« Older Entries Newer Entries » Subscribe to Latest Posts

1 Aug 2022

હુસૈન કોણ છે ?

Posted by sapana. No Comments

હિજરી સાલ 1444! ઇસ્લામિક કેલેન્ડરનું નવું વર્ષ! શા માટે ઇસ્લામિક નવું વર્ષ ખુશી સાથે શરૂ નથી થતું? શા માટે મોહર્રમનું નામ આવતાં દિલમાં ઉદાસી છવાઈ જાય છે? શા માટે અમારાં નવા વર્ષમાં ફટાકડા નથી ફૂટતાં,પણ દિલમાંથી આહ નીકળે છે? શા માટે મોહર્રમ નો પહેલો ચાંદ અમારી આંખોમાં આંસું ભરી દે છે? ઘણાં સવાલ છે, જવાબ બસ એકજ છે. હુસૈન અ.સ. ની તેમજ એમનાં કુટુંબીજનોની ક્રુરતાથી થયેલી શહાદત!

આજ મોહર્રમ ની પહેલી તારીખ છે. ફરી એજ આંસુ અને એજ ગમ અને એજ ફરિયાદ છે. આજ આપણે હુસૈન ઈબ્ને અલી વિષે થોડી માહિતી અને એમની જિંદગીની છેલ્લી સફરની થોડી વાતો કરીશું. ઈમામ હુસૈન અ.સ પયગંબર મહમદ અ.સ ના નવાસા હતા અને ઇમામ અલી અ.સ. તથા મહંમદ પયગંબર ના પુત્રી બીબી ફાતિમાના પુત્ર તથા ત્રીજા ઇમામ હતા. શિયા લોકો 12 ઇમામને માને છે. ઇમામ હસન અ.સ બીજા ઇમામ હતા. ઇમામ હસન અ.સ ઇમામ અલીના પહેલા પુત્ર હતા જેમને ઇમામત મળી હતી. ઇમામ હસનને ઝેર આપીને શહીદ કરવામાં આવ્યા હતા .એ પછી ઇમામત ઇમામ હુસૈનને મળી હતી. પયગંબર મહંમદ સ.અ ઇમામ હસન અને ઇમામ હુસૈનને ખૂબ ચાહતા હતા. રસુલે ખુદા એમને પોતાના ખભા પર બેસાડીને બજારમાં ફરતા. ઇમામ હુસૈન રસુલે ખુદા નમાજ પડતા હોય તો એમની પીઠ પર ચડી જતા. રસુલે ખુદા જ્યા સુધી હુસૈન ખભા પરથી ના ઉતરે ત્યાં સુધી સજદામાંથી ઊભા ના થતા. રસુલે ખુદા લોકોને એમ કહેતા કે “જે લોકો હસન હુસૈન ચાહે છે એ લોકો મને ચાહે છે અને જે લોકો હસન હુસૈન ને નફરત કરે છે એ મને નફરત કરે છે.” અને રસુલે ખુદા એમ પણ કહેતા કે “હસન અને હુસૈન જન્નતના જવાનોના સરદાર છે.” રસુલના પ્યારા હુસૈનને ઇમામત મળી જેનો વાંધો યઝીદ ઈબ્ને માહવીયાને હતો. જે તે સમયનો જુલ્મી રાજા હતો. જુલ્મી શાસકોએ  ઇમામ અ.સ ને ત્રાસ આપવામાં બાકી ના રાખ્યું. એ જુલ્મી શરાબી અને સત્તાનો દિવાનો હતો..તે સતત ઇમામ હુસૈનને હુકુમત થકી ત્રાસ આપતો હતો. .તેણે ઇમામ હુસૈનને બયત કરવા આમંત્રણ આપ્યું..બયત કબુલ કરવી  એટલે એની મરજી પ્રમાણે ના જુલ્મી, અન્યાયી અને ભ્રષ્ટાચારી શાસનનો સ્વીકાર. ઇમામ હુસૈનને એ વાત મંજૂર ના હતી.

રજબ મહિનાની 28 મી તારીખે ઇમામ હુસેનનો કાફલો મદીનાથી હજ કરવા માટે નીકળ્યો. પણ હજ એમની પૂરી થઇ નહિ અને એમને કુફા તરફથી પત્ર મળ્યો કે કુફામા લોકો એમને ઇમામ તરીકે સ્વીકારવા તૈયાર છે. એ કુફા તરફ રવાના થયા. રસ્તામાં એમને સમાચાર મળ્યાં કે કુફાના લોકોએ દગો કર્યો છે અને એમના એક સાથી હઝરત મુસ્લિમને ખૂબજ ક્રુરતાથી શહીદ કરી નાખ્યા છે. રસ્તામાં ખલીફ યઝીદના 1000 જેટલાં સૈનિકોએ ઇમામ હુસૈનના 70 જવાનોને ફોર્સ કરીને કરબલા તરફ વાળી દીધાં. આશુરા ના દિવસે ઝોહર અને અસરની નમાજ વચ્ચે 72 સાથી શહીદ થઇ ગયાં. હવે પછીના લેખમાં એક એક દિવસે એક એક શહીદનો કિસ્સો લખીશ!

સપના વિજાપુરા

5 Jun 2020

ઝૂક્યાં નહીં

Posted by sapana. 1 Comment

પીડા વગર જીવી શક્યા હોત, જીવ્યાં નહીં
આંસુને પણ ખાળી શક્યા હોત , ખાળ્યાં નહીં

બેડી પડી પગમાં, હૃદય આ છે જખ્મો થી ચૂર
તોડીને એ ભાગી શક્યા હોત ,ભાગ્યાં નહીં

લઈને સહારો કોઈ ખભાનો રડીને અમે ,
જખ્મો ને પણ સીવી શક્યા હોત સીવ્યા નહીં

કરતા રહ્યા લાખો ગુના, દિલ દુભાવ્યા ઘણાં
તૌબા કરી, ઝૂકી શક્યા હોત ઝૂક્યાં નહીં

લેબલ લગાવ્યા ધર્મના આ કપાળે જુઓ
માનવ ને પણ જાણી શક્યા હોત જાણ્યાં નહીં

આકાશને પામી હસી ના શક્યા આપણે
ધરતી ઉપર ચાલી શક્યા હોત , ચાલ્યાં નહીં

સપના સુગંધી ફૂલ જેવા હતાં આપણા
પાપણ ઉપર રાખી શક્યા હોત રાખ્યા નહીં

સપના વિજાપુરા

21 Apr 2020

વાત કરવી છે

Posted by sapana. No Comments

કાનમાં તુજ એક છાની વાત કરવી છે
આવ મારે આજ નાની વાત કરવી છે

સાંભળે ના એ હવા ,ના સાંભળે ઝરણા
આવ તું તો એક મજાની વાત કરવી છે

શું ઈશારા એ કરે છે આ નયન તારા
બોલને તું આજ શાની વાત કરવી છે?

ફૂલને શું આ ભ્રમર કહે છે જરા સાંભળ
લો ભ્રમર જેવી સુહાની વાત કરવી છે

ફૂલની પીંછી ફરી જ્યારે નયન પર મુજ
ભાન ભૂલી એ નશા ની વાત કરવી છે.

નામ મેંદીથી લખ્યું તારું હથેળીમાં
કેમ વીતે આ જવાની, વાત કરવી છે

ખૂબ સપના યાદ આવે છે હવે એને
મૌન તોડ્યું છે તો શાની વાત કરવી છે

સપના વિજાપુરા

16 Apr 2020

ખમ્મા

Posted by sapana. 2 Comments

કે ખમ્મા નજરની ભલામણને ખમ્મા,
ઝરે આંખથી એ રસાયણને ખમ્મા.

છે તારા સ્મરણની અસર કેવી નોખી !
જીવાડે છે એવા આ મારણને ખમ્મા.

સહજ થઈ સમજની ગલી છોડી દીધી,
પછી મેં કહ્યું મારી સમજણને ખમ્મા !

લખું છું, ભૂંસુ છું, ફરીથી મથું છું
ગઝલ જે કરાવે મથામણને ખમ્મા.

– શબનમ

યુવા કવયિત્રી શબનમ ખોજા ચોટદાર ગઝલ આપે છે. કાઠિયાવાડી અથવા રાજસ્થાની શબ્દ છે ‘ખમ્મા” આ શબ્દ ઘણી વાર વાપરવામાં આવે છે. જ્યારે દરબાર બેઠાં હોય અને કોઈ ની પ્રશંસા કરવાની હોય તો પણ ઘણી ખમ્મા બોલાય છે. અને ક્યારેક આશ્વાસન આપવા માટે આ શબ્દ વપરાય છે. અને ક્યારેક ગ્રીટિંગ્સ માટે વપરાય છે. માફ કરી દેવા માટે પણ વપરાય છે. કવયિત્રી શબનમેં રદીફ તરીકે ખમ્મા લઈને ઘણી વાતોને ખમ્મા કરી છે। ચાલો જોઈએ દરેક શેર શું કહેવા માગે છે.

મત્લા ના શેર માં નજરથી થતા ઈશારા કે પછી આંખથી થતી ભલામણ ને ખમ્મા। ઘણી વાતો છાની છૂપી થતી હોય છે, એ ઇશારાને સલામ અથવા ખમ્મા। ઘણીવાર જબાનથી બોલવાની જરૂર પડતી નથી આંખના ઇશારાથી સલામ થાય છે. અને આંખમાંથી જે આંસુ ઝરે છે એને ખમ્મા, આંસુને પણ સલામ થતા હોય છે સલામ એ એક ગ્રીટિંગ્સ નું રૂપ છે. બીજા શેર માટે ગાલિબનો શેર યાદ આવે છે કે “મહોબતમેં નહિ ફર્ક જીને ઔર મરનેકા, ઉસીકો દેખકે જીતે હૈ જિસ કાફિર પે દમ નિકલે ” હા સ્મરણની પણ કેવી અસર હોય છે, જેની યાદ માં મરતા હોઈએ એજ મારણ જીવાડે છે. પ્રેમમાં વળી સમજણનું શું કામ? સમજ ની ગલી છોડી સમજણને ઘણી ખમ્મા કરી. મક્તાનો શેર ખૂબ સુંદર થયો છે, દરેક કવિની મથામણ બતાવી છે.લખું છું ,ભૂંસુ છું અને મથું છું, ગઝલ લખવા થતી મથામણને ખમ્મા!! વાહ કવિયત્રી મોટા મોટા દિવંગત કવિઓને વિચારતા કરી મૂકે એવી ગઝલ!!

સપના વિજાપુરા

31 Mar 2020

નડવું નથી

Posted by sapana. No Comments


કોઈને સીડી બનાવીને ઉપર ચડવું નથી
ને હટાવીને ફરી એને ય બસ પડવું નથી

હા તમે સાચા જ છો માની લઉં છું વાત એ
વાત વાતે રોજ કોઈ સંગ ના   લડવું નથી

લો બનાવી સ્મિત રાખો આપના મુખચંદ્ર પર
કે તમારી આંખનું આંસું થઈ દડવું નથી

રેશમી પાપણમાં છૂપાવી દો એ રીતે મને
છો જગત આખું મને શોધ્યાં કરે, જડવું  નથી

જૂઠ મીઠું હોય છે  કાનો ને ગમતું હોય છે
પણ ગળે જો ઉતરે આ સત્ય પણ કડવું નથી

હાથ જોડી ને હું માફી આજ માંગું  આપની
નર્કમા તો જિંદગીભર મારે પણ સડવું નથી

માર્ગથી એનાં હટી જા બસ હવે “સપના”તું તો
કોઈને પણ આપણે પથ્થર થઈ નડવું નથી
સપના વિજાપુરા

21 Mar 2019

કવિતા

Posted by sapana. 4 Comments

 

કવિતા દિવસ મુબારક મારાં કવિતા પ્રેમીઓને!!

ફૂલ જેવી એક રચના છે કવિતા
આપણી તો રોજ ચર્ચા છે કવિતા

વાત જાણે મૌન ભાષાની કવિતા
કેટલી સુંદર, સુંદરતા છે કવિતા

હું ગઝલ કહું કે કહું કોઈ કવિતા
પ્રેમ બન્નેથી છે, આત્મા છે કવિતા

એક એક શબ્દ અગ્નિ વરસાવે
આમ જુઓ તો લો તણખા છે કવિતા

ચાલ દિલ કોઈ મજાની કવિતા લખ
આ દિવસ કવિતાનો, કવિતા છે કવિતા

લાવ કંકુ, પાથરું હું રસ્તામાં
કંકુવરણા લાલ પગલા છે કવિતા

હું તને ચાહુ તું ચાહે છે મને પણ
આપણી દોસ્તી તો સપના છે કવિતા

સપના વિજાપુરા 

6 Oct 2018

આવડે છે?

Posted by sapana. 5 Comments

મૌનમાં બોલતાં આવડે છે?
આંખમાં ખોળતાં આવડે છે?

પ્રેમમાં હોય છે જાગરણ પણ,
રાતમાં જાગતાં આવડે છે?

પાંખ તો કોઈ કાપી ગયું છે,
એ વિના ઊડતાં આવડે છે?

વેદના, વેદના, વેદના છે,
આંસુ ને ખાળતાં આવડે છે?

ગાંઠ સંબંધમાં પણ પડી છે
બાંધ્યું ખોલતાં આવડે છે?

નાવડી કે હલેસું નથી પણ
જળ ઉપર ચાલતાં આવડે છે?

ફૂલ ખીલતા રહે છે વસંતે
શિશિર માં ખીલતાં આવડે છે?

તું કરે છે ખુદાઈનો દાવો
ત્રાજવું તોળતાં આવડે છે?

એ બી સી ડી તો ગોખી ગયો છે
ગુર્જરી બોલતાં આવડે છે?

કોઈ સપનાં હકીકત બને ના
ખ્વાબ માં જીવતાં આવડે છે?

સપના વિજાપુરા

16 Sep 2018

પ્રેમ એક પરમ તત્વ -2-ગુરૂ -સપના વિજાપુરા

Posted by sapana. No Comments

પાપા પગલી કરતું બાળક માં ના ખોળામાં થી નીકળી હવે ડે કેર માં જાય છે!!
મને યાદ છે એ દિવસ જ્યારે પ્રથમવાર એને  ડે કેર માં છોડી આવી હતી. ગળામાં ડૂમો ભરાયેલો હતો.અને જાણે એક કલેજાનો એક ટૂકડો છૂટો પડી રહ્યો હતો!! પતિ કહે આ બધું એનાં ભવિષ્ય માટે કરવાનું છે!! સાચી વાત છે!! પણ હ્ર્દય ના માને!!  ડે કેરની બારીમાં થી હાથ લાંબાં કરી રડતો રડતો એ મને બોલાવી રહ્યો હતો!! ઘેર આવી ટીચર ને ચાર પાંચ કોલ કરી નાખ્યાં!! બેકગ્રાઉન્ડમાં એનાં રડવાનો અવાજ સંભળાતો હતો!! આ હતો અમારો પહેલો વિરહ અને   પ્રેમ અહેસાસ !! એ દિવસે દિવસે ડે કેરમાં સેટ થઈ ગયો!! અનેક  મિત્રોને મળવાની ઉત્સુકતા!! અને ટીચર !! આ હતો એનો બીજો પ્રેમ ગોરી ટીચર !! અને ટીચરની વાતો મારામાં ક્યાંક ઈર્ષા જગાવી જતી!! અને એનાં નાના નાના મિત્રો એને મારાથી દૂર કરી રહ્યા હતાં.પ્રેમમાં નિકટતા જરૂરી છે.ગોરી ટીચર અને મિત્રો સાથે લગભગ આખો દિવસ નીકળીજતો!! ઘેર આવીને પણ એમની વાતો!! ડૅ કેર ના રમકડા અને ગેઈમ!! આ બધું પ્રેમમાં ઉમેરાવા લાગ્યું!! વસ્તુ અને ઘર સાથે પણ પ્રેમ થાય છે!! લાગણીને ક્યાં આંખો છે!! પ્રેમ માં કોઈ બંધન નથી!! પ્રેમમાં રંગભેદ નથી જ્ઞાતિભેદ નથી!! પ્રેમમાં ગોરી ટિચર હોય કે મેક્સીકન માઈકલ હોય બન્ને તમારાં હ્ર્દયને સ્પર્શી જતાં હોય છે!! એટલી હદ સુધી કે માઈકલને વાગે તો એને ચોટ લાગે અને ગોરી ટીચર જો એ ક્લાસ છોડી જાય તો એની આંખો આંસું થી છલકાઈ જાય! ગુરુ કે શિક્ષકનું કેટલું મહત્વ છે અને વિધ્યાર્થીના દિલમાં કેટલું સ્થાન છે એ દરેક વિધ્યાર્થી જાણે છે!! અહી વાલી બાળક અને શિક્ષકને જોડતું એક માત્ર તત્વ પ્રેમ છે પ્રેમની ભાષા ભલે અલગ હોય પણ બન્ને પક્ષે  પ્રેમ એક નિખાલસ પ્રેમ છે. એમાં સ્વાર્થ ને સ્થાન નથી!!
જેમ ભક્ત ઈશ્વર સામે જુએ છે એજ રીતે એક શિષ્ય શિક્ષક સામે જુએ છે!! શિષ્યની જિજ્ઞાસાને સંતોષવા માટે શિક્ષક જીવ જાનથી પ્રયત્ન કરે છે!! ગાંધીજીએ કહ્યું છે, “વિદ્યાર્થીને કેળવે તે કેળવણી”.અને માટે જ  બાળકનો  પહેલો  ગુરુ માં છે તેજ રીતે  એ શિક્ષક ને ખૂબ આદર અને પ્રેમ આપે છે!! મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શીક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.માતાને પોતાના તાજા જન્મેલા બાળકનું મો પ્રથમવાર બતાવવામા આવે છે,ત્યારે એના હદયના ભાવો કોણ પારખી શકે છે? વાત્સલ્ય, કૃતકૃત્યતા, સમર્પણ. શિક્ષક પોતાના નવા બાળકોનું મો પહેલીવાર જુવે ત્યારે એના દિલમાં જે પવિત્ર લાગણીઓ ઉઠે છે. એનું વર્ણન કોણ કરી શકે ? એમાં પણ વાત્સલ્ય છે, કૃતાર્થતા છે, સમર્પણ છે.આપણા શાસ્ત્રોમાં તો ગુરુને ખૂબ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે!!ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાવ, ગુરુ કો લાગુ પાવ જીસને ગોવિંદ દિયો બતાય!!
વિદ્યાર્થીને સમજીને, ચાહીને, નજીક લાવીને એનો વિશ્વાસ સંપાદન કરવો, એનો પ્રેમ એવી રીતે મેળવવો કે તે જ્ઞાન અને કર્મને આપોઆપ રસ પૂર્વક મેળવવા ઉત્સુક બને.શિક્ષકને મળવાની ઉત્કંઠા બાળકને ક્લાસમાં અભ્યાસમાં અને આદરમા વધારો કરે છે!! પ્રેમ અહીં જુદું સ્વરૂપ લે છે!! એ છે,આદરનુ!! હવે બાળક શિક્ષક દ્વારા અપાતા સંસ્કારો ઝીલવા તત્પર બને છે. એજ સાચી ભક્તિ નું સ્વરૂપ લે છે.નાના બાળકના દિલમાં ભક્તિ એટલે  પ્રેમ, હુંફ, ભાવના, લાગણી, માન આપવાનું કે તેની કદર કરવાનું કાર્ય એક શિક્ષક કરે છે અને શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેના આ પ્રેમ ભર્યા સબંધોને કારણે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે પ્રેમ અને એખલાસ પાંગરે છે.
પ્રેમ, લવ, ઈશ્ક, મુહબ્બત, પ્યાર, ચાહત, નામ તમે ગમે તે આપો પણ સીધો સાદો અર્થ તો થાય છે ચાહવું, ચાહવું અને ફક્ત ચાહવું. પ્રેમને અનેક નામ આપી દો પણ પ્રેમ એક નામ પૂરતું છે પ્રેમ એક માતા પુત્રનો, સાસુ-વહૂનો એક મિત્ર નો બીજા મિત્ર સાથે, ભાઈ બહેન નો, ગુરુ-શિષ્યનો કોઈ પણ રૂપ માં હોય છે.પ્રેમ દર્શાવવા માટે!!
સપના વિજાપુરા

30 Aug 2018

પ્રેમ એક પરમ તત્વ -ભાગ 1

Posted by sapana. 5 Comments

“આંખ જ્યારે ખોલી મેં, તો ખુદને તેના ખોળામા પામ્યો..
રડ્તો હતો હું જ્યારે જ્યારે, ત્યારે છાતીએ મને દાબીને તેણે અમ્રુતનો ઘુટડો પાયો.”
-સેજપાલ શ્રીરામ પી.
માનવી પંચતત્વથી બનેલો છે.પણ ઈશ્વરે એમાં એક છટ્ટુ તત્વ ઉમેર્યુ છે,જે પ્રેમ છે. કોઈ પણ વ્યક્તિનો સૌ પ્રથમ પ્રેમ એની મા હોય છે.મા વગર કોઈનો જન્મ શક્ય નથી. મા પાસે ખામોશીની ભાષા છે પ્રેમ. ભગવાને માને એવો પ્રેમ આપ્યો છે એ બાળકની દરેક જરૂરિયાત પૂરી કરે છે ! અને અંતે એજ પ્રેમ જરૂરિયાત બની જાય છે. મા પાસે આ તત્વ ના હોત તો સ્ત્રીઓ બાળકોને જન્મ આપી રખડતા મૂકી દેત! હર પ્રેમ કરતાં મા નો પ્રેમ ઊંચો દરજ્જો પામ્યો છે કારણકે માનો પ્રેમ અપેક્ષા અને સ્વાર્થ રહિત હોય છે.બાળકની દુનિયા માં નીઆસપાસ ફરતી હોય છે. મા ના પાલવમાં એને સુરક્ષા લાગે છે. મા શબ્દ મુખમાં થી નીકળતા મમતા, સ્નેહ, લાગણી, અને પ્રેમ સાગરના મોજાની જેમ ઉછળે છે. માનવી જેમ શ્વાસ વગર રહી શકતો નથી એમ પ્રેમ વગર રહી શકતો નથી. આ પ્રેમનો પાયો મા ચણે છે! ગર્ભમાં થી મા બાળકને પ્રેમની ઉર્જા આપવાનું ચાલું કરે છે! પ્રસવની વેદના પણ એ ખમી જાય છે એ બાળકની પ્રતીક્ષામાં! તેથી મા ના પગ નીચે જન્નત છે એવું કહેવામાં આવે છે.ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ ,ઘણી વેદના અને સંવેદના પછી એને બાળકની ભેટ મળે છે. અહીં માં ઈશ્વરના પ્રેમને યાદ કર્યા વગર રહી શકતી નથી.અને આ વેદના સાથે ઈશ્વર માના ગર્ભમાં પ્રવેશી જાય છે અને માટે જ બાળક જ્યારે માં ના ગર્ભમાં હોય ત્યારે માં ને ખબર નથી કે આ બાળક કેવું છે દીકરી છે કે દીકરો!! તંદુરસ્ત છે કે નહીં! છતાં મા ના દિલમાં ઇશ્વર એ બાળક પ્રત્યે એટલો પ્રેમ મૂકી દે છે કે મા ની દુનિયા એ બાળક બની જાય છે.માં ને પુત્ર કે પુત્રીનો પહેલો સ્પર્શ પણ યાદ રહી જાય છે!! અને પ્રેમ વાત્સલ્ય બની જાય છે.
મા વિશે લગભગ બધા સાક્ષરોએ કલમ ચલાવી હશે. માનો પ્રેમ જેને મળે તે જ જાણે.. નવ મહિના દરમિયાન મા ગર્ભમાં નિઃસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમના ફૂલોની સુગંધ આપણે માટે મૂકતી જાય છે. તાજા જન્મેલા બાળકને ધવડાવતી માની કલ્પના કરો. એ દૃશ્યમાં માની મમતા ઊભરાય છે. “મેં પહેલી વાર જ મારી બેબીને ગોદમાં લીધી, એ પળ હું કદી ભૂલીશ નહિ. એક નવી જિંદગી મારા હાથમાં ધબકતી હતી.
બંધ કમરામાં,
It’s a boy!!..કહી .નર્સે તને મારા હાથમાં મૂક્યો.
મેં તને છાતી સરસો ચાંપ્યો,
છાતીમાંથી ક્ષીર ફૂટ્યાં
તારા નાનાં નાનાં
હાથનો સ્પર્શ
સ્નેહનાં પારણાં ઝૂલાવે,
અને હું થઈ પ્રેમવિભોર!!
સપના વિજાપુરા

આ તો મારા દીકરાની વાત થઇ હવે વાત કરું મારી ‘બા’ની બા ને નવ સંતાન થયા પણ બધાને સમાન પ્રેમ કરનાર એ જનેતા દરેક જાતના દુ:ખ વેઠીને પોતાના બાળકોને દરેક પ્રકારના સુખ આપ્યા હતા. બા આ દુનિયામાં નથી પણ બા તમારી દુઆ અમારી સાથે છે. આજ મધર્સ ડે  ના દિવસે બસ આટલું જ કહીશ કે રોજ મધર્સ ડે  ઉજવીએ, રોજ તારા પગ પખાળી પાણી પીએ  તપ પણ તારા ઋણ  અમારાથી નહિ ચૂકવાઈ

માં ના હાથમાં જ્યારે શીશુને મૂકવામાં આવે તો માં કેટલી પ્રેમવિભોર થઈ જાય છે. પ્રેમ નાં ક્ષીર છાતીમાં ઊભરાઈ આવે છે!!આવો અદભૂત પ્રેમ તો મા અને બાળકનો જ હોય શકે!! માના પ્રેમમાં ઈશ્વરનો પ્રેમ છે!! માં ના દ્વારા જ ઈશ્વરનો અનાયાસ પ્રવેશ આપણા જીવનમાં થાય છે.
જીવનમાં બધું સ્પષ્ટ નથી હોતું કેટલાક પ્રેમ સદાય રહસ્ય હોય છે તો કેટલાક અકળ… જે તમે, કે આપણે સૌએ જન્મતાની સાથે અનુભવ્યો છે.આવો માત્રુ પ્રેમ દેવો પણ તરસે છે.માનો પ્રેમ એટલે આનંદ,એક સનાતન અવસ્થા, અંગ અંગમાં આનંદ છલકે મલકે -ઝળકે કોઈ શાશ્વતીનો સ્પર્શ જાણે કોઈ પરમ તત્વ …
સપના વિજાપુરા

22 May 2018

ગુજરાત ગૌરવ દિવસ

Posted by sapana. 2 Comments

 


બે એરિયા માં વસતા ગુજરાતી બાર વરસથી ગુજરાત સ્થાપના ના દિવસની ઉજવણી કરવા મે મહીના માં ગુજરાત ગૌરવ દિવસ ઉજવે છે. સુરેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ “બેઠક”ના આયોજન નીચે ગુજરાતી સમાજ નોર્થ કેલિફોર્નિઆ યુ એસ એ આ કાર્યક્રમ મે ૧૩, ૨૦૧૮ ના દિવસે યોજાયો.
સૌ પ્રથમ કલ્પનાબેન રઘુ એ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરી!! ત્યારબાદ ઈન્ડીયા કોમ્યુનીટી સેન્ટરના સી ઈ ઑ શ્રી રાજ દેસાઈએ સૌને આવકાર્યા, આયોજક પ્રજ્ઞાબેન દાદભાવાળા એ સર્વ મહેમાનોનું સ્વાગત કરતા મધર્સ ડે નિમિત્તે સૌ માતાને વંદન કરતા જનની જોડ સખી રજુ કર્યુ.
ત્યારબાદ સુરેશભાઈ પટેલ જે મામાના હુલામણાં નામથી પ્રસિધ્ધ છે. એમણે પણ સર્વે મહેમાનોને આવકારતા કહ્યું કે દરવર્ષની જેમ આજના ગૌરવવંતા દિવસે આપણે સૌ સાથે મળી ગુજરાતી હોવાનું ગૌરવ લઈએ. બે એરિયામા અનેક ગુજરાતીઓ પોતાના ક્ષેત્રમાં અનોખુ યોગદાન આપે છે. બે એરિયા ગુજરાતી સમાજ  આવા ગુજરાતીને સન્માનથી નવાજે છે. આ વરસે ગુજરાતી સમાજ શ્રી નરેન્દ્રભાઈ પાઠક, શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, શ્રી પ્રતાપભાઈ પંડયા અને શ્રીમતી જયશ્રીબેન મરચંટને તેમના ક્ષેત્રમાં યોગદાન માટે નવાજ્યા છે. શ્રી ચંદ્રકાંત પટેલ ટેકનોલીમાં યોગદાન આપી રહ્યા છે.એમણે ૧૫૦ જેટલી પેટન્ટ બનાવી છે. અને  શ્રી નરેન્દ્રભાઈ પાઠક બે એરિયામાં કમિશ્નર ઓફ કોંગ્રેસ રહ્યા છે અને બીજી સંસ્થાઓમાં યોગદાન આપી રહ્યા છે. એક નારી શક્તિ ના પ્રતિક સમા શ્રીમતી જયશ્રીબેન મરચંટ પોતાના સ્વર્ગસ્થ પતિના પગલે ચાલી અનેક સંસ્થાઓને યોગદાન આપી રહ્યા છે તેમજ સાહિત્ય ક્ષેત્રે એ મોટા ગઝલકાર અને વાર્તાકાર છે.. આજના અતિથિ વિશેષ શ્રી પ્રતાપભાઈ પંડ્યા વિષે સુરેશમામાએ કહ્યુ કે એ સાહિત્ય, કલા અને સંસ્કૃતિના શિરોમણી છે. વિદેશમાં રહીને પણ ગુજરાતી ભાષાને ઉજાગર રાખવાનું કપરું કામ કરી રહ્યા છે. અને પુસ્તક પરબ ચલાવી કરોડો લોકોને સાહિત્ય પીરસી રહ્યા છે. કલા સાહિત્ય અને સંસ્કૃતિ ના ક્ષેત્રમાં જ્યારે પણ યોગદાનની જરૂર પડે છે શ્રી પ્રતાપભાઈ પંડ્યાનું નામ મોખરે હોય છે!! આમ આવા ગૌરવવંતા ગુજરાતીનું સન્માન કર્યા બાદ પ્રોગ્રામના સંચાલક કલ્પનારઘુએ રાજેશભાઈ શાહને સ્ટેજ બોલાવ્યા.ત્યારબાદ રાજેશભાઈ શાહ એ મીલ્પીટસ શહેરના મેયર શ્રી રીચ સ્ટેનને સ્ટેજ પર બોલાવ્યા. મેયર શ્રી તેમના વ્યક્તવ્યમાં કહ્યું કે હું પોતે ગુજરાતી કોમ્યુનીટી માટે ખૂબ્ ગર્વ અનુભવું છું,ગુજરાતીઓ શાંતિ ચાહક પ્રમાણિક અને શિક્ષણ માં ખૂબ મોખરે હોય છે. અને જે ખરેખર સાચા દેશવાસીની સર્વ લાયકાત ધરાવે છે.ગુજરાતીઓની ખૂબ પ્રશંસા કરી હતી. કોન્સુલેન્ટ જર્નલ ઓફ ઈન્ડીયા શ્રી વૈંકંઠરામન સાહેબે પણ હાજરી આપેલી અને બે એરિયાના ગુજરાતીઓને બીરદાવેલા.”
ત્યારબાદ આણલ અંજારિયા,સાથે હેતલ બ્રમ્ભટ્ટ ,મિતિ પટેલ અને પારુલ દામાણીએ ધન્યભૂમી ગુજરાત” નું સુંદર ગીત પ્રસ્તુત કરી ગુજરાત ગૌરવનો માહોલ સરજ્યો હતો.
એક સ્પેશીયલ સરપ્રાઈઝ તરીકે નરેદ્રભાઈ પાઠકે, જે લોકો ગુજરાત ગૌરવ દિવસ છેલ્લા ૧૨વર્ષ થી ઉજવે છે તેમના માટે સીટી તરફથી બે એરિયા ગુજરાતી સમાજ ઓફ નોર્ધન કેલીફોર્નીયાને નવાજતું સંન્માન પત્ર નરેન્દ્રભાઈપાઠકે એ સુરેશમામાને અને પ્રજ્ઞાબેન દાદભાવાળાને અર્પણ કર્યું હતું.આ સાથે રાજેશ શાહ જે પત્રકાર છે, તેમજ કલ્પનાબેન રઘુને મેમ્બર ઓફ કોંગ્રેસ તરફથી સન્માન પત્ર અર્પણ કર્યું હતું.અને જયશ્રીબેન મર્ચન્ટને પણ સન્માનિત કર્યા હતા.
આજના ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે ” સંભારણા” મનોરંજન કાર્યક્રમમાં જુનાં રંગભૂમીના ગીતો સાથે ઈતિહાસને અને કલાકારોને યાદ કરી જીવંત કર્યા હતા.જુનીરંગભૂમિ ના ઈતિહાસમાં અને ગુજરાતી ભાષામાં નાટયપ્રવૃત્તિ ના શ્રી ગણેશ કરવાનો શ્રેય પારસી લોકોને જાય છે.એ વાત દર્શનાબેન અને નરેન્દ્રભાઈ એ પારસીવેશમાં આવી રજુ કરી.માધવીબેન મહેતા અસીમભાઈ મહેતા,આણલ અને અચલ અંજારિયા, ગીતા સુભાષ ભટ્ટ, પ્રજ્ઞાબેન, શરદભાઈ દાદભાવાળા  મિતિ પટેલ, વિકાસ સાલવી, દર્શના ભુતા શુકલ, નરેન્દ્ર શાહ, મૌનિક ધારિયા, હેતલ  બ્રહ્મભટ્ટ, પારુલ અંબરીશ દામાણી, પરિમલ ઝવેરી, અને નાના ભૂલકાઓએ મળીને જુનાં રંગભૂમિને સ્ટેજ પર પ્રસ્તુત કરી તો જાણે જૂની ભાંગવાડીનો માહોલ સર્જાયો.આ જુના ગીતોને એક પછી એક સ્ટેજ પર લાવવા માટે આપણા આજના કલાકારોને સલામ કરું છું. આ ગીતોમાં મીઠાં લાગ્યા છે મને આજના ઉજાગરા, ઝટ જાઓ ચંદનહાર લાવો,નગરવેલીઓ રોપાવ તારા રાજમહેલોમાં,સાહ્ય્બો મારો ગુલાબનો છોડ,પ્રેમીને પ્રેમી કોઈ પૂછે, નયનોમાં શું છે? મારે સાસરિયે જઈ કોઈ કહેજો એટલડું, પારેવડા જાજા વિરાના દેશમા, આટલું કહેજે સંદેશમાં,વિગેરે ગીતો પર અહીંના લોકલ કલાકારોએ નૃત્ય કર્યા. વળી જુની રંગભૂમીના નાટક રજૂ કરવામાં આવ્યાં!! જેનો શ્રેય શ્રી વિનયકાંત ભાઈ દ્રિવેદી ને અને નાટકની સ્ક્રીપટ માટે શ્રી ચંદ્રકાંતભાઈ શાહ ને જાય છે.એમ પ્રજ્ઞાબેને સોવિનિયરમાં જણાવ્યું.
આ દિવસે માહિતી સભર સોવિનિયર બહાર પાડવામાં આવ્યું જેમાં રંગભૂમિની અવનવી ન સાંભળેલી વાતો સાથે ગીતોના આસ્વાદ અને ઈતિહાસે કાયમનું સંભારણું સૌને આપ્યું.રંગમંચ હમેશા જીવંત રહેશે કારણકે નાટક એ અભિનય નથી પણ સંસ્કૃતિ છે, સંસ્કાર છે, માતૃભાષા અને સમાજનો આત્મા છે એમ અમારા બેઠકના સભ્ય કલ્પનાબેન રઘુ કહે છે.એ વાત આજે પુરવાર થઇ હતી.
શ્રી નરેન્દ્ર મોદી એ કહ્યું છે કે,’સમગ્ર વિશ્વમાં  હિદુસ્તાની ગીત-સંગીતની અણમોલ વિરાસત છે.પરંતુ દુનિયાને આ વૈભવની ઓળખ કરાવી શક્યા નથી પશ્ચીમનું સંગીત શરીરને ડોલાવી શકે છે પણ ભારતનું સંગીત મનને પ્રભાવિત કરી શકે છે.’ તેમણે હિદુસ્તાની સંગીત ક્ષેત્રે ગુજરાત સરકારના બે પ્રતિષ્ઠિત ‘તાનારીરી સંગીત સન્માન’ અને પંડિત ઓમકારનાથ સંગીત સમ્માન ના ગૈરવંતા પુરસ્કારો આજીવન પ્રતિબધ્ધ કર્યા છે.
અંતમા દરેક કલાકારોને રમાબેન પંડ્યા,રેણુકાબેન વખારિયા,અને શાંતાબેન પટેલના હસ્તક પ્લેક આપી નવાજ્યા અને રાજેશભાઈએ આભાર વિધિ કરી અને સૌ ગુજરાતીઓ લંચબોક્સ લઈ છૂટા પડ્યાં!!’ અમેરિકામાં એટલે કે બે એરિયામાં ગુજરાત ગૌરવ દિવસ ઉજવવામાં ઘણા પાયાના ગુજરાતીઓનોનું યોગદાન છે!! આ બધાં ગુજરાતીઓ મળીને એક છત્ર નીચે સાહિત્યકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે. અને ગુજરાતીને અને આપણી અસ્મિતાને જીવંત રાખવાની કોશીશ કરી રહ્યા છે.એ વાત મહત્વની છે.
સપના વિજાપુરા