« Older Entries Newer Entries » Subscribe to Latest Posts

13 Jan 2013

યાદોનાં મોતી

Posted by sapana. 6 Comments

pearls

આજે સાવરણી લઈને બેઠી,
દિલનો કચરો ચાલ વાળી લઉ.
દ્વેષ,ઈર્ષા,વેર,ઝેર વાળીને ફેંકુ,
આજે દિલની સફાઈ કરી લઉ.
લાગી ગયાં છે નફરતના જાળાઓ,
આજે એ જાળાઓની સાફસુફી કરુ.
વાળતાં વાળતાં મોતી મળી આવ્યાં,
હતા એ તારી યાદનાં મોતી મોંઘા.
ઘણા પ્રયત્નો કર્યા એને વાળવાં,
સરકી જાય,છટકી જાય,દડી જાય,
સાવરણીમાં ન આવે એ મોતી,
હારી થાકી બેસી ગઈ હું માથું પકડી,
ભલે રહયા,નથી નડતાં મને એ,
નથી એ છળ,કપટ,વેર,ઝેર,દ્વેષ,
નથી એ મારા મનનો કચરો કે મેલ,
‘સપના’ની સાથે મનમેળ એનો,
વીણી વીણીને માળા બનાવીશ,
એક સપનું,એક મોતી એમ પરોવીશ,
તારાં ચરણોમાં અર્પીશ યાદોની માળા.

-સપના વિજાપુરા

04-17-2009

12 Nov 2012

ડો. સુમન શાહ

Posted by sapana. 9 Comments

ફોટામાં ડાબી બાજુથી રશ્મીકાબેન શાહ. ડો.સુમન શાહ,ડો અશરફભાઈ ડબાવાલા,ડો.મધુમતી મહેતા,સપના વિજાપુરા અને શરીફ વિજાપુરા

ગુજરાતી સાહિત્યક્ષેત્રે વાર્તાકાર નવલકથાકાર નિબંધકાર સમીક્ષક અનુવાદક અને તન્ત્રી/સમ્પાદક તરીકે જાણીતા પ્રો. ડૉ. સુમન શાહનો જન્મ પહેલી નવેમ્બર ૧૯૩૯ના રોજ વડોદરા પાસેના ડભોઇમાં થયો હતો.એમનાં ૭૩ થી વધારે પ્રકાશનો છે.વૈશ્વિકીકરણ અને પ્રાદેશિક સાહિત્ય, ઉપરાન્ત, સાહિત્ય-અધ્યયન-અધ્યાપનના પ્રશ્નો એમના વર્તમાન ધ્યાનવિષયો છે. વિશ્વ-સાહિત્ય, આધુનિક અને અનુ-આધુનિક સાહિત્ય એમનાં પ્રમુખ રસક્ષેત્રો છતાં એમની સઘળી નિસબત ગુજરાતી સાહિત્યના સુધાર અને વિકાસ માટે રહી છે. એમનો શોધનિબન્ધ ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ ગ્રન્થ સ્વરૂપે પ્રકાશિત છે. ૨૦૦૮માં એમના ‘ફટફટિયું’ વાર્તાસંગ્રહ સંદર્ભે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એમને અવોર્ડ અપાયો છે.પ્રાધ્યાપક તરીકેની ૪૨ વર્ષની કારકિર્દીમાં એમણે ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય-સિદ્ધાન્તનું અધ્યાપન સવિશેષે કર્યું.ડો. સુમન શાહને ગમતા સાહિત્યકારોમાં . કાલિદાસ, બાણ, રવીન્દ્રનાથ ટાગોર, શેક્સપિયર, ચેખવ, દોસ્તોએવ્સ્કી, સાર્ત્ર, કાફ્કા, કામૂ, હેમિન્ગ્વે, કાલ્વિનો, નિત્શે, બૅકેટ, માર્ક્વેઝ, બોર્હેસ, પિન્ટર વિગેરે છે.ડો. સુમન શાહ શિકાગો નજીક એક પીયોરીયા નામના ગામમાં એમના દીકરાને ત્યાં રોકાયા હતાં.ઘણા વરસોથી ભારત અને અમેરીકા સિવાય બીજા ઘણા દેશોને પોતાના  જ્ઞાનથી લોકોને અજવાળતા રહે છે.

નવેમ્બર ૩,૨૦૧૨ ના દિવસે ડો.અશરફભાઈએ તથા ડો.મધુમતીબેન મહેતા એ પોતાના ઘરનાં દ્વાર ફરી એક વાર સાહિત્ય માટે ખોલી આપ્યા હતાં.અને શ્યામબર્ગ, ઈલીનોઈસમાં ડો.સુમન શાહ તથા એમનાં ધર્મપત્ની રશ્મીકાબેનનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. ડો.સુમન શાહની ઓળખાણ ડો.અશરફભાઈ સરળ શબ્દોમાં આપી હતી.અને આધુનિક વાર્તાકાર તરીકે બીરદાવ્યા હતાં.

વિરામ પહેલા એમણે વાર્તા કેવી રીતે લખવી એ ઉદાહરણ સાથે સમજાવ્યું હતું. ટૂંકી વાર્તાની ટૂંકી વાત સમજાવતા એમણે છ મુદ્દા બતાવ્યા હતાં.
સૌથી પ્રથમ મુદ્દો ટૂંકી વાર્તા ટૂંકી હોવી જોઇયે.બીજો મુદ્દો ટૂંકામાં ઘણું કહેવાની શક્તિ શબ્દોમાં છલકાવી જોઈયે. હવે આ વાર્તા કેટલી ટૂંકી હોય તે વાર્તાકારે નક્કી કરવાનું હોય છે. ત્રીજા મહત્વના મુદ્દામા એમણે જણાવ્યુ હતુ કે વાર્તા એકજ પ્રસંગ પર હોવી જોઈયે અને આ એક પ્રસંગ સાથે પાત્રોના જીવનની થોડી ઘણી ઝાંખી થવી જોઇયે.ચોથા મુદ્દામા ડો સુમન શાહે જણાવ્યુ હતું કે જ્યારે વાર્તા પૂરી થાય ત્યારે એ વાર્તા હ્ર્દય ઉપર પ્રભાવ અને અસર છોડી જવી જોઇયે એટલેકે માણસને વિચાર કરતો કરી દે એવી હોવી જોઇયે.પાંચમાં મુદ્દામાં એમણે જણાવ્યું હતું કે ટૂંકી વાર્તા કહેવાની અને સાંભળવાની વસ્તુ છે એટલે દ્ર્શ્યો તાદ્રશ્ય થવાં જોઇયે…જેવી રીતે મુવીમાં નજર સમક્ષ બધું બને છે એવી રીતે કલ્પનામાં દ્રશ્ય નજર સમક્ષ અનુભવવુ જોઇયે.અને છેલ્લાં મુદ્દામાં કઈક બોધ મળવો જોઇયે કે કઈક સુચના મળવી જોઇયે.આ છ એ મુદ્દા એમને એક પોતાની વાર્તા ‘કાગારોળ અનલીમીટેડ’ વાર્તા દ્વારા સમજાવ્યા હતા. આ એમનાં વાર્તા સંગ્રહનું નામ પણ છે.શ્રોતાઓને ઘણું શીખવા મળ્યું. ખાસ કરીને મારાં માટે મોટો લ્હાવો હતો.

વીસ મીનીટના વિરામ બાદ ફરી કાર્યક્રમ ચાલુ થયો..આ વિરામ પછીના કાર્યક્રમમાં ડો. સુમનભાઈ હકારત્મક અભિગમ માટે બોલવાનુ હતું.દાર્શનીક આધાર વગર હકારત્મક ના થવાય.એવી એમની ફિલોસોફી છે.જેને ડહાપણનો લગાવ પણ કહે છે. દરેક ધર્મ પુસ્તકો કુરાન ગીતા કે બાઈબલ બધાં જ્ઞાનથી ભરેલાં છે પણ બધાં પુસ્તકો એક જ સલાહ આપે છે એ ડાહ્યા બનવાની.એમનું કહેવું છે કે ડહાપણ વગરનું જ્ઞાન કઈ કામનું નથી.એટલેકે ડહાપણ વગર’સીતાનું હરણ થયું પણ હરણની સીતા થઈ કે નહીં?’આવા સવાલ ઊભા થાય છે.ફીલોસોફીને એમણે બે શબ્દોમાં વહેંચી.ફિલિયા એટલે ડહાપણ અને સોફિયા એટલે પ્રિત એટલેકે ડહાપણની પ્રિતી..

હકારત્મક અભિગમ માટે એમણે ત્રણ નિયમો કહ્યા.પ્રથમ નિયમ સ્વિકાર.માનવીનો માનવી તરીકે સ્વિકાર્.ચાહે એ કોઇ પણ સ્થિતીમાં હોય ગરીબ હોય કે તવંગર, કાળો હોય કે ગોરો,કોઈ પણ જ્ઞાતિનો હોય માનવી નો માનવી તરીકેનો સ્વિકાર..બીજો નિયમ એમણે કહ્યો સહિષ્ણુતા..હ્ર્દયના પૂરા ભાવથી સામેની વ્યકતીને સહી લેવાની ભાવના. અને આ ભાવના ત્યારે જ આવે જ્યારે વ્યકતી પ્રત્યે પ્રેમ હોય ..અને ત્રીજો નિયમ પ્રેમ જણાવ્યો હતો.

એમના કહેવા પ્રમાણે હકારત્મક વ્યકતી પોતાની મહત્ત્વાકાંક્ષા ઉપર કાબૂ રાખે છે,ખોટા ઝગડા કે વિવાદમા સમય વેડફતા નથી.મનુષ્ય દરેક ક્ષણે મ્રુત્યુની નજીક જઈ રહ્યો છે.અને આ હહિકત છે એને ઠૂકરાવી શકાતી નથી.પણ એ દરેક ક્ષણ ખુશીથી અને આનંદથી વીતાવવી એ વ્યકતીના હાથમાં છે. ‘હર ઘડી બદલ રહી હૈ રૂપ જિંદગી,છાવ હૈ કભી તો ધૂપ હૈ જિંદગી, હરપલ યહાં જી ભર જીઓ જો હૈ સમા કલ હો ના હો’હકારત્મક અભિગમ કેળવવો અઘરો નથી..નકારત્મક વિચારોને ઠેલી અને હકારત્મક વિચારો લાવવા એ મનુષ્યના હાથમાં છે.

ડો. સુમન શાહના આ નાનકડા વાર્તાલાપથી મારાં હ્ર્દય ઉપર ઊંડી અસર પડી. ખાસ કરીને મેં લેખનકાર્ય હાથ ધર્યુ છે.અને સાહિત્યની દુનિયામાં પા પા પગલી ભરી રહી છું ત્યારે આવો હકારત્મક અભિગમ મારે અપનાવવો જ પડે.અંતમાં ડો.અશરફભાઈ અને ડો.મધુમતી મહેતાનો આભાર માની વિરમુ છું. એમના કારણે અમને આવા બધાં મહાનુભાવોની મુલાકાત થાય છે અને એમના જ્ઞાનનો અમને લાભ મળે છે.

સપના વિજાપુરા
૧૧-૦૯-૨૦૧૨
..

11 Nov 2012

સેન્ડી

Posted by sapana. 9 Comments

 

દેશ ઉપર આવી આફત કુદરતી છે
કોનુ ચાલે જોર તાકાત કુદરતી છે

જાનહાની, માલહાની, આ કહાની
માનવી પર આવી શ્યામત કુદરતી છે

ચોતરફ આવી તબાહી કેવી ઈશ્વર!!
માનવી લાચાર, હાલત કુદરતી છે

દુખનું ઓસડ છે દહાડા,ધૈર્ય રાખો
આવશે ઉપરથી રાહત કુદરતી છે

કર્મનાં ફળ ભોગવે છે આદમી પણ
જેવું કર તે પામ લાનત કુદરતી છે

કર કઠણ દિલને ન આંસુ સાર સપના
માનવી પ્રત્યે હો ચાહત કુદરતી છે.

શ્યામત=મુસીબત

સપના વિજાપુરા
૧૧-૦૨-૨૦૧૨

 

6 Nov 2012

ચૂંટણી

Posted by sapana. 16 Comments

 

ચૂંટણીની વાત હોય છે જુદી
ખુરશીની જાત હોય છે જુદી

હોય છે નેતા બધાં સરખા અહીં
પણ વચન સોગાત હોય છે જુદી

હું કરું ને હું કરું ખાલી છે વચન
ચૂંટણી ગઈ વાત હોય છે જુદી

ધર્મ કોઈ ક્યાં છે નેતાનો અહીં
એમની તો નાત હોય છે જુદી

ઊંઘ ખુરશીની ફિકરમાં ઊડી ગઈ
ચૂંટ્ણીની રાત હોય છે જુદી

રામની હો કે હો ઓબામા અહીં
જીત સરખી માત હોય છે જુદી

ભીખ માંગે વોટની ભીખારી બની
જીત પાછળ લાત હોય છે જુદી

તારલા આકાશનાં ઝાંખા પડે
વોટની તો ભાત હોય છે જુદી

માન ‘સપના’નુ વધી ગયુ આજ તો
એની તો તાકાત હોય છે જુદી

સપના વિજાપુરા
૧૦-૩૧-૨૦૧૧

 

 

3 Nov 2012

આજ તો

Posted by sapana. 18 Comments

 

ભૂલા પડ્યા તારા વિચારો આજ તો
રણકી ગયો મન એકતારો આજ તો

તું પૂછતો ના કો’ સવાલો આજ તો
આંખોમાં વાંચી લે નજારો આજ તો

ઓછાં પડ્યા છે ચંદ્ર કિરણો રેતમાં
થાકી રડે છે આ કિનારો આજ તો

છે માન્યતા પૂરી થશે ઈચ્છા કોઈ
જોઈ હું લઉં ખરતો સિતારો આજ તો

ખુશ્બું કહે છે આવવાનું છે કોઈ
સોળે સજી મ્હેંકી બહારો આજ તો

છે તરબતર મારું હ્ર્દય તો પ્રેમથી
તારો મળી જાયે ઈશારો આજ તો

મેં મોકલી છે શ્યામને નામે ચિઠ્ઠી
રાધા નિવાસે કર ઉતારો આજ તો

બાળક રડે છે રોટલીને કારણે
પડઘાય મસ્જિદનો મિનારો આજ તો

હોવાપણું તારું સપન સમ આમ તો
સપનાં જ ‘સપના’નો સહારો આજ તો

સપના વિજાપુરા

 

17 Oct 2012

ખુદા જાણે

Posted by sapana. 16 Comments

ન તું જાણે છે ના હું, પણ ખુદા જાણે
બળે માનવ હ્રદયમાં રણ ખુદા જાણે

વફામાં ખોટ ના તારી કે ના મારી છે
અલગ થ્યા માર્ગ શા કારણ ખુદા જાણે

ઘણાં સુંદર છે મનભાવન ચહેરા પણ
વહાલુ કેમ એકજ જણ ખુદા જાણે

રહે ના કોઈ ભૂખ્યુ રાજમાં તારા
મળે ગજરાજને પણ મણ ખુદા જાણે

ગરીબીને હટાવોના ઘણાં નારા
ધનીથી નીકળે ના કણ ખુદા જાણે

થશે શું મોંઘવારીનું ઓ નેતાઓ
નગર છે અંધ ગંડું ગણ ખુદા જાણે

મળી લે પ્રેમથી એના ગળે સપના
ફરી મોકો મળે કે ક્ષણ ખુદા જાણે

સપના વિજાપુરા

10-16- 2012

 

10 Oct 2012

મસ્તી અમસ્તી

Posted by sapana. 4 Comments

મિત્રો,

શિકાગો આર્ટ સર્કલ પ્રયોજીત કાર્યક્રમ ‘મસ્તી અમસ્તી’ તારીખ ૭ ઓકટોબર ૨૦૧૨ ના યોજાયો..આ કાર્યક્રમમાં શ્રી શ્યામલ મુનશી, શ્રી સૌમીલ મુનશી, શ્રીમતી આરતીબેન મુનશી અને શ્રી તુષાર શુકલ પધારેલા.કાર્યક્રમનું સંચાલન શ્રી તુષારભાઈ શુકલએ સંભાળેલુ. દુસબેને પોતાની આગવી શૈલીમા મહેમાનું સ્વાગત કર્યુ..અને ત્યારબાદ દરેક મહેમાનોનું સ્વાગત ફૂલોથી કરવામાં આવ્યું. અને ભક્તિ ગીતથી કાર્યક્રમની શરુઆત થઈ. ત્યારબાદ માતૃભૂમીનું ગૌરંવતી ગુજરાત શ્યામલભાઈ તથા સૌમીલભાઈ અને આરતીબેનના સ્વરમાં એટલુ સરસ રીતે ગવાયું કે માતૃભૂમીના પ્રેમથી અને ગુજરાતની યાદથી સર્વના હૈયા ભીંજાઈ ગયા..ત્યારબાદ હઝલ અને ગઝલનો સીલસીલો ચાલુ રહ્યો…અને તુષારભાઈએ ખૂબ હળવી રીતે કાર્યક્રંમનું સંચાલન કર્યુ..કે બધાં શ્રોતાઓ પુલકીત થઈ ગયાં. એમણે શ્રી રઈશ મણીયારની યાદ અપાવી દીધી.

સાડા સાતે વિશ્રામ લેવાયો..શ્રોતાઓ જાણે ખુરશીમાં ચોટી ગયા હોય એવું લાગતું હતું. કોઈ ઊભુ થવા તૈયાર ન હતું..સમય સપાટાબધ્ધ પસાર થઈ રહ્યો હતો..જમણવારમાં ઊંધીયુ,પૂરી શ્રીખંડ,કચોરી, દાળ, ભાત, ચણા, પાપડ અને અથાણું ..જાણે ગુજરાત પહોંચી ગયા..૪૫ મીનીટના વિશ્રામ પછી..ફરી ગીતોની અને ગઝલની રમઝટ થઈ..એમાં મનોજ ખંડેરીયા, રઈશ મણીયાર, ડો અશરફભાઈ ડબાવલા, શ્રી તુષાર શુકલ,મુકેશ જોષી તથા શ્યામલભાઈની પોતાની રચનાઓ રજુ કરવામાં આવી..સુપ્રસીધ્ધ ગુજરાતી ગીતોની રમઝટમાં શ્રોતાઓએ ઉત્સાહથી સાથ આપ્યો.

શ્રી સૌમીલભાઈએ પીઠી ચોળી એ લાડકવાયીનું મુકેશ જોષીનું ગીત ગાયું તો મારી આંખોનાં ખૂણા ભીનાં થઈ ગયાં..દસ વાગે કાર્યક્રમ પૂરો થયો..આમ તો શ્યામલભાઈ સૌમીલભાઈ અને આરતીબેનને ઘણી વખત સાંભળેલાં છે પણ એક નવા રૂપે સાંભળી એક મીઠી યાદ લઈ છૂટા પડ્યાં..
આ આખા કાર્યક્રમ દરમ્યાન એક વાત ખટકી હોય તો એ કે ડો.અશરફભાઈ ડબાવાલા અને ડો મધુમતી મહેતાની ગેરહાજરી.એમને સાહિત્યના એક પ્રોગ્રામમાં ન્યુ જર્સી જવાનું થયું..એમની ગેરહાજરી ખૂબ સાલી..એ લોકો જો અહી હોત તો સોનામા સુગંધ મળ્યાં જેવું થાત્..શિકાગો આર્ટ સર્કલના સર્વ કાર્યકરોને લીધે આ કાર્યક્રમ સફળતાની સીડીએ પહોંચ્યો..એ બદલ મારાં સર્વ મિત્રોનો આભાર માનું છું.

આ લેખનાં સર્વ હક લેખીકા સપના વિજાપુરાના છે. કોઇએ કોપી પેસ્ટ કરવું નહી.
સપના વિજાપુરા
૧૦-૦૯-૨૦૧૨

28 Sep 2012

કાજલ ઓઝા વૈધ

Posted by sapana. 9 Comments

મિત્રો,
શિકાગો આર્ટ સર્કલ નિમીત્ત કાર્યક્રમ “સર્જક સાથે એક સાંજ” મા મંગળવાર તારીખ ૨૫ સપ્ટેમબર ૨૦૧૨ ના દિવસે ‘કાજલ ઓઝા વૈધ’ સાથે એક ટૂંકી મુલાકાત થઈ. વાતાવરણ સરસ હતું… આર્ટ ઓફ લિવિંગ સેન્ટરનો હોલ સાહિત્ય પ્રેમીઓથી ભરાઈ ગયો હતો. કાજલબેન ગુલાબી કપડામાં શોભતા હતા. ડો.અશરફભાઈ ડબાવાલાએ ઓળખાણથી કાર્યક્રમની શરૂઆત કરી. જોકે કાજલબેનની ઓળખાણ થોડાં શબ્દોમાં આપી શકાય એમ નથી. ૨૦૦૫ પછી કલમ ઉઠાવી અને બાવન પુસ્તકો પ્રકાશિત થયાં. એવાં જાજરમાન વ્યક્તિત્વને શબ્દોમાં વર્ણવવા જરા મુશ્કેલ છે..
કાજલબેન અગ્રગણ્ય સાહિત્યકાર નાટ્યકાર અને નવલકથાકાર છે.અશરફભાઈ એમને પ્રમાણીક લેખીકા તરીકે બિરદાવ્યા. અને પોતાની જિંદગી લોકો સામે ખૂલી કિતાબની જેમ રાખી દીધી ત્યારે મારી નવાઈનો પાર ના રહ્યો. મારી એક ગઝલનો એક શેર્ યાદ આવી ગયો..

ના કદી ઢળશે ગઝલ શબ્દો થકી,
આંગળીઓ પર પહેરા હોય છે.

આ મિસરાને એમણે એકદમ ખોટો પૂરવાર કરી આપ્યો. એમનું વકતવ્ય સવા કલાક સુધી ચાલ્યું લોકો મુગ્ધતાથી સાંભળી રહ્યા હતા. એ ફક્ત સ્ત્રી તરફી જ નહી પણ પુરુષને પણ એટલું જ માન આપે છે. પણ એમ કહો તો ચાલે કે સત્યનો સાથ આપે છે. સ્ત્રી અને પુરુષના સંબંધ જાળવી રાખવાં માટે સરસ મજાની ટીપ્સ આપે છે. માનવ લાગણીઓને શબ્દનું સ્વરુપ આપવું એ એમની પાસે શીખવા જેવું છે. દરેક માનવ એક કથા છે. એ તો આપણે બધાં જાણીયે છીયે પણ એ માનવ પાછળની કથા શબ્દોમાં લાવવી એ કાજળબેનનું કામ છે..

સ્ત્રી વિષે અને સ્ત્રીની જિંદગી વિષે એમનું અવલોકન ઘણું રસપ્રદ છે. સ્ત્રીને જન્મથી જ દબાવામા આવી છે. આમ થાય આમ ના થાય કરીને ટ્રેનિંગ આપવામાં આવે છે. એનો સખત વિરોધ કરે છે. એમને સ્ત્રીને પુરુષની વિરોધી નહી પણ સમોવડી બનાવવી છે. એમનાં શબ્દોમાં તાકત છે, સત્ય બોલવાની.જે સાધારણ સ્ત્રી મનમાં દબાવીને બેસી રહે છે.

શ્રી મુરારી બાપુનાં અસ્મિતા પર્વમાં બાપુએ એમને પ્રમાણિક લેખીકા તરીકે બિરદાવ્યા. કાજલબેનને આ સર્ટીફીકેટ ગમ્યું…એમના ઘણાં પુસ્તકો છે . બાવન પુસ્તકોના નામ હું લખી શક્તી નથી . એ બધાં પુસ્તકો એમણે લખ્યાં છે. એમાં કૃષ્ણાયન, દ્રોપદી, મધ્યબિન્દુ,એક સાંજને સરનામે,મૌન રાગ,યોગ-વિયોગ…વિગેરે.એમનો ટેલીવીઝન પર રાતે નવ વાગે એક શો પણ આવે છે આ સિવાય એ ઘણી સંસ્થાઓ માટે કામ પણ કરે છે. સ્ત્રીઓ અને અનાથ બાળકો માટે તથા લગ્નસંબંધમાં પ્રોબલેમ હોય તો દંપતિને મદદ પણ કરે છે. ઈશ્વર એમને વધારે શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરું છું.

એમનું વકતવ્ય પૂરું કરતાં એમણે એક સરસ વાત કહી જે ટાંક્યા વગર રહી શક્તી નથી. એક શાળામાં એક શિક્ષકે વિધ્યાર્થીઓને પૂછ્યું કે દુનિયાની સાત અજાયબી કઈ? તો એક છોકરો ઊભો થઈને કહેવા લાગ્યો તાજ મહાલ, ચિનની દિવાલ વગેરે..પણ એક છોકરી ઊભી થઈને બોલી” આપણે અડી શકીયે એ પહેલી અજાયબી. આપણે રડી શકીયે એ બીજી અજાયબી. આપણે હસી શકીયે એ ત્રીજી અજાયબી . આપણે કહ્યા વગર એકબીજાને સમજી શકીયે એ ચોથી.”આ વાત મારાં હ્રદયને ખૂણે જઈને સ્પર્શી ગઈ..આ કેટલી સાચી વાત છે પણ આ વાતનું અવલોકન કરવું એ મોટી વાત છે.બીજી એક વાત એમની મને પ્રેરણા આપી ગઈ એ કે એમણે કહ્યુ કે મેં મોટી ઉમરે લખવાનું શરૂ કર્યુ તેથી બીજા પાસે વીશ વરસ હોય લખવાં માટે તો મારી પાસે દસ જ છે એટલે મારે વધારે ગતિથી આગળ નીકળવું પડશે…અને જે એમણે કરી બતાવ્યુ છે. મેં પણ મોટી ઉમરે કલમ પકડી છે એટલે આ વાક્ય મારાં માટે ઘણું પ્રેરણાદાયક બન્યું છે.

હું પણ કાજલબેનને એક પ્રમાણિક લેખીકા તરીકે બિરદાવુ છું. જે પોતાની લાગણી છૂપાવીને લખવાં પ્રયત્ન કરે છે એ કદી સત્ય લખી શકતા નથી. અને કાજલબેન જેવાં સાહિત્યકારો સદીઓમાં એકાદ જોવા મળશે. મારી જાતને ઘણી ભાગ્યવાન સમજું છું કે મારી એમન સાથે મુલાકાત થઈ અને ભવિષ્યમાં ફરી મુલાકાત થશે એવી આશા સાથે અહી વિરમું છું.

આ લેખનાં બધાં હક લેખીકાના છે. કોઈયે કોપી પેસ્ટ કરવું નહીં.

સપના વિજાપુરા
૯-૨૫-૨૦૧૨

14 Sep 2012

નથી છૂટતું

Posted by sapana. 21 Comments

મિત્રો,
ફ્લોરીડા ગેઇન્સવિલમા  સ્વ.શ્રીમતિ સુવર્ણા દિનેશ શાહના સ્મરણાર્થે થયેલાં કાર્યક્રમનો એહવાલ આપે દેવિકાબેન ના બ્લોગમાં http://devikadhruva.wordpress.com/ વાંચ્યો હશે. ઘણાં કવિઓ તથા કવયિત્રીઓઆને લેખકો સાથે મુલાકાત થઈ.જેમાં દિનેશભાઈ શાહ મુકેશભાઈ જોશી, હિમાંશુ ભટ્ટ,નટવર ગાંધી, સ્નેહલતા પંડ્યા,પન્નાબેન નાયક, મોના નાયક ,દેવિકાબે ધૃવ,સર્યુબેન પરીખ,રેખા શુકલા,હરનિશ જાની અને શીતલ જોશી..આ બધાં શબ્દોના મિત્રો અને હ્રદયનાં સાથી…. શ્રી કર્ણિક શાહ અને રીંકી શેઠના અવાજમાં મીઠાં ગીતો પણ સાંભળ્યા..
પ્રોગ્રામ વિષે વધારે નહી લખું પણ દિનેશભાઈનો આભાર માનીશ..બધાં કવિઓ તથા કવયિત્રીઓને એક મોટું સ્ટેજ આપવાં માટે…ચાર વિષય પર કવિતાઓ બોલવાની હતી. પ્રેમ, માનવતા, હઝલ અને તમને ગમતો વિષય…મારું આ ગીત હાસ્ય અને મજબૂરી પણ દર્શાવે છે..જે હું મુકેશભાઈ અને દિનેશનભાઈની હાજરીમાં પઠન કરી શકી..જે મારાં માટે ગર્વની વાત છે…

 

નથી છૂટતું નથી છૂટતું આ અમેરીકા નથી છૂટતું
છે ગુંદર સમું રહે ચીપકીને અમેરીકા નથી છૂટતુ

આ તો એવું થયું ભાઈ આ તો એવું થયું
આતો સાપે છછુંદર ગળ્યાં જેવું થયું
ના કેહવાય ના સેહવાય ના રેહવાય
આ તો ધોબીઘાટના કૂતરા જેવું થયું

અઢળક ધન કમાય અઢળક વાપરે તોયે થોડું ખૂટતું
નથી છૂટતું નથી છૂટતું આ અમેરીકા નથી છૂટતું

હવે આવી ગઈ સોસિયલ સીક્યોરીટી
ભઈ ક્યા છે  દેશમાં  આવી સીક્યોરીટી
થઈ હાલત જીના યહા મરના યહાં જેવી
રહી પડ્યા ગુજરાતી અહીયાં મેજોરીટી

છૂટી ગયું છૂટી ગયું વતન, ભલે કેહતા નથી છૂટતું
નથી છૂટતું નથી છૂટતું આ અમેરિકા નથી છૂટતું

ભણે છે ખૂબ ગુજરાતી ક્લાસમાં નંબર વન
મહેનત ખૂબ કરે એ કામમાં નંબર વન
ભલે લોકો ગુજ્જું કેહતા ગુજરાતીઓને
અમેરીકાની રીચેસ્ટ માઈનોરીટી નંબર વન

જુઓ કેટલા પ્રેમથી ગુજરાતી ગ્રુપ અમેરીકાને લૂંટતું
નથી છૂટતું નથી છૂટતું આ અમેરીકા નથી છૂટતું

અહીં ‘સપનાં’ ઘણાં લઈને અમે આવ્યાં
સગાવ્હાલા બધાં છોડીને અમે આવ્યાં
વતનને ખૂબ દૂર છોડીને અમે આવ્યાં
હા બંધન પ્રેમના તોડીને અમે આવ્યા

અહીં સાંજ પડતાં આ હ્રદયમાં ઉંડે ઉંડે કૈંક ખૂચતું
નથી છૂટતું નથી છૂટતું આ અમેરીકા નથી છૂટતું

સપના વિજાપુરા
૮-૮-૨૦૧૨

4 Sep 2012

કલેજાનો ટૂકડો

Posted by sapana. 23 Comments

 

કલેજાના ટૂકડા ઊડવા ઊંચે ગગન આપું
અને ખુશ્બુ પ્રસરે દૂર પાંખોમાં પવન આપું

રહેશે આ દ્વાર ખૂલાં સદા તારી પ્રતીક્ષામાં
તું મન ચાહે બેધડક આવજે દિલથી વચન આપું

સિતારા ને ચાંદ તારી હથેળીમાં સદા ઝૂમે
સુગંધીથી મહેકતા હો તને એવાં ચમન આપું

સદા હસતો તું રહે હાથ ઊઠાવી દુઆ માંગુ
જગત ભૂંસી ના શકે સ્મિત એ તારે વદન આપું

ચડે જીવનમાં પ્રગતિના નવાં સોપાન ઉતરોતર
થશે પૂરાં સર્વ સૂનેહરા સપના નયન આપું

ખજાના કોઇ નથી સપનાની પાસે દીકરા મારાં
કદી ના કરમાય એવાં હું શબ્દોનાં કવન આપું

સપના વિજાપુરા
૯-૦૩-૨૦૧૨