થયું. અને અંતમા એમની હ્ર્દયની ઈચ્છા ” મારી કવિતા કોઈનાં ભ્રમ, અંધશ્ર્ધ્ધા અસદ અને હિંસા નિવારવામાં સહેજ પન ખપમાં આવે તો જેને હું ફૂલ કહેતો હોઉં એને બીજા ખાતર કહે તો પણ મને વાંધો નથી.”
ઓકટોબર ૨૨, ૨૦૧૬ ના દિવસે પણ સર્જક સાથે સાંજ નો કાર્યક્રમ થયેલો જેમાં લગભગ પચાસ જેટલાં સાહિત્ય રસિકોએ ભાગ લીધેલો,જેમાં હું જઈ શકી ન હતી.
સપના વિજાપુરા

27 Sep 2016

ધારણ તું પૂછ મા

Posted by sapana. 1 Comment

stock-footage-silhouette-of-young-man-and-woman-sitting-on-the-beach-and-talking-to-each-other-beautiful-sunset

આ ઉદાસીનું કારણ તું પૂછ મા
જિંદગીનું શું તારણ તું પૂછ મા

આપણા રસ્તા શાને ફંટાયા છે
કોઇ કારણ બે કારણ તું પૂછ મા

બોજ દુનિયાનો ઊઠાવી ચાલ તું
શ્વસવું પણ છે ભારણ તું પૂછ મા

પ્રેમનું બી દિલમાં ઊગ્યુ તો ઊગ્યુ
પ્રેમનું કોઈ મારણ તું પૂછ મા

ઝાંખરા વળગી ગયાં છે દિલમાં ઘણાં
તોડવા શે આ ઝારણ તું પૂછ મા

હું ભરું ડગને રસ્તા દોડી ગયાં
વિસ્તરી ગયાં કેવાં રણ તું પૂછ મા

કોઈ કઈ પણ ધારે તું તો તું જ છે
કોઈ માનવનું ધારણ તું પૂછ મા

રાતમા તારાં ‘સપનાં’ ને ચાંદની
આ નશાનું છે ઘારણ તું પૂછ મા

સપના વિજાપુરા