« Older Entries Newer Entries » Subscribe to Latest Posts

22 Jul 2023

મોહર્રમ :3

Posted by sapana. No Comments

(મોહર્રમ ની આજ આઠમી તારીખ થઈ છે .)

ઇમામ હુસૈન બીજી તારીખે કરબલા પહોંચી ગયા. તંબુઓ તણાય ગયાં. હઝરત અબ્બાસ જે ઇમામ હુસૈનના ભાઈ હતા. તે આખી રાત તંબુઓનો પહેરો દેતા હતા. રોજ એક લશ્કર યઝીદનું જુદાં જુદાં સરદાર સાથે આવી જતું હતું. બીબી ઝયનબનું દિલ બેસતું જતું. એમણે ઇમામ હુસૈનને પોતાના તંબુમાં બોલાવ્યા. બીબી ઝયનબે ઇમામ હુસૈનને કહ્યું,” ભાઈ રોજ યઝીદનું એક લશ્કર આવે છે. તમે પણ કોઈને બોલાવો જે તમને મદદ કરે.” ઇમામ હુસૈને કહ્યું,” બહેન કોને બોલાવું? જ્યારે નાના વફાત પામ્યા ત્યારે કોણ આપણને મદદ કરવા આવ્યું? જ્યારે અમ્મા વફાત પામ્યાં ત્યારે કોણ આપણને મદદ કરવા આવ્યું? જ્યારે બાબા અને ભાઈ હસન શહીદ થયાં ત્યારે કોઈ આપણને મદદ કરવા ના આવ્યું. હવે હુસૈનને મદદ કરવા કોણ આવશે? બીબીએ ફરમાવ્યું, “આપ આપના દોસ્ત હબીબ ઈબ્ને મઝાહીર ને મદદ માટે બોલાવો.” ઇમામે બહેનની વાત માની હબીબને પત્ર લખ્યો જે કુફામા હતા. કાસિદ પત્ર લઈને ગયો. જમવાનો સમય હતો. કાસિદ પત્ર લઈને આવ્યો. હબીબે પત્ર વાંચ્યો. તેમની પત્નીએ પૂછ્યું કોનો પત્ર છે. હબીબે જણાવ્યું, ‘ઇમામ હુસૈનનો પત્ર છે. મુશ્કેલીમાં છે બોલાવે છે વિચારું છું કે જાઉં કે નહીં ?’ પત્નીએ હજુ સાંભળ્યું નહિ કે પોતાના હાથની ચૂડી હબીબને આપી કે તમે આ ચૂડી પહેરો હું જઈશ ઇમામને મદદ કરવા.હબીબે કહ્યું ‘હું તારું મન જાણવા માંગતો હતો. બાકી ઇમામ હુસૈન મારા બચપણ નો મિત્ર છે હું કેમ ના જાઉં મદદ કરવા ?’

હબીબ રાતના અંધારામાં કરબલા તરફ રવાના થયા.. કુફાથી કરબલા દૂર નથી. હબીબ કરબલા પહોંચી ગયા. દૂરથી ઘોડાને આવતો જોઈ ઇમામ હુસૈન સમજી ગયા હબીબ આવી રહ્યા છે. ઉઠીને હબીબને ગળે લગાવ્યા. બીબી ઝયનબને સમાચાર મળ્યા કે હબીબ આવી ગયા છે.તો એમણે હબીબને સલામ મોકલ્યા. હબીબે માથું ફૂટી લીધું કે હાય હાય મારા નબીની શહેઝાદી મને સલામ મોકલે છે! એ કેટલી મજબૂર હશે!

હબીબ અને ઇમામ હુસૈન બચપણ થી મિત્રો હતા. હબીબ જયારે પાંચ વર્ષના હતા ત્યારે ઇમામ હુસૈનની પાછળ પાછળ ચાલતા અને જ્યાં જયાં ઇમામ હુસૈનના પગલાં પડતાં ત્યાંની ખાક લઇ માથે મૂકતા. એકવાર હબીબના વાલિદે રસુલે ખુદાને દાવત કરી અને કહ્યું કે ઇમામ હુસૈન અને હબીબ એક બીજાને ખૂબ ચાહે છે. તો સાથે રમશે. હબીબને ખબર પડી કે હુસૈન આવવાના છે. તો છત પર જઈને રાહ જોવા લાગ્યા. કોઈપણ કાફલો આવતો તો દોડીને નીચે આવતા જોવા માટે કે હુસૈન તો નથીને! આમ કરતા સાંજ પડી ગઈ. છત પરથી એમણે દૂરથી રસુલે ખુદાને જોયા. દોડીને નીચે આવવા ગયા તો પગ લપસ્યો અને પડી ગયા. લાદી સાથે ભટકાઈ માથું ફાટી ગયું, અને એજ ક્ષણે મૃત્યુ પામ્યા. મઝાહીરે લાશ પર કપડું નાખી દીધું અને રસૂલને જમવા બોલાવ્યા. હુસૈને પૂછ્યું હબીબ ક્યાં છે? આપે ફરમાવ્યું, ‘આપ જમી લો હું હબીબને મળવા લઇ જઈશ.’ પણ ઇમામ હુસૈને જીદ કરી એટલે મજાહીર એમને ઓરડામાં લઇ ગયા અને વાકીયો બતાવ્યો. ઇમામ હુસૈને ચાદર હટાવીને કહ્યું,” હબીબ, તારા ઇમામ ઊભા છે અને તું સુવે છે?” અને હબીબ તરત ઊભા થઇ ગયા. આવી મહોબત બંને વચ્ચે હતી.

આશુરાને દિવસે શહીદ થવાવાળા પહેલા શહીદ હતા. ઝોહરને સમયે ઇમામે હબીબને કહ્યું કે દુશ્મન પાસે જાય અને નમાજ પડવાની ઈજાજત લઇ આવે. પણ નમાજની વાત પર દુશ્મને મજાક ઉડાવી, તેથી હબીબને જલાલ આવી ગયો અને દુશ્મન સામે લડાઈ કરી. દુશ્મને હબીબનું સર કલમ કરી નેઝા પર ભરાવી દીધું. ઇમામ હુસૈન દોડીને મિત્રની મદદ કરવા ગયા પણ એ પહેલા હબીબ જન્નતની સફરે નીકળી ગયા હતા.

સપના વિજાપુરા

27 Jun 2023

ગઝલ આસ્વાદ 1

Posted by sapana. No Comments

ગાંધીનગર દૈનિકમાં પ્રકાશિત રચના માટે તંત્રી શ્રી પ્રદીપભાઈ રાવલનો તથા શ્રી કૌશિકભાઈ શાહના સૌજન્યથી …આનંદ અને આભાર

રગરગ ને રોમરોમથી તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે જીવી જવાય છે!

વરસાદ શું કરી શકે, છત્રીય શું કરે?
બીજાને કોરો રાખવા પલળી જવાય છે!

આંખોના ઇલાકામાં રહો એક બે દિવસ,
ત્યાંથી તો પછી દિલ સુધી પહોંચી જવાય છે!

સામે જ થોડે દૂર કશે એ ઊભાં હશે,
હું ચાલવા મથું છું, ને દોડી જવાય છે!

રાતો છે જાગરણની, દિવસ દોડધામનો,
બેસું તો મોત, ચાલું તો થાકી જવાય છે.

દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું,
દરરોજ એ વિચારમાં ડૂબી જવાય છે!

પડકાર સામે હો તો અડીખમ ઊભો રહું,
લિસ્સી સુંવાળી વાતોમાં લપસી જવાય છે.

ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે!

– ખલીલ ધનતેજવી ‘સારાંશ’ માંથી

ડિસેમ્બર 12, 1935 થી એપ્રિલ 4, 2021! સાહિત્યના ઝળહળતાં આકાશમાંથી એક સિતારો ખરી પડ્યો. મનગમતો સિતારો! જેની ઉપર તમામ સાહિત્ય જગતની નજર હતી એ સિતારો!! હા જી ખલીલ ધનતેજવી સાહેબ આ ફાની દુનિયાનો ઇશ્ક છોડી ઈશ્કે હકીકી તરફ પ્રયાણ કરી ગયા. એમના માટે ઘણું લખ્યું, અને ઘણું લખવાનું બાકી છે અને સદાય બાકી રહેશે. શબ્દોથી વર્ણવી શકાય એવું એમનું જીવન ક્યાં હતું! એ એક ગઝલકાર વાર્તાકાર, પત્રકાર ફિલ્મ નિર્દેશક અને એક ખેડૂત પણ હતા. આજ એક એમની ગઝલ ‘સારાંશ’ માંથી મળી છે. જે મારી ગમતી ગઝલ છે. એના વિષે વાતો કરીશું.

રગરગ નેે રોમરોમથી તૂટી જવાય છે,

તો પણ મઝાની વાત કે જીવી જવાય છે!

જીવન જેવું હોય તેવું જીવવાનું હોય છે.કેટકેટલી મુશ્કેલીઓ આવે છે. જીવન વિટંબણાથી ભરેલું છે. દુઃખ અને અને પરેશાની દરેક માણસથી વીંટાયેલી છે. ઉદાસી ઘેરેલી છે. એવી ઉદાસી કે રગરગ અને રોમરોમ તમારું તૂટી જાય છે. રોજ રડતાં માણસો કહે છે કે જિંદગીથી કંટાળી ગયાં છીએ. પણ તેમ છતાં લોકો જીવી જતા હોય છે. એ એક ખૂબ સુંદર વાત છે કે આવતી કાલનું નવું કિરણ આપણને જીવવાનું બળ આપે છે. “યેહ સફર હૈ મુશ્કિલ, ના ઉદાસ હો મેરે હમસફર, નહિ રહનેવાલી યે મુશ્કિલેં હૈ અગલે મોડ પર મંઝિલે ! મઝાની વાત છે કે જીવી જવાય છે.

વરસાદ શું કરી શકે, છત્રીય શું કરે?

બીજાને કોરો રાખવા પલળી જવાય છે!

એક દ્રશ્ય ઊભું થાય છે. પ્રેમી અને પ્રેમિકા વરસાદમાં જઈ રહ્યાં છે. અનરાધાર વરસાદ છે અને એક છત્રી છે. એમાં બે જણા સમાય શકે એમ નથી. બીજાને કોરો રાખવો હોય તો ખુદને પલળવું પડે! પ્રેમી પ્રેમિકાને છત્રી આપી પલળે છે અને પ્રેમિકા કોરી રહી જાય છે. એમાં વરસાદ કે છત્રી બંને શું કરી શકે? એક મિત્રને સહારો આપતા પોતાને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે! પણ કેટલા લોકો આ માટે તૈયાર હોય છે? વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે ! મિત્રને કોરો રાખવા જે છત્રી છોડી દે એ પણ સાચો વૈષ્ણવ!

આંખોના ઇલાકામાં રહો એક બે દિવસ,

ત્યાંથી તો પછી દિલ સુધી પહોંચી જવાય છે!

દિલ સુધી જવાનો રસ્તો આંખો થકી છે એવું ઘણા ગઝલકારો કહી ગયા છે. આંખોની મસ્તી છે જે ઇશ્ક ને શેહ દે છે. નૈનો કી મત સુનો, નૈના ઠગ લેંગે. કવિ માશુકાને આમંત્રણ આપે છે કે એક બે દિવસ આંખોના ઇલાકામાં રહો, ત્યાંથી પછી દિલ સુધી જવાય છે. બે ત્રણ દિવસ નજર પડ્યા પછી જો ફરી એ ચહેરો તમે શોધવા લાગો તો સમજો કોઈના દિલ સુધી પહોંચી ગયા છો. “ભરી મહેફિલ મેં પલટ પલટ કે દેખના ઉસકા પ્યાર તો નહિ!

મેરે દેખતે હી નઝરે ઝુકા લેના ઈકરાર તો નહિ ?”

સામે જ થોડે દૂર કશે એ ઊભાં હશે,

હું ચાલવા મથું છું, ને દોડી જવાય છે!

ખબર જો મળી જાય કે આ રસ્તે પ્રિય વ્યક્તિ ઊભી છે! દિલની શું હાલત થાય છે? પગ પહોંચે એ પહેલા દિલ ત્યાં પહોંચી જાય છે. એ ઊભાં હશેની સંભાવના પણ આપોઆપ એના તરફ ધસી જવાની તાલાવેલી જગાડે છે અને પગ ભારે હૃદય ભારે હોય છે તેમ છતાં દોડી જવાય છે. ઈચ્છા છે કે પોતાની તાલાવેલીની એમને જાણ ના થાય પણ હૃદય ક્યાં પોતાના વશમાં છે? ચાલવા મથું અને દોડી જવાય છે ! કેવી અદભુત પ્રતીતિ!

રાતો છે જાગરણની, દિવસ દોડધામનો,

બેસું તો મોત, ચાલું તો થાકી જવાય છે.

ઇશ્ક ,મહોબત એની જગા પર, રાતોના ઉજાગરા એની જગા પર તેમ છતાં રોજની દોડધામ તો હોય જ આ બધાની વચ્ચે જો બેસી જાઓ તો મોત નક્કી અને ચાલતા રહો તો થાકી જવાય. “ઇશ્ક ને ગાલિબ નિક્કમા કર દિયા વરના હમ ભી આદમી થે કામકે!” એક તરફ કુઆ દૂસરી તરફ ખાઈ જેવી હાલત થઇ જાય છે. જીવન ગતિશીલ છે અને ગતિમાં રહેવું પડે છે. બેસી જવું એટલે મોત છે. પણ જીવનથી પણ થાકી જવાય છે.

દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું,

દરરોજ એ વિચારમાં ડૂબી જવાય છે!

ઇશ્ક નો દરિયો છે અને પાર ઉતરવાનું છે. જ્યારે મહોબત થઇ જાય ત્યારે ઇન્સાન ખયાલોમાં ખોવાયેલો રહે છે. કોઈપણ રીતે પોતાના પ્રેમને મેળવવાની કોશિશ કરે છે. પણ બધાં વિચારો બધા સપનાં પુરા થવા માટે નથી હોતા. કેટલાક સપનાં હૃદયમાં ઉદભવે છે અને મગજમાં મરણ પામે છે. દરિયો પાર કરવાના વિચારમાં જ ડૂબી જવાય છે. મુઝફર સાહેબની પંક્તિ યાદ આવે છે.” સોચતે સોચતે દિલ ડૂબને લગતા હૈ મેરા, જહેન કી તય મે ‘મુઝફર’ કોઈ દરિયા તો નહિ !

પડકાર સામે હો તો અડીખમ ઊભો રહું,

લિસ્સી સુંવાળી વાતોમાં લપસી જવાય છે.

કવિની ખુમારી અહીં દેખાય આવે છે. જો કોઈ પડકાર કરે તો સામે ઊભા રહે છે. કોઈનો ડર કોઈની બીક નથી. પડકાર જીલવા માટે અડીખમ ઊભા રહે છે. પણ લીસ્સી અને સુંવાળી વાતોમાં લપસી જવાય છે. કોઈ પ્યારના બે બોલ બોલી દે , કોઈ મીઠી અને સુંવાળી વાતો કરે તો લપસી જવાય છે. અહીં એક પુરુષની મર્દાનગી સાથે સાથે એક કવિનું કોમળ હૃદય બંને એક શેર માં મળી આવે છે.

ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ,

આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે!

ગઝલ શી રીતે બને છે? ગઝલ કોઈની હૃદયની વાત શબ્દ થકી કાગળ પર ઊતરે છે. અને એ શબ્દો કાગળ પર આવતા આવતા કેટલી વાર ઘૂંટાય છે અને ક્યારેક કલમ વડે તો ક્યારેક લોહીથી ખરડાઈને તો ક્યારેક આંસુથી ભીંજાઈને કાગળ પર ઊતરે છે. એટલે કવિ કહે છે કે ખાલી ગઝલ હોય તો ફટકારી દઈએ પણ આ તો હૃદયની વાત છે , હાંફી જવાય છે. તમે પણ સર, જિંદગીથી હાંફી ગયા. સલામ કવિ શ્રી ખલીલ ધનતેજવી સાહેબ! જન્નતમાં આપને આલા મુકામ મળે એવી અભ્યર્થના સાથે!

સપના વિજાપુરા

May be a doodle of 2 people and text

All reactions:

29Mumtaz Merchant, Kaushik Shah and 27 others

1 Aug 2022

હુસૈન કોણ છે ?

Posted by sapana. No Comments

હિજરી સાલ 1445, ઇસ્લામિક કેલેન્ડરનું નવું વર્ષ. શા માટે ઇસ્લામિક નવું વર્ષ ખુશી સાથે શરૂ નથી થતું? શા માટે મોહર્રમનું નામ આવતાં દિલમાં ઉદાસી છવાઈ જાય છે? શા માટે અમારાં નવાં વર્ષમાં ફટાકડા નથી ફૂટતા,પણ દિલમાંથી આહ નીકળે છે? શા માટે મોહર્રમ નો પહેલો ચાંદ અમારી આંખોમાં આંસું ભરી દે છે? ઘણાં સવાલ છે, જવાબ બસ એકજ છે. હુસૈન અ.સ. ની તેમજ એમનાં કુટુંબીજનોની ક્રુરતાથી થયેલી શહાદત!

આજ મોહર્રમ ની પહેલી તારીખ છે.ફરી એજ આંસુ અને એજ ગમ અને એજ ફરિયાદ છે. આજ આપણે હુસૈન ઈબ્ને અલી વિષે થોડી માહિતી અને એમની જિંદગીની છેલ્લી સફરની થોડી વાતો કરીશું. ઈમામ હુસૈન અ.સ પયગંબર મહંમદ અ.સ ના નવાસા હતા અને ઇમામ અલી અ.સ. તથા મહંમદ પયગંબર ના પુત્રી બીબી ફાતિમાના પુત્ર તથા ત્રીજા ઇમામ હતા. શિયા લોકો 12 ઇમામને માને છે. ઇમામ હસન અ.સ બીજા ઇમામ હતા. ઇમામ હસન અ.સ ઇમામ અલીના પહેલા પુત્ર હતા જેમને ઇમામત મળી હતી. ઇમામ હસનને ઝેર આપીને શહીદ કરવામાં આવ્યા હતા .એ પછી ઇમામત ઇમામ હુસૈનને મળી હતી. પયગંબર મહંમદ સ.અ ઇમામ હસન અને ઇમામ હુસૈનને ખૂબ ચાહતા હતા. રસુલે ખુદા એમને પોતાના ખભા પર બેસાડીને બજારમાં ફરતા. ઇમામ હુસૈન રસુલે ખુદા નમાજ પડતા હોય તો એમની પીઠ પર ચડી જતા. રસુલે ખુદા જ્યા સુધી હુસૈન ખભા પરથી ના ઉતરે ત્યાં સુધી સજદામાંથી ઊભા ના થતા. રસુલે ખુદા લોકોને એમ કહેતા કે “જે લોકો હસન હુસૈન ચાહે છે એ લોકો મને ચાહે છે અને જે લોકો હસન હુસૈન ને નફરત કરે છે એ મને નફરત કરે છે.” અને રસુલે ખુદા એમ પણ કહેતા કે “હસન અને હુસૈન જન્નતના જવાનોના સરદાર છે.” રસુલના પ્યારા હુસૈનને ઇમામત મળી જેનો વાંધો યઝીદ ઈબ્ને માહવીયાને હતો. જે તે સમયનો જુલ્મી રાજા હતો. જુલ્મી શાસકોએ  ઇમામ અ.સ ને ત્રાસ આપવામાં બાકી ના રાખ્યું. એ જુલ્મી શરાબી અને સત્તાનો દિવાનો હતો..તે સતત ઇમામ હુસૈનને હુકુમત થકી ત્રાસ આપતો હતો. .તેણે ઇમામ હુસૈનને બયત કરવા આમંત્રણ આપ્યું..બયત કબુલ કરવી  એટલે એની મરજી પ્રમાણે ના જુલ્મી, અન્યાયી અને ભ્રષ્ટાચારી શાસનનો સ્વીકાર. ઇમામ હુસૈનને એ વાત મંજૂર ના હતી.

રજબ મહિનાની 28 મી તારીખે ઇમામ હુસેનનો કાફલો મદીનાથી હજ કરવા માટે નીકળ્યો. પણ હજ એમની પૂરી થઇ નહિ અને એમને કુફા તરફથી પત્ર મળ્યો કે કુફામા લોકો એમને ઇમામ તરીકે સ્વીકારવા તૈયાર છે. એ કુફા તરફ રવાના થયા. રસ્તામાં એમને સમાચાર મળ્યાં કે કુફાના લોકોએ દગો કર્યો છે અને એમના એક સાથી હઝરત મુસ્લિમને ખૂબજ ક્રુરતાથી શહીદ કરી નાખ્યા છે. રસ્તામાં ખલીફ યઝીદના 1000 જેટલાં સૈનિકોએ ઇમામ હુસૈનના 70 જવાનોને ફોર્સ કરીને કરબલા તરફ વાળી દીધાં. આશુરા ના દિવસે ઝોહર અને અસરની નમાજ વચ્ચે 72 સાથી શહીદ થઇ ગયાં. હવે પછીના લેખમાં એક એક દિવસે એક એક શહીદનો કિસ્સો લખીશ!

સપના વિજાપુરા

5 Jun 2020

ઝૂક્યાં નહીં

Posted by sapana. 1 Comment

પીડા વગર જીવી શક્યા હોત, જીવ્યાં નહીં
આંસુને પણ ખાળી શક્યા હોત , ખાળ્યાં નહીં

બેડી પડી પગમાં, હૃદય આ છે જખ્મો થી ચૂર
તોડીને એ ભાગી શક્યા હોત ,ભાગ્યાં નહીં

લઈને સહારો કોઈ ખભાનો રડીને અમે ,
જખ્મો ને પણ સીવી શક્યા હોત સીવ્યા નહીં

કરતા રહ્યા લાખો ગુના, દિલ દુભાવ્યા ઘણાં
તૌબા કરી, ઝૂકી શક્યા હોત ઝૂક્યાં નહીં

લેબલ લગાવ્યા ધર્મના આ કપાળે જુઓ
માનવ ને પણ જાણી શક્યા હોત જાણ્યાં નહીં

આકાશને પામી હસી ના શક્યા આપણે
ધરતી ઉપર ચાલી શક્યા હોત , ચાલ્યાં નહીં

સપના સુગંધી ફૂલ જેવા હતાં આપણા
પાપણ ઉપર રાખી શક્યા હોત રાખ્યા નહીં

સપના વિજાપુરા

21 Apr 2020

વાત કરવી છે

Posted by sapana. No Comments

કાનમાં તુજ એક છાની વાત કરવી છે
આવ મારે આજ નાની વાત કરવી છે

સાંભળે ના એ હવા ,ના સાંભળે ઝરણા
આવ તું તો એક મજાની વાત કરવી છે

શું ઈશારા એ કરે છે આ નયન તારા
બોલને તું આજ શાની વાત કરવી છે?

ફૂલને શું આ ભ્રમર કહે છે જરા સાંભળ
લો ભ્રમર જેવી સુહાની વાત કરવી છે

ફૂલની પીંછી ફરી જ્યારે નયન પર મુજ
ભાન ભૂલી એ નશા ની વાત કરવી છે.

નામ મેંદીથી લખ્યું તારું હથેળીમાં
કેમ વીતે આ જવાની, વાત કરવી છે

ખૂબ સપના યાદ આવે છે હવે એને
મૌન તોડ્યું છે તો શાની વાત કરવી છે

સપના વિજાપુરા

16 Apr 2020

ખમ્મા

Posted by sapana. 2 Comments

કે ખમ્મા નજરની ભલામણને ખમ્મા,
ઝરે આંખથી એ રસાયણને ખમ્મા.

છે તારા સ્મરણની અસર કેવી નોખી !
જીવાડે છે એવા આ મારણને ખમ્મા.

સહજ થઈ સમજની ગલી છોડી દીધી,
પછી મેં કહ્યું મારી સમજણને ખમ્મા !

લખું છું, ભૂંસુ છું, ફરીથી મથું છું
ગઝલ જે કરાવે મથામણને ખમ્મા.

– શબનમ

યુવા કવયિત્રી શબનમ ખોજા ચોટદાર ગઝલ આપે છે. કાઠિયાવાડી અથવા રાજસ્થાની શબ્દ છે ‘ખમ્મા” આ શબ્દ ઘણી વાર વાપરવામાં આવે છે. જ્યારે દરબાર બેઠાં હોય અને કોઈ ની પ્રશંસા કરવાની હોય તો પણ ઘણી ખમ્મા બોલાય છે. અને ક્યારેક આશ્વાસન આપવા માટે આ શબ્દ વપરાય છે. અને ક્યારેક ગ્રીટિંગ્સ માટે વપરાય છે. માફ કરી દેવા માટે પણ વપરાય છે. કવયિત્રી શબનમેં રદીફ તરીકે ખમ્મા લઈને ઘણી વાતોને ખમ્મા કરી છે। ચાલો જોઈએ દરેક શેર શું કહેવા માગે છે.

મત્લા ના શેર માં નજરથી થતા ઈશારા કે પછી આંખથી થતી ભલામણ ને ખમ્મા। ઘણી વાતો છાની છૂપી થતી હોય છે, એ ઇશારાને સલામ અથવા ખમ્મા। ઘણીવાર જબાનથી બોલવાની જરૂર પડતી નથી આંખના ઇશારાથી સલામ થાય છે. અને આંખમાંથી જે આંસુ ઝરે છે એને ખમ્મા, આંસુને પણ સલામ થતા હોય છે સલામ એ એક ગ્રીટિંગ્સ નું રૂપ છે. બીજા શેર માટે ગાલિબનો શેર યાદ આવે છે કે “મહોબતમેં નહિ ફર્ક જીને ઔર મરનેકા, ઉસીકો દેખકે જીતે હૈ જિસ કાફિર પે દમ નિકલે ” હા સ્મરણની પણ કેવી અસર હોય છે, જેની યાદ માં મરતા હોઈએ એજ મારણ જીવાડે છે. પ્રેમમાં વળી સમજણનું શું કામ? સમજ ની ગલી છોડી સમજણને ઘણી ખમ્મા કરી. મક્તાનો શેર ખૂબ સુંદર થયો છે, દરેક કવિની મથામણ બતાવી છે.લખું છું ,ભૂંસુ છું અને મથું છું, ગઝલ લખવા થતી મથામણને ખમ્મા!! વાહ કવિયત્રી મોટા મોટા દિવંગત કવિઓને વિચારતા કરી મૂકે એવી ગઝલ!!

સપના વિજાપુરા

31 Mar 2020

નડવું નથી

Posted by sapana. No Comments

કોઈને સીડી બનાવીને ઉપર ચડવું નથી
ને હટાવીને ફરી એને ય બસ પડવું નથી

હા તમે સાચા જ છો માની લઉં છું વાત એ
કોઈ નજીવી વાતમાં મારે હવે  લડવું નથી

સ્મિતને   મુખ પર મઢાવી રાખજો વ્હાલા તમે
 આંખનું આંસું થઈને  ગાલ પર દડવું નથી

આપની આ રેશમી પલકોમાં છૂપાવો  મને 
આ જગત શોધ્યાં  કરે મારે હવે જડવું નથી

જૂઠ મીઠું હોય છે , કાનો ને ગમતું હોય છે
પણ ગળે જો ઊતરે આ સત્ય પણ કડવું નથી

હાથ જોડી સર્વની માફી હું માંગું , એ  પ્રભુ 
નર્કમા તો જિંદગીભર મારે પણ સડવું નથી

ઓહ ‘સપના ‘ માર્ગથી એના હટી જા  આજ તો
કોઈને પણ આપણે પથ્થર બની નડવું નથી
સપના વિજાપુરા

21 Mar 2019

કવિતા

Posted by sapana. 4 Comments

 

કવિતા દિવસ મુબારક મારાં કવિતા પ્રેમીઓને!!

ફૂલ જેવી એક રચના છે કવિતા
આપણી તો રોજ ચર્ચા છે કવિતા

વાત જાણે મૌન ભાષાની કવિતા
કેટલી સુંદર, સુંદરતા છે કવિતા

હું ગઝલ કહું કે કહું કોઈ કવિતા
પ્રેમ બન્નેથી છે, આત્મા છે કવિતા

એક એક શબ્દ અગ્નિ વરસાવે
આમ જુઓ તો લો તણખા છે કવિતા

ચાલ દિલ કોઈ મજાની કવિતા લખ
આ દિવસ કવિતાનો, કવિતા છે કવિતા

લાવ કંકુ, પાથરું હું રસ્તામાં
કંકુવરણા લાલ પગલા છે કવિતા

હું તને ચાહુ તું ચાહે છે મને પણ
આપણી દોસ્તી તો સપના છે કવિતા

સપના વિજાપુરા 

6 Oct 2018

આવડે છે?

Posted by sapana. 5 Comments

મૌનમાં બોલતાં આવડે છે?
આંખમાં ખોળતાં આવડે છે?

પ્રેમમાં હોય છે જાગરણ પણ,
રાતમાં જાગતાં આવડે છે?

પાંખ તો કોઈ કાપી ગયું છે,
એ વિના ઊડતાં આવડે છે?

વેદના, વેદના, વેદના છે,
આંસુ ને ખાળતાં આવડે છે?

ગાંઠ સંબંધમાં પણ પડી છે
બાંધ્યું ખોલતાં આવડે છે?

નાવડી કે હલેસું નથી પણ
જળ ઉપર ચાલતાં આવડે છે?

ફૂલ ખીલતા રહે છે વસંતે
શિશિર માં ખીલતાં આવડે છે?

તું કરે છે ખુદાઈનો દાવો
ત્રાજવું તોળતાં આવડે છે?

એ બી સી ડી તો ગોખી ગયો છે
ગુર્જરી બોલતાં આવડે છે?

કોઈ સપનાં હકીકત બને ના
ખ્વાબ માં જીવતાં આવડે છે?

સપના વિજાપુરા

16 Sep 2018

પ્રેમ એક પરમ તત્વ -2-ગુરૂ -સપના વિજાપુરા

Posted by sapana. No Comments

પાપા પગલી કરતું બાળક માં ના ખોળામાં થી નીકળી હવે ડે કેર માં જાય છે!!
મને યાદ છે એ દિવસ જ્યારે પ્રથમવાર એને  ડે કેર માં છોડી આવી હતી. ગળામાં ડૂમો ભરાયેલો હતો.અને જાણે એક કલેજાનો એક ટૂકડો છૂટો પડી રહ્યો હતો!! પતિ કહે આ બધું એનાં ભવિષ્ય માટે કરવાનું છે!! સાચી વાત છે!! પણ હ્ર્દય ના માને!!  ડે કેરની બારીમાં થી હાથ લાંબાં કરી રડતો રડતો એ મને બોલાવી રહ્યો હતો!! ઘેર આવી ટીચર ને ચાર પાંચ કોલ કરી નાખ્યાં!! બેકગ્રાઉન્ડમાં એનાં રડવાનો અવાજ સંભળાતો હતો!! આ હતો અમારો પહેલો વિરહ અને   પ્રેમ અહેસાસ !! એ દિવસે દિવસે ડે કેરમાં સેટ થઈ ગયો!! અનેક  મિત્રોને મળવાની ઉત્સુકતા!! અને ટીચર !! આ હતો એનો બીજો પ્રેમ ગોરી ટીચર !! અને ટીચરની વાતો મારામાં ક્યાંક ઈર્ષા જગાવી જતી!! અને એનાં નાના નાના મિત્રો એને મારાથી દૂર કરી રહ્યા હતાં.પ્રેમમાં નિકટતા જરૂરી છે.ગોરી ટીચર અને મિત્રો સાથે લગભગ આખો દિવસ નીકળીજતો!! ઘેર આવીને પણ એમની વાતો!! ડૅ કેર ના રમકડા અને ગેઈમ!! આ બધું પ્રેમમાં ઉમેરાવા લાગ્યું!! વસ્તુ અને ઘર સાથે પણ પ્રેમ થાય છે!! લાગણીને ક્યાં આંખો છે!! પ્રેમ માં કોઈ બંધન નથી!! પ્રેમમાં રંગભેદ નથી જ્ઞાતિભેદ નથી!! પ્રેમમાં ગોરી ટિચર હોય કે મેક્સીકન માઈકલ હોય બન્ને તમારાં હ્ર્દયને સ્પર્શી જતાં હોય છે!! એટલી હદ સુધી કે માઈકલને વાગે તો એને ચોટ લાગે અને ગોરી ટીચર જો એ ક્લાસ છોડી જાય તો એની આંખો આંસું થી છલકાઈ જાય! ગુરુ કે શિક્ષકનું કેટલું મહત્વ છે અને વિધ્યાર્થીના દિલમાં કેટલું સ્થાન છે એ દરેક વિધ્યાર્થી જાણે છે!! અહી વાલી બાળક અને શિક્ષકને જોડતું એક માત્ર તત્વ પ્રેમ છે પ્રેમની ભાષા ભલે અલગ હોય પણ બન્ને પક્ષે  પ્રેમ એક નિખાલસ પ્રેમ છે. એમાં સ્વાર્થ ને સ્થાન નથી!!
જેમ ભક્ત ઈશ્વર સામે જુએ છે એજ રીતે એક શિષ્ય શિક્ષક સામે જુએ છે!! શિષ્યની જિજ્ઞાસાને સંતોષવા માટે શિક્ષક જીવ જાનથી પ્રયત્ન કરે છે!! ગાંધીજીએ કહ્યું છે, “વિદ્યાર્થીને કેળવે તે કેળવણી”.અને માટે જ  બાળકનો  પહેલો  ગુરુ માં છે તેજ રીતે  એ શિક્ષક ને ખૂબ આદર અને પ્રેમ આપે છે!! મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શીક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.માતાને પોતાના તાજા જન્મેલા બાળકનું મો પ્રથમવાર બતાવવામા આવે છે,ત્યારે એના હદયના ભાવો કોણ પારખી શકે છે? વાત્સલ્ય, કૃતકૃત્યતા, સમર્પણ. શિક્ષક પોતાના નવા બાળકોનું મો પહેલીવાર જુવે ત્યારે એના દિલમાં જે પવિત્ર લાગણીઓ ઉઠે છે. એનું વર્ણન કોણ કરી શકે ? એમાં પણ વાત્સલ્ય છે, કૃતાર્થતા છે, સમર્પણ છે.આપણા શાસ્ત્રોમાં તો ગુરુને ખૂબ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે!!ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાવ, ગુરુ કો લાગુ પાવ જીસને ગોવિંદ દિયો બતાય!!
વિદ્યાર્થીને સમજીને, ચાહીને, નજીક લાવીને એનો વિશ્વાસ સંપાદન કરવો, એનો પ્રેમ એવી રીતે મેળવવો કે તે જ્ઞાન અને કર્મને આપોઆપ રસ પૂર્વક મેળવવા ઉત્સુક બને.શિક્ષકને મળવાની ઉત્કંઠા બાળકને ક્લાસમાં અભ્યાસમાં અને આદરમા વધારો કરે છે!! પ્રેમ અહીં જુદું સ્વરૂપ લે છે!! એ છે,આદરનુ!! હવે બાળક શિક્ષક દ્વારા અપાતા સંસ્કારો ઝીલવા તત્પર બને છે. એજ સાચી ભક્તિ નું સ્વરૂપ લે છે.નાના બાળકના દિલમાં ભક્તિ એટલે  પ્રેમ, હુંફ, ભાવના, લાગણી, માન આપવાનું કે તેની કદર કરવાનું કાર્ય એક શિક્ષક કરે છે અને શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેના આ પ્રેમ ભર્યા સબંધોને કારણે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે પ્રેમ અને એખલાસ પાંગરે છે.
પ્રેમ, લવ, ઈશ્ક, મુહબ્બત, પ્યાર, ચાહત, નામ તમે ગમે તે આપો પણ સીધો સાદો અર્થ તો થાય છે ચાહવું, ચાહવું અને ફક્ત ચાહવું. પ્રેમને અનેક નામ આપી દો પણ પ્રેમ એક નામ પૂરતું છે પ્રેમ એક માતા પુત્રનો, સાસુ-વહૂનો એક મિત્ર નો બીજા મિત્ર સાથે, ભાઈ બહેન નો, ગુરુ-શિષ્યનો કોઈ પણ રૂપ માં હોય છે.પ્રેમ દર્શાવવા માટે!!
સપના વિજાપુરા