બીબી ઝયનબે જ્યારે અબ્દુલ્લાહ ઈબ્ને જાફરે તૈયાર સાથે શાદી કરી ત્યારે અબ્દુલ્લાહ સાથે શરત રાખેલી કે જ્યાં જ્યાં ઇમામ હુસૈન જશે ત્યાં ત્યાં હું તેમની સાથે જઈશ. અને અબ્દુલ્લાહે આ શરત મંજૂર રાખેલી. તો જ્યારે બીબી ઝયનબ કરબલા જવા તૈયાર થયાં તો અબ્દુલ્લાહે એમને રોક્યાં નહિ. પણ ખુશી ખુશી ઝયનબને રજા આપી અને સાથે એમનાં દીકરા ‘ઓન’ અને ‘મહંમદ’ને જવા કહ્યું. કરબલામાં શું થવાનું છે એની રસુલે ખુદા, બીબી ફાતિમા, હઝરત અલી અને બીબી ઝયનબને ખબર હતી. અબ્દુલ્લાહે કહ્યું કે જો એવો વખત આવે તો એક દીકરાને મારા તરફથી અને એક દીકરાને તમારા તરફથી ઇમામ હુસૈન પર કુરબાન કરશો.
હાય, એ આશુરાનો દિવસ આવી ગયો. મોહર્રમના છેલ્લાં ત્રણ દિવસ યજીદે ઇમામ હુસૈન અને તેમના કબીલા ઉપર પાણી બંધ કરી દીધું હતું અને નેહેરે ફુરાત પર પહેરા લગાવી દીધા હતા. ઇમામ અને એમના બોત્તેર ના લશ્કરે ભૂખ્યા અને પ્યાસા શહીદ કર્યા હતા . સ્ત્રીઓને પણ ત્રણ દિવસ ભૂખી અને પ્યાસી રાખેલી! ઝોહરનો સમય થયો એક પછી એક લાશ તંબુમાં આવવા લાગી. ઝયનબ બેચેન થઇ ગયાં. એમણે ‘ઓન’ અને ‘મહંમદ’ને બોલાવ્યા અને કહ્યું,” મારા જાનીસાર , તમારે મામુજાન પર કુરબાન થવાનું છે. ખૂબ બહાદુરીથી લડાઈ લડવાની છે. મારા દિલબર, તમે તમારી મા ને શર્મિંદા ના કરતા. તમે નહેરે ફુરાત પાસે જાઓ તો પાણી ના પીતા કારણકે ઇમામ હુસૈનના બાળકો પ્યાસા છે. ” બીબી ઝયનબ પોતાના નાના રાજકુમારોને તૈયાર કરવા લાગી. ઓન ફક્ત તેર વર્ષના અને મહંમદ અગ્યાર વર્ષના હતા. એને બખ્તર પહેરાવ્યું તો શરીર પરથી ઉતરી જતું હતું. એમની કમરમાં તલવાર બાંધી તો જમીન સાથે ઘસડાતી હતી. માથા પર હેલ્મેટ રાખી તો ચહેરો ઢંકાઈ જતો હતો. આવા બે નાના બાળકો મામુ પાસે જંગની ઈજાજત લેવા ગયા. મામુનો જીવ ના ચાલ્યો. ઇમામ હુસૈને એમને તંબુમાં પાછા મોકલી આપ્યા. ઝયનબે ભાઈ અબ્બાસને બોલાવ્યા અને વિનંતી કરી કે મારા દીકરાને જંગ કરવા જવા દો !
છેવટે ઝયનબની ખૂબ વિનંતીને ટાળી ના શક્યા , અને ઓન અને મહંમદને જંગ કરવા મોકલ્યા. ઓનને ઇમામ હુસૈને અને મહંમદ ને અબ્બાસે અલમદારે ઘોડા પર બેસાડ્યાં. કહેવાય છે કે ઓને 30 દુશમનને જહન્નમવાસી કર્યા અને મહંમદે 20 દુશમનને ફિન્નાર કર્યા. છેવટે દુશમનોએ મળીને હુમલો કરી ઓનનાં માથા પર તલવારનો વાર કર્યો અને ઓન ઘોડા પરથી જમીન પર આવી ગયા, મહંમદ ના માથા પર બુર્જનો વાર કર્યો અને મહંમદ ની રૂહ પરવાઝ કરી ગઈ. ઇમામ હુસૈન બહેનના બાળકોની લાશ તંબુ પાસે લઇ આવ્યા. બધી બીબીઓ માથા ફૂટી કૂટીને રડવા લાગી. બીબી ઝયનબ તંબુમાંથી બહાર ના આવ્યાં અને રડ્યાં પણ નહિ. પણ મુસલ્લો બીછાવીને અલ્લાહનો શુક્ર કર્યો. આમ બે માસુમ બાળકો મામુજાન પર કુરબાન થઇ ગયા. બોતેર શહીદોની જેમ દુશમનોએ બાળકોના સર કાપીને નેઝા પર લગાવી દીધા. ઓનનાં છેલ્લા શબ્દો હતાં કે “અમ્મીને કહેશો અમે ફુરાત પર પાણી પીધું નથી.”રસુલની આલનો આવો અંજામ મુસલમાનોએ જ કર્યો હતો.
ઇમામ હુસૈન બીજી તારીખે કરબલા પહોંચી ગયા. તંબુઓ તણાય ગયાં. હઝરત અબ્બાસ જે ઇમામ હુસૈનના ભાઈ હતા. તે આખી રાત તંબુઓનો પહેરો દેતા હતા. રોજ એક લશ્કર યઝીદનું જુદાં જુદાં સરદાર સાથે આવી જતું હતું. બીબી ઝયનબનું દિલ બેસતું જતું. એમણે ઇમામ હુસૈનને પોતાના તંબુમાં બોલાવ્યા. બીબી ઝયનબે ઇમામ હુસૈનને કહ્યું,” ભાઈ રોજ યઝીદનું એક લશ્કર આવે છે. તમે પણ કોઈને બોલાવો જે તમને મદદ કરે.” ઇમામ હુસૈને કહ્યું,” બહેન કોને બોલાવું? જ્યારે નાના વફાત પામ્યા ત્યારે કોણ આપણને મદદ કરવા આવ્યું? જ્યારે અમ્મા વફાત પામ્યાં ત્યારે કોણ આપણને મદદ કરવા આવ્યું? જ્યારે બાબા અને ભાઈ હસન શહીદ થયાં ત્યારે કોઈ આપણને મદદ કરવા ના આવ્યું. હવે હુસૈનને મદદ કરવા કોણ આવશે? બીબીએ ફરમાવ્યું, “આપ આપના દોસ્ત હબીબ ઈબ્ને મઝાહીર ને મદદ માટે બોલાવો.” ઇમામે બહેનની વાત માની હબીબને પત્ર લખ્યો જે કુફામા હતા. કાસિદ પત્ર લઈને ગયો. જમવાનો સમય હતો. કાસિદ પત્ર લઈને આવ્યો. હબીબે પત્ર વાંચ્યો. તેમની પત્નીએ પૂછ્યું કોનો પત્ર છે. હબીબે જણાવ્યું, ‘ઇમામ હુસૈનનો પત્ર છે. મુશ્કેલીમાં છે બોલાવે છે વિચારું છું કે જાઉં કે નહીં ?’ પત્નીએ હજુ સાંભળ્યું નહિ કે પોતાના હાથની ચૂડી હબીબને આપી કે તમે આ ચૂડી પહેરો હું જઈશ ઇમામને મદદ કરવા.હબીબે કહ્યું ‘હું તારું મન જાણવા માંગતો હતો. બાકી ઇમામ હુસૈન મારા બચપણ નો મિત્ર છે હું કેમ ના જાઉં મદદ કરવા ?’
હબીબ રાતના અંધારામાં કરબલા તરફ રવાના થયા.. કુફાથી કરબલા દૂર નથી. હબીબ કરબલા પહોંચી ગયા. દૂરથી ઘોડાને આવતો જોઈ ઇમામ હુસૈન સમજી ગયા હબીબ આવી રહ્યા છે. ઉઠીને હબીબને ગળે લગાવ્યા. બીબી ઝયનબને સમાચાર મળ્યા કે હબીબ આવી ગયા છે.તો એમણે હબીબને સલામ મોકલ્યા. હબીબે માથું ફૂટી લીધું કે હાય હાય મારા નબીની શહેઝાદી મને સલામ મોકલે છે! એ કેટલી મજબૂર હશે!
હબીબ અને ઇમામ હુસૈન બચપણ થી મિત્રો હતા. હબીબ જયારે પાંચ વર્ષના હતા ત્યારે ઇમામ હુસૈનની પાછળ પાછળ ચાલતા અને જ્યાં જયાં ઇમામ હુસૈનના પગલાં પડતાં ત્યાંની ખાક લઇ માથે મૂકતા. એકવાર હબીબના વાલિદે રસુલે ખુદાને દાવત કરી અને કહ્યું કે ઇમામ હુસૈન અને હબીબ એક બીજાને ખૂબ ચાહે છે. તો સાથે રમશે. હબીબને ખબર પડી કે હુસૈન આવવાના છે. તો છત પર જઈને રાહ જોવા લાગ્યા. કોઈપણ કાફલો આવતો તો દોડીને નીચે આવતા જોવા માટે કે હુસૈન તો નથીને! આમ કરતા સાંજ પડી ગઈ. છત પરથી એમણે દૂરથી રસુલે ખુદાને જોયા. દોડીને નીચે આવવા ગયા તો પગ લપસ્યો અને પડી ગયા. લાદી સાથે ભટકાઈ માથું ફાટી ગયું, અને એજ ક્ષણે મૃત્યુ પામ્યા. મઝાહીરે લાશ પર કપડું નાખી દીધું અને રસૂલને જમવા બોલાવ્યા. હુસૈને પૂછ્યું હબીબ ક્યાં છે? આપે ફરમાવ્યું, ‘આપ જમી લો હું હબીબને મળવા લઇ જઈશ.’ પણ ઇમામ હુસૈને જીદ કરી એટલે મજાહીર એમને ઓરડામાં લઇ ગયા અને વાકીયો બતાવ્યો. ઇમામ હુસૈને ચાદર હટાવીને કહ્યું,” હબીબ, તારા ઇમામ ઊભા છે અને તું સુવે છે?” અને હબીબ તરત ઊભા થઇ ગયા. આવી મહોબત બંને વચ્ચે હતી.
આશુરાને દિવસે શહીદ થવાવાળા પહેલા શહીદ હતા. ઝોહરને સમયે ઇમામે હબીબને કહ્યું કે દુશ્મન પાસે જાય અને નમાજ પડવાની ઈજાજત લઇ આવે. પણ નમાજની વાત પર દુશ્મને મજાક ઉડાવી, તેથી હબીબને જલાલ આવી ગયો અને દુશ્મન સામે લડાઈ કરી. દુશ્મને હબીબનું સર કલમ કરી નેઝા પર ભરાવી દીધું. ઇમામ હુસૈન દોડીને મિત્રની મદદ કરવા ગયા પણ એ પહેલા હબીબ જન્નતની સફરે નીકળી ગયા હતા.
આંખોના ઇલાકામાં રહો એક બે દિવસ, ત્યાંથી તો પછી દિલ સુધી પહોંચી જવાય છે!
સામે જ થોડે દૂર કશે એ ઊભાં હશે, હું ચાલવા મથું છું, ને દોડી જવાય છે!
રાતો છે જાગરણની, દિવસ દોડધામનો, બેસું તો મોત, ચાલું તો થાકી જવાય છે.
દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું, દરરોજ એ વિચારમાં ડૂબી જવાય છે!
પડકાર સામે હો તો અડીખમ ઊભો રહું, લિસ્સી સુંવાળી વાતોમાં લપસી જવાય છે.
ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ, આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે!
– ખલીલ ધનતેજવી ‘સારાંશ’ માંથી
ડિસેમ્બર 12, 1935 થી એપ્રિલ 4, 2021! સાહિત્યના ઝળહળતાં આકાશમાંથી એક સિતારો ખરી પડ્યો. મનગમતો સિતારો! જેની ઉપર તમામ સાહિત્ય જગતની નજર હતી એ સિતારો!! હા જી ખલીલ ધનતેજવી સાહેબ આ ફાની દુનિયાનો ઇશ્ક છોડી ઈશ્કે હકીકી તરફ પ્રયાણ કરી ગયા. એમના માટે ઘણું લખ્યું, અને ઘણું લખવાનું બાકી છે અને સદાય બાકી રહેશે. શબ્દોથી વર્ણવી શકાય એવું એમનું જીવન ક્યાં હતું! એ એક ગઝલકાર વાર્તાકાર, પત્રકાર ફિલ્મ નિર્દેશક અને એક ખેડૂત પણ હતા. આજ એક એમની ગઝલ ‘સારાંશ’ માંથી મળી છે. જે મારી ગમતી ગઝલ છે. એના વિષે વાતો કરીશું.
રગરગ નેે રોમરોમથી તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે જીવી જવાય છે!
જીવન જેવું હોય તેવું જીવવાનું હોય છે.કેટકેટલી મુશ્કેલીઓ આવે છે. જીવન વિટંબણાથી ભરેલું છે. દુઃખ અને અને પરેશાની દરેક માણસથી વીંટાયેલી છે. ઉદાસી ઘેરેલી છે. એવી ઉદાસી કે રગરગ અને રોમરોમ તમારું તૂટી જાય છે. રોજ રડતાં માણસો કહે છે કે જિંદગીથી કંટાળી ગયાં છીએ. પણ તેમ છતાં લોકો જીવી જતા હોય છે. એ એક ખૂબ સુંદર વાત છે કે આવતી કાલનું નવું કિરણ આપણને જીવવાનું બળ આપે છે. “યેહ સફર હૈ મુશ્કિલ, ના ઉદાસ હો મેરે હમસફર, નહિ રહનેવાલી યે મુશ્કિલેં હૈ અગલે મોડ પર મંઝિલે ! મઝાની વાત છે કે જીવી જવાય છે.
વરસાદ શું કરી શકે, છત્રીય શું કરે?
બીજાને કોરો રાખવા પલળી જવાય છે!
એક દ્રશ્ય ઊભું થાય છે. પ્રેમી અને પ્રેમિકા વરસાદમાં જઈ રહ્યાં છે. અનરાધાર વરસાદ છે અને એક છત્રી છે. એમાં બે જણા સમાય શકે એમ નથી. બીજાને કોરો રાખવો હોય તો ખુદને પલળવું પડે! પ્રેમી પ્રેમિકાને છત્રી આપી પલળે છે અને પ્રેમિકા કોરી રહી જાય છે. એમાં વરસાદ કે છત્રી બંને શું કરી શકે? એક મિત્રને સહારો આપતા પોતાને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે! પણ કેટલા લોકો આ માટે તૈયાર હોય છે? વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે ! મિત્રને કોરો રાખવા જે છત્રી છોડી દે એ પણ સાચો વૈષ્ણવ!
આંખોના ઇલાકામાં રહો એક બે દિવસ,
ત્યાંથી તો પછી દિલ સુધી પહોંચી જવાય છે!
દિલ સુધી જવાનો રસ્તો આંખો થકી છે એવું ઘણા ગઝલકારો કહી ગયા છે. આંખોની મસ્તી છે જે ઇશ્ક ને શેહ દે છે. નૈનો કી મત સુનો, નૈના ઠગ લેંગે. કવિ માશુકાને આમંત્રણ આપે છે કે એક બે દિવસ આંખોના ઇલાકામાં રહો, ત્યાંથી પછી દિલ સુધી જવાય છે. બે ત્રણ દિવસ નજર પડ્યા પછી જો ફરી એ ચહેરો તમે શોધવા લાગો તો સમજો કોઈના દિલ સુધી પહોંચી ગયા છો. “ભરી મહેફિલ મેં પલટ પલટ કે દેખના ઉસકા પ્યાર તો નહિ!
મેરે દેખતે હી નઝરે ઝુકા લેના ઈકરાર તો નહિ ?”
સામે જ થોડે દૂર કશે એ ઊભાં હશે,
હું ચાલવા મથું છું, ને દોડી જવાય છે!
ખબર જો મળી જાય કે આ રસ્તે પ્રિય વ્યક્તિ ઊભી છે! દિલની શું હાલત થાય છે? પગ પહોંચે એ પહેલા દિલ ત્યાં પહોંચી જાય છે. એ ઊભાં હશેની સંભાવના પણ આપોઆપ એના તરફ ધસી જવાની તાલાવેલી જગાડે છે અને પગ ભારે હૃદય ભારે હોય છે તેમ છતાં દોડી જવાય છે. ઈચ્છા છે કે પોતાની તાલાવેલીની એમને જાણ ના થાય પણ હૃદય ક્યાં પોતાના વશમાં છે? ચાલવા મથું અને દોડી જવાય છે ! કેવી અદભુત પ્રતીતિ!
રાતો છે જાગરણની, દિવસ દોડધામનો,
બેસું તો મોત, ચાલું તો થાકી જવાય છે.
ઇશ્ક ,મહોબત એની જગા પર, રાતોના ઉજાગરા એની જગા પર તેમ છતાં રોજની દોડધામ તો હોય જ આ બધાની વચ્ચે જો બેસી જાઓ તો મોત નક્કી અને ચાલતા રહો તો થાકી જવાય. “ઇશ્ક ને ગાલિબ નિક્કમા કર દિયા વરના હમ ભી આદમી થે કામકે!” એક તરફ કુઆ દૂસરી તરફ ખાઈ જેવી હાલત થઇ જાય છે. જીવન ગતિશીલ છે અને ગતિમાં રહેવું પડે છે. બેસી જવું એટલે મોત છે. પણ જીવનથી પણ થાકી જવાય છે.
દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું,
દરરોજ એ વિચારમાં ડૂબી જવાય છે!
ઇશ્ક નો દરિયો છે અને પાર ઉતરવાનું છે. જ્યારે મહોબત થઇ જાય ત્યારે ઇન્સાન ખયાલોમાં ખોવાયેલો રહે છે. કોઈપણ રીતે પોતાના પ્રેમને મેળવવાની કોશિશ કરે છે. પણ બધાં વિચારો બધા સપનાં પુરા થવા માટે નથી હોતા. કેટલાક સપનાં હૃદયમાં ઉદભવે છે અને મગજમાં મરણ પામે છે. દરિયો પાર કરવાના વિચારમાં જ ડૂબી જવાય છે. મુઝફર સાહેબની પંક્તિ યાદ આવે છે.” સોચતે સોચતે દિલ ડૂબને લગતા હૈ મેરા, જહેન કી તય મે ‘મુઝફર’ કોઈ દરિયા તો નહિ !
પડકાર સામે હો તો અડીખમ ઊભો રહું,
લિસ્સી સુંવાળી વાતોમાં લપસી જવાય છે.
કવિની ખુમારી અહીં દેખાય આવે છે. જો કોઈ પડકાર કરે તો સામે ઊભા રહે છે. કોઈનો ડર કોઈની બીક નથી. પડકાર જીલવા માટે અડીખમ ઊભા રહે છે. પણ લીસ્સી અને સુંવાળી વાતોમાં લપસી જવાય છે. કોઈ પ્યારના બે બોલ બોલી દે , કોઈ મીઠી અને સુંવાળી વાતો કરે તો લપસી જવાય છે. અહીં એક પુરુષની મર્દાનગી સાથે સાથે એક કવિનું કોમળ હૃદય બંને એક શેર માં મળી આવે છે.
ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે!
ગઝલ શી રીતે બને છે? ગઝલ કોઈની હૃદયની વાત શબ્દ થકી કાગળ પર ઊતરે છે. અને એ શબ્દો કાગળ પર આવતા આવતા કેટલી વાર ઘૂંટાય છે અને ક્યારેક કલમ વડે તો ક્યારેક લોહીથી ખરડાઈને તો ક્યારેક આંસુથી ભીંજાઈને કાગળ પર ઊતરે છે. એટલે કવિ કહે છે કે ખાલી ગઝલ હોય તો ફટકારી દઈએ પણ આ તો હૃદયની વાત છે , હાંફી જવાય છે. તમે પણ સર, જિંદગીથી હાંફી ગયા. સલામ કવિ શ્રી ખલીલ ધનતેજવી સાહેબ! જન્નતમાં આપને આલા મુકામ મળે એવી અભ્યર્થના સાથે!
હિજરી સાલ 1445, ઇસ્લામિક કેલેન્ડરનું નવું વર્ષ. શા માટે ઇસ્લામિક નવું વર્ષ ખુશી સાથે શરૂ નથી થતું? શા માટે મોહર્રમનું નામ આવતાં દિલમાં ઉદાસી છવાઈ જાય છે? શા માટે અમારાં નવાં વર્ષમાં ફટાકડા નથી ફૂટતા,પણ દિલમાંથી આહ નીકળે છે? શા માટે મોહર્રમ નો પહેલો ચાંદ અમારી આંખોમાં આંસું ભરી દે છે? ઘણાં સવાલ છે, જવાબ બસ એકજ છે. હુસૈન અ.સ. ની તેમજ એમનાં કુટુંબીજનોની ક્રુરતાથી થયેલી શહાદત!
આજ મોહર્રમ ની પહેલી તારીખ છે.ફરી એજ આંસુ અને એજ ગમ અને એજ ફરિયાદ છે. આજ આપણે હુસૈન ઈબ્ને અલી વિષે થોડી માહિતી અને એમની જિંદગીની છેલ્લી સફરની થોડી વાતો કરીશું. ઈમામ હુસૈન અ.સ પયગંબર મહંમદ અ.સ ના નવાસા હતા અને ઇમામ અલી અ.સ. તથા મહંમદ પયગંબર ના પુત્રી બીબી ફાતિમાના પુત્ર તથા ત્રીજા ઇમામ હતા. શિયા લોકો 12 ઇમામને માને છે. ઇમામ હસન અ.સ બીજા ઇમામ હતા. ઇમામ હસન અ.સ ઇમામ અલીના પહેલા પુત્ર હતા જેમને ઇમામત મળી હતી. ઇમામ હસનને ઝેર આપીને શહીદ કરવામાં આવ્યા હતા .એ પછી ઇમામત ઇમામ હુસૈનને મળી હતી. પયગંબર મહંમદ સ.અ ઇમામ હસન અને ઇમામ હુસૈનને ખૂબ ચાહતા હતા. રસુલે ખુદા એમને પોતાના ખભા પર બેસાડીને બજારમાં ફરતા. ઇમામ હુસૈન રસુલે ખુદા નમાજ પડતા હોય તો એમની પીઠ પર ચડી જતા. રસુલે ખુદા જ્યા સુધી હુસૈન ખભા પરથી ના ઉતરે ત્યાં સુધી સજદામાંથી ઊભા ના થતા. રસુલે ખુદા લોકોને એમ કહેતા કે “જે લોકો હસન હુસૈન ચાહે છે એ લોકો મને ચાહે છે અને જે લોકો હસન હુસૈન ને નફરત કરે છે એ મને નફરત કરે છે.” અને રસુલે ખુદા એમ પણ કહેતા કે “હસન અને હુસૈન જન્નતના જવાનોના સરદાર છે.” રસુલના પ્યારા હુસૈનને ઇમામત મળી જેનો વાંધો યઝીદ ઈબ્ને માહવીયાને હતો. જે તે સમયનો જુલ્મી રાજા હતો. જુલ્મી શાસકોએ ઇમામ અ.સ ને ત્રાસ આપવામાં બાકી ના રાખ્યું. એ જુલ્મી શરાબી અને સત્તાનો દિવાનો હતો..તે સતત ઇમામ હુસૈનને હુકુમત થકી ત્રાસ આપતો હતો. .તેણે ઇમામ હુસૈનને બયત કરવા આમંત્રણ આપ્યું..બયત કબુલ કરવી એટલે એની મરજી પ્રમાણે ના જુલ્મી, અન્યાયી અને ભ્રષ્ટાચારી શાસનનો સ્વીકાર. ઇમામ હુસૈનને એ વાત મંજૂર ના હતી.
રજબ મહિનાની 28 મી તારીખે ઇમામ હુસેનનો કાફલો મદીનાથી હજ કરવા માટે નીકળ્યો. પણ હજ એમની પૂરી થઇ નહિ અને એમને કુફા તરફથી પત્ર મળ્યો કે કુફામા લોકો એમને ઇમામ તરીકે સ્વીકારવા તૈયાર છે. એ કુફા તરફ રવાના થયા. રસ્તામાં એમને સમાચાર મળ્યાં કે કુફાના લોકોએ દગો કર્યો છે અને એમના એક સાથી હઝરત મુસ્લિમને ખૂબજ ક્રુરતાથી શહીદ કરી નાખ્યા છે. રસ્તામાં ખલીફ યઝીદના 1000 જેટલાં સૈનિકોએ ઇમામ હુસૈનના 70 જવાનોને ફોર્સ કરીને કરબલા તરફ વાળી દીધાં. આશુરા ના દિવસે ઝોહર અને અસરની નમાજ વચ્ચે 72 સાથી શહીદ થઇ ગયાં. હવે પછીના લેખમાં એક એક દિવસે એક એક શહીદનો કિસ્સો લખીશ!
યુવા કવયિત્રી શબનમ ખોજા ચોટદાર ગઝલ આપે છે. કાઠિયાવાડી અથવા રાજસ્થાની શબ્દ છે ‘ખમ્મા” આ શબ્દ ઘણી વાર વાપરવામાં આવે છે. જ્યારે દરબાર બેઠાં હોય અને કોઈ ની પ્રશંસા કરવાની હોય તો પણ ઘણી ખમ્મા બોલાય છે. અને ક્યારેક આશ્વાસન આપવા માટે આ શબ્દ વપરાય છે. અને ક્યારેક ગ્રીટિંગ્સ માટે વપરાય છે. માફ કરી દેવા માટે પણ વપરાય છે. કવયિત્રી શબનમેં રદીફ તરીકે ખમ્મા લઈને ઘણી વાતોને ખમ્મા કરી છે। ચાલો જોઈએ દરેક શેર શું કહેવા માગે છે.
મત્લા ના શેર માં નજરથી થતા ઈશારા કે પછી આંખથી થતી ભલામણ ને ખમ્મા। ઘણી વાતો છાની છૂપી થતી હોય છે, એ ઇશારાને સલામ અથવા ખમ્મા। ઘણીવાર જબાનથી બોલવાની જરૂર પડતી નથી આંખના ઇશારાથી સલામ થાય છે. અને આંખમાંથી જે આંસુ ઝરે છે એને ખમ્મા, આંસુને પણ સલામ થતા હોય છે સલામ એ એક ગ્રીટિંગ્સ નું રૂપ છે. બીજા શેર માટે ગાલિબનો શેર યાદ આવે છે કે “મહોબતમેં નહિ ફર્ક જીને ઔર મરનેકા, ઉસીકો દેખકે જીતે હૈ જિસ કાફિર પે દમ નિકલે ” હા સ્મરણની પણ કેવી અસર હોય છે, જેની યાદ માં મરતા હોઈએ એજ મારણ જીવાડે છે. પ્રેમમાં વળી સમજણનું શું કામ? સમજ ની ગલી છોડી સમજણને ઘણી ખમ્મા કરી. મક્તાનો શેર ખૂબ સુંદર થયો છે, દરેક કવિની મથામણ બતાવી છે.લખું છું ,ભૂંસુ છું અને મથું છું, ગઝલ લખવા થતી મથામણને ખમ્મા!! વાહ કવિયત્રી મોટા મોટા દિવંગત કવિઓને વિચારતા કરી મૂકે એવી ગઝલ!!