16 Sep 2018

પ્રેમ એક પરમ તત્વ -2-ગુરૂ -સપના વિજાપુરા

Posted by sapana

પાપા પગલી કરતું બાળક માં ના ખોળામાં થી નીકળી હવે ડે કેર માં જાય છે!!
મને યાદ છે એ દિવસ જ્યારે પ્રથમવાર એને  ડે કેર માં છોડી આવી હતી. ગળામાં ડૂમો ભરાયેલો હતો.અને જાણે એક કલેજાનો એક ટૂકડો છૂટો પડી રહ્યો હતો!! પતિ કહે આ બધું એનાં ભવિષ્ય માટે કરવાનું છે!! સાચી વાત છે!! પણ હ્ર્દય ના માને!!  ડે કેરની બારીમાં થી હાથ લાંબાં કરી રડતો રડતો એ મને બોલાવી રહ્યો હતો!! ઘેર આવી ટીચર ને ચાર પાંચ કોલ કરી નાખ્યાં!! બેકગ્રાઉન્ડમાં એનાં રડવાનો અવાજ સંભળાતો હતો!! આ હતો અમારો પહેલો વિરહ અને   પ્રેમ અહેસાસ !! એ દિવસે દિવસે ડે કેરમાં સેટ થઈ ગયો!! અનેક  મિત્રોને મળવાની ઉત્સુકતા!! અને ટીચર !! આ હતો એનો બીજો પ્રેમ ગોરી ટીચર !! અને ટીચરની વાતો મારામાં ક્યાંક ઈર્ષા જગાવી જતી!! અને એનાં નાના નાના મિત્રો એને મારાથી દૂર કરી રહ્યા હતાં.પ્રેમમાં નિકટતા જરૂરી છે.ગોરી ટીચર અને મિત્રો સાથે લગભગ આખો દિવસ નીકળીજતો!! ઘેર આવીને પણ એમની વાતો!! ડૅ કેર ના રમકડા અને ગેઈમ!! આ બધું પ્રેમમાં ઉમેરાવા લાગ્યું!! વસ્તુ અને ઘર સાથે પણ પ્રેમ થાય છે!! લાગણીને ક્યાં આંખો છે!! પ્રેમ માં કોઈ બંધન નથી!! પ્રેમમાં રંગભેદ નથી જ્ઞાતિભેદ નથી!! પ્રેમમાં ગોરી ટિચર હોય કે મેક્સીકન માઈકલ હોય બન્ને તમારાં હ્ર્દયને સ્પર્શી જતાં હોય છે!! એટલી હદ સુધી કે માઈકલને વાગે તો એને ચોટ લાગે અને ગોરી ટીચર જો એ ક્લાસ છોડી જાય તો એની આંખો આંસું થી છલકાઈ જાય! ગુરુ કે શિક્ષકનું કેટલું મહત્વ છે અને વિધ્યાર્થીના દિલમાં કેટલું સ્થાન છે એ દરેક વિધ્યાર્થી જાણે છે!! અહી વાલી બાળક અને શિક્ષકને જોડતું એક માત્ર તત્વ પ્રેમ છે પ્રેમની ભાષા ભલે અલગ હોય પણ બન્ને પક્ષે  પ્રેમ એક નિખાલસ પ્રેમ છે. એમાં સ્વાર્થ ને સ્થાન નથી!!
જેમ ભક્ત ઈશ્વર સામે જુએ છે એજ રીતે એક શિષ્ય શિક્ષક સામે જુએ છે!! શિષ્યની જિજ્ઞાસાને સંતોષવા માટે શિક્ષક જીવ જાનથી પ્રયત્ન કરે છે!! ગાંધીજીએ કહ્યું છે, “વિદ્યાર્થીને કેળવે તે કેળવણી”.અને માટે જ  બાળકનો  પહેલો  ગુરુ માં છે તેજ રીતે  એ શિક્ષક ને ખૂબ આદર અને પ્રેમ આપે છે!! મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શીક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.માતાને પોતાના તાજા જન્મેલા બાળકનું મો પ્રથમવાર બતાવવામા આવે છે,ત્યારે એના હદયના ભાવો કોણ પારખી શકે છે? વાત્સલ્ય, કૃતકૃત્યતા, સમર્પણ. શિક્ષક પોતાના નવા બાળકોનું મો પહેલીવાર જુવે ત્યારે એના દિલમાં જે પવિત્ર લાગણીઓ ઉઠે છે. એનું વર્ણન કોણ કરી શકે ? એમાં પણ વાત્સલ્ય છે, કૃતાર્થતા છે, સમર્પણ છે.આપણા શાસ્ત્રોમાં તો ગુરુને ખૂબ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે!!ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાવ, ગુરુ કો લાગુ પાવ જીસને ગોવિંદ દિયો બતાય!!
વિદ્યાર્થીને સમજીને, ચાહીને, નજીક લાવીને એનો વિશ્વાસ સંપાદન કરવો, એનો પ્રેમ એવી રીતે મેળવવો કે તે જ્ઞાન અને કર્મને આપોઆપ રસ પૂર્વક મેળવવા ઉત્સુક બને.શિક્ષકને મળવાની ઉત્કંઠા બાળકને ક્લાસમાં અભ્યાસમાં અને આદરમા વધારો કરે છે!! પ્રેમ અહીં જુદું સ્વરૂપ લે છે!! એ છે,આદરનુ!! હવે બાળક શિક્ષક દ્વારા અપાતા સંસ્કારો ઝીલવા તત્પર બને છે. એજ સાચી ભક્તિ નું સ્વરૂપ લે છે.નાના બાળકના દિલમાં ભક્તિ એટલે  પ્રેમ, હુંફ, ભાવના, લાગણી, માન આપવાનું કે તેની કદર કરવાનું કાર્ય એક શિક્ષક કરે છે અને શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેના આ પ્રેમ ભર્યા સબંધોને કારણે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે પ્રેમ અને એખલાસ પાંગરે છે.
પ્રેમ, લવ, ઈશ્ક, મુહબ્બત, પ્યાર, ચાહત, નામ તમે ગમે તે આપો પણ સીધો સાદો અર્થ તો થાય છે ચાહવું, ચાહવું અને ફક્ત ચાહવું. પ્રેમને અનેક નામ આપી દો પણ પ્રેમ એક નામ પૂરતું છે પ્રેમ એક માતા પુત્રનો, સાસુ-વહૂનો એક મિત્ર નો બીજા મિત્ર સાથે, ભાઈ બહેન નો, ગુરુ-શિષ્યનો કોઈ પણ રૂપ માં હોય છે.પ્રેમ દર્શાવવા માટે!!
સપના વિજાપુરા

Leave a Reply

Message: