5 Oct 2009
છેલ્લું ડગલું
સાંજ ઢળી,
એક વધારે ડગલું ભર્યું,
મંઝિલ તરફ!
મઝિલ એટલે ?
મોત…
રોજ જિંદગી ખર્ચુ છું,
રોજ કેલેન્ડરનું એક પત્તુ ફાડી,
દિવસો ઘટાડું છું.
કોને ખબર ક્યું ડગલું,
છેલ્લું ડગલું હશે?
અને પછી ચાલવું નહીં પડે,
કાં તો ચાર ખભા અથવા
hearseની પાલખીમા સૂવાડી ,
ખુશી ખુશી મારાં સ્વજનો,
મને મંઝિલ સુધી પહોંચાડશે.
હું પાલખીમાં સૂતી સૂતી વિચારીશ,
બેફામનો શે’ર,
બેફામ તોયે કેટલું થાકી જવું પડ્યું
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી
સપના
hearse=કોફીનને કબ્રસ્તાન સુધી લઈ જવાની કાર
ખુબ સુંદર અછાંદસ બરકત વિરાણીના શેર સાથે ક્લાઈમેક્સ પર જઈ સમાપન પામે છે..જન્મ પછી સહુંની યાત્રા તેના બીજા મુકામ સુધી જ હોય છે આ સત્યને સપના વાસ્તવિકતામાં કેવી તીવ્ર રીતે રજુ કરે છે….અનુરુપ ચિત્ર સાથે…
dilip
October 5th, 2009 at 11:15 pmpermalink
છેલ્લી મંઝીલ મોત ભલે હોય ..
મજા રસ્તાને માણવાની છે –
અને વચ્ચેની કોઈ પણ મંઝીલ અને રસ્તાને આ લાગુ પડે છે.
અભીગમ બદલો તો રસ્તાને પ્રેમ કરતા થઈ જવાય. .
મૃત્યુ વીશે એક ગદ્યકાવ્ય –
http://gadyasoor.wordpress.com/2008/01/28/autumn/
અને એજ પાનખરની ઋતુ .બીજા દૃષ્ટીકોણથી …
http://gadyasoor.wordpress.com/2008/12/16/autumn_aspiration/
સુરેશ જાની
October 6th, 2009 at 12:29 ampermalink
માફ કરજો .. ખોટી લી ન્ક અપાઈ ગઈ.
પાનખર વીશે આ લેખ જરુર ગમશે ..
http://gadyasoor.wordpress.com/2007/12/06/paankhar/
સુરેશ જાની
October 6th, 2009 at 12:30 ampermalink
સરસ વિચારશીલ કાવ્ય.
…રોજ કેલેન્ડરનું એક પત્તુ ફાડી,
દિવસો ઘટાડું છું.”
રોજેરોજ જીવાતું જીવન અનાથી વધારે, કઈ સારી ભાષામાં વ્યક્ત થઈ
શકે ?
himanshu patel
October 6th, 2009 at 12:50 ampermalink
એકવિધ જીવનના અંતિમ તારતમ્યને વેધક રીતે નિરૂપતું કાવ્ય.
Pancham Shukla
October 6th, 2009 at 1:55 ampermalink
અઁતિમ સત્યને ઉજાગર કરતુઁ કાવ્ય. સરસ.
Heena Parekh
October 6th, 2009 at 10:35 ampermalink
કાશ આપણને જાણ હોત
કે સાંજ પડતાં એક ડગલું મંઝિલ તરફ ભરાય છે
ક્ક્યારેક સાંજ તો શું સવાર જ નથી પડતી
રાત પડે છે
આંખ બંધ થાય છે
કંઇક થાક ઉતારવા માટે
કંઇક સપના જોવા માટે
કંઇક આવતી કાલ ફરીથી સરસ રીતે જીવવા માટે
અને પછી રાતનું અંધારું કેવું ક્રુર થઇ જાય છે
સવારે ઉઠવા જ નથી દેતું
અરે, માનવીને એટલો અવકાશ પણ નથી દેતું
કે એ પોતાની વ્હાલી વ્યક્તિને એક નજર જોઇ શકે
સમજી શકે કે આ એનો છેલ્લો શ્વાસ છે…..
એક તરફ શ્વાસનો દરિયો સુકાય જાય છે
ને બીજી તરફ હંમેશ માટે આંસુનો દરિયો છલકાઇ જાય છે..
લતા હિરાણી
Lata Hirani
October 6th, 2009 at 10:47 ampermalink
દરેકની છેલ્લી મંઝિલ તો મોત જ છે અને તે સનાતન સત્ય છે. તેમાં કોઈ મીનમેખ નથી અને તેમાં મારું કે તમારું કંઈ ચાલે તેમ નથી.પણ હા જીવતે જીવ આપણે કંઈ રીતે જીવવુ તે આપણાં હાથની વાત છે! લાગણીથી ધબકતા અને બુદ્ધિશાળી જીવ છીએ આપણે અને તેથી માણસ જ પૃથ્વી પર રહેલાં તમામ જીવો માં માણસનું જીવન એ કુદરતે આપેલી શ્રેષ્ઠ અને અનુપમ ભેટ છે, તેમાં મૃત્યુ સિવાયની પણ ઘણી મંઝિલો આપણે નક્કી કરીને પાર કરવાની અને તેને પામવાની મઝા કંઈક ઔર હોય છે. આ આપેલ અનોખી ભેટનું મૂલ્ય આંકી શકાય તેમ નથી, તે અમૂલ્ય છે. તેથી જિંદગી ના દિવસોને કેલેન્ડરના પત્તાં ફાડીને, ખેંચી-ખેંચીને , ભાર ની જેમ વેઢારીને જીવવાની નથી, પણ એક ફૂલની જેમ ટૂંકા ગાળાની જિંદગીમાં પોતે અને બીજાને સુવાસથી તરબત્તર કરીને જીવવાનું છે.
તમારા અછાંદસમાં જીવનની જીવવાની નિરાશા અને મોતનો ડર અભિવ્યકત થાય છે. છતાં તમે જે બરકત વિરાણી ‘બેફામ’ ના શેરને સાહજિક રીતે સમાવી દીધો તે નવો જ પ્રયોગ આજે તમારા અછાંદસમાં જોવા મળ્યો.
પ્રવિણ કે.શ્રીમાળી
October 9th, 2009 at 6:16 ampermalink