7 Nov 2014

પોએટ્રી ફેસ્ટીવલ ગેઈન્સવિલ, ફ્લોરીડા

Posted by sapana

poetry festival2

 

ગેઈન્સવિલ, ફ્લોરીડા એટલે યુનિવર્સીટીનું શહેર..અને યુનિવર્સીટીમા હિન્દુ કલ્ચરને જીવંત રાખવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.જેને ચિત્રા
(CHITRA)નું નામ આપવામાં આવ્યું છે. Center for the Study of Hindu Traditions આ સેન્ટર હિન્દુ સંસ્કૄતીને ઉજાગર કરે છે.ચિત્રામાં હિન્દુ સંસ્કૃતી માટેની શોધખોળ, બોધ અને લોકોને સમજાવાની જવાબદારી ઊઠાવે છે.આ સેન્ટર ફ્લોરઈડા યુનિવર્સીટીમાંથી નિષ્ણાંત લોકો લાવી એક નેટવર્ક ઉભુ કરે છે અને સ્કોલર લોકો લાવી રીસર્ચમાં નવાં કોર્સ આપવામાં અને સેમીનાર યોજવામાં મદદ લે છે.
માનનીય શ્રી દિનેશભાઈ શાહ આ યુનિવર્સીટિમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવાની કોશીશ કરી રહ્યા છે.અને આ કાવ્યમહોત્સવની શરુઆત ૨૦૧૨ માં થઈ હતી. નવેમ્બર ૧,૨૦૧૪ના દિવસે બીજો મહોત્સવ થયો હતો. સવારના ૯ વાગે કાર્યક્રમની શરૂઆત થઈ હતી.ડો દિનેશ શાહે સૌ પ્રથમ કાર્યક્રમનો ઉદેશ અને રૂપરેખા સમજાવી હતી.ડો દિનેશ શાહ ફકત વૈજ્ઞાનિક જ નથી પણ એક ઋજુ કવિ પણ છે.એમનો એક સંગ્રહ ‘પરબ પાણીના’ પ્રકાશિત થયો છે. એ સિવાય એમના ગીતોની ચાર ઓડિયો સીડી સ્વરાંકન થઈ છે જેમાં પુરુષોતમ ઉપાધ્યાય ,આશિષકુમાર અને કર્ણિક શાહના સ્વરમાં ગીતો ગવાયા છે. સીડી ‘ઓ ગૌરી’,’મેઘધનુષ’, ‘ત્રીવેણી સંગમ’ અને ‘દિવસે દીઠેલાં સપનાં’નો સમાવેશ થાય છે. ડો. દિનેશ શાહના ૩૫ જેટલા ગીતો યુ ટ્યુબ પર સાંભળી શકાય છે.ડો વસુધાબેન નારાયણે સૌનું પ્રેમપૂર્વક સ્વાગત કર્યુ હતું. ટૂકાણમાં એમણે હિન્દુ કલ્ચર અને ફ્લોરીડા યુનિવર્સીટીનો ફાળો અને ગુજરાતી ના હોવા છતાં ગુજરાતી ભાષા પ્રત્યે વ્હાલ અને પ્રેમ દર્શાવ્યા હતાં. આ કાર્યક્રમનો ખાસ હેતુ ગુજરાતી ભાષાને જીવંત રાખવા અને યુનિવર્સીટીમાં ગુજરાતીને સ્થાન અપાવાનો હતો.૨૦૦૩ દિનેશભાઈએ ૩૦૦,૦૦૦ થાઊઝન્ડ ડોલરસ જમા કરી આ સેન્ટર બનાવેલું પણ હજુ આ સેન્ટરને ફંડની જરૂર છે.

બે દિવસના આ કાર્યક્રમમાં પાંચ જુદાં જુદાં વિભાગ પાડવાંમાં આવેલાં. સૌ પ્રથમ પહાડી અવાજ સાથે શ્રી કૄષ્નભાઈ દવે એ માઈક સંભાળ્યું. એમણે ‘આવો મારી સાથે આવો, પહેરી લો પવન પાવડી છંદ લયની,આપણે તો આવળ બાવળ,વિહંગ જેમ પાંખો પ્રસારીને બેઠાં,લ્હેરખીને શ્વાસમાં ભળવું હતું,બંધ બારણાં ખોલો જ નહીં તો શું થાય,અને નરસિંહ મહેતાના ઝૂલણા છંદમાં ” બે ઘડી ડાળ પર બેસવું ટહૂકવુ કેટલું સહજ છે એજ હું જોઉં છું.”કૄષ્નભાઈ બોલવાની છટા અને રમૂજી અદાથી લોકો આનંદમાં આવી ગયાં. આખો હોલ હાસ્ય અને તાળીઓનાં ગડગડાટથી ધ્રુજી ઉઠ્યો.મહાભારતની માથાકૂટ કરાવી બધાના મહાભારતના જ્ઞાનની ચકાસણી કરી.છેવટે ‘બે ઘડી વાતો કરી, દિલને બહેલાવી નીકળી ગયાં’ ગઝલ સાથે એમણે સમાપન કર્યુ.
પછી સ્નેહલતાબેન પંડ્યા સ્ટેજ પર આવ્યાં. સ્નેહલતાબેન ખૂબ જ મીષ્ટભાષી અને મૃદુ બોલવા વાળા છે એમણે કહ્યુ હતું કે કોઈપણ કાર્યક્રમ યોજવા માટે અથવા કોઈ પણ ગોલને પહોંચવા માટે ત્રણ પ્ર્કારના લોકોની જરૂર પડે છે જેમાં પહેલો પ્રકાર જે લોકો દોડાદોડી કરી શકે બીજો પ્ર્કાર જે પૈસા આપી શકે અને ત્રીજૉ પ્રકાર કાર્યક્રમને સરસ રીતે આયોજીત કરી શકે અને એમણે ગૌરવભર કહ્યુ હતું કે આ ત્રણે ગુણ ડો શ્રી દિનેશભાઈ શાહમાં છે.એમનાં મૃદુ અવાજમાં એમણે ઈશ્વર પ્રેમ અને કુદરત વિષે કવિતાઓનું પઠન કર્યુ જેમાં ‘તમે આવો તો અંધારા ઓરડામાં એક સવાર થઈ જાય’,સૂતેલાં સપનાંને ઢંઢોળ્યા,છૂપી પોટલીઓથી ઢોળ્યાં,કેસરવાટકડીમાં ઘોળ્યાં,આ વિધ વિધ રંગો કોને ઢોળ્યાં’ અને અમે તો ઊડતાં પંખી’. એમના મૃદુ અવાજે સૌના દિલ જીતી લીધાં.
ત્યારબાદ કવિ,વૈજ્ઞાનિક ડો શ્રી દિનેશભાઈ શાહે પોતાની લાગણી સભર કવિતા લોકોને સંભાળાવી જેમાં ‘આગિયાના તેજ પર અને આ આગિયો ઝબકીને ખરતો, તથા ‘સાથી વિનાનું જીવન , ઝાંઝવાનાં જળ જેવું’ જે મારી આંખને ભીની કરી ગયું.અને સુવર્ણાબેનની યાદને તાજી કરાવી દીધી.તે સિવાય ‘માણસાઈના દિવા ઝળહળતા યુગો સુધી’, અને માટી તારી આ જેલને મહેલ સમજુ ક્યા સુધી’ જેવા સંવેદનશીલ ગીતો રજૂ કર્યા હતાં.

અગિયાર વાગ્યે એક નાનકડાં કોફી બ્રેક પછી, ડો. દિગેશ ચોક્સી અનેશ્રી હિંમતભાઈએ કાર્યક્રમનો બીજો દોર સંભાળ્યો.જેમાં ગેઈન્સ્વિલ સાથે ૨૦૦૩ થી જોડાયેલ ડલાસના એક સારા ગઝલકાર સ્વ.હિમાંશુભાઈ ભટ્ટની ચિરવિદાયને એક વર્ષ પૂરું થયુ હોઈ તેમના સાથી તેજલબેન ભટ્ટની હાજરીમાં શબ્દાંજલિ અર્પવામાં આવી. દિનેશભાઈ અને સ્નેહલતાબેને સ્વ.હિમાંશુભાઈની ગઝલના શેર સાથે જૂની વાતોને તાજી કરી વાતાવરણને ભીનાશથી ભરી દીધું. દિનેશભાઈએ ખુબ હ્રદયસ્પર્શી અને ઇશ્વરને પ્રશ્નાત્મક કવિતા સંભળાવી કે,
ધૂપસળી જેવું જેનું જીવન હતું, હવે ધૂપ જલાવો શા માટે? આંખોના તેજ બૂઝાઈ ગયાં, હવે ઘીના દીવા શા માટે?
‘મળે કદી જો જીવનમાં તો ઇશ્વરને મારે પૂછવું છે, કે સારા માનવની વૈકુંઠમાં તને જરૂર પડે છે શા માટે?’ તે પછી દિગેશભાઈ ચોક્સીએ ભાષાની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને “ગુજરાતી ભાષાના ચીર ખેંચાઈ રહ્યાં છે” ની ઘણી માર્મિક વાત અને હિંમતભાઈ પારેખે પણ’ મૂઠી ઉંચેરા માનવી’ ના એવોર્ડની વાત કરી.

‘ગુજલીશ’ શબ્દ કદાચ શ્રી અદમભાઈ ટંકારવીના શબ્દકોષમાંથી મળી આવ્યો હશે.તો ‘ગુજલીશ’ ના પ્રણેતા અને અનેક સાહિત્ય પારિતોષિક જીતનાર ,બાર સંગ્રહ જેમનાં પ્રકાશિત થઈ ચૂક્યા છે અને આ બારે સંગ્રહનું એક કલેકશન ‘૭૮૬’ગઝલ સંગ્રહનું હાલમાં વિમોચન થયું છે. એવા શ્રી અદમભાઈએ માર્મિક ગઝલનો મારો ચલાવ્યો અને શ્રોતા હાસ્યથી લોટપોટ થઈ ગયાં.તેમણે કહ્યુ What poem means is what poem does! તેમણે પ્રેમ વિષયથી સર્વને ભીંજવી દીધાં.રમેશ પારેખ બાલમુકુંદ દવે અને મુકુલ ચોકસીની યાદગાર પંક્તિઓ બોલી માહોલ બાંધી દીધો. ‘ગુર્જરી જામ છલોછલ છું, સાથે બેસી પીનાર શોધું છું.”જ્યારે જ્યારે તું હની ખીજાય છે, ગોબલ વોર્મીંગ થઈ જાય છે,અને તું નથી એનો અંજામ સનમ,ગામ પણ લાગતું પરગામ સનમ,અને ‘બાઈબલ ખોલું ને સીતા નીકળે, રામાયણ ખોલું ને ફરીશ્તા નીકળે’ જેવી કટાક્ષ અને હ્ર્દયને અડીને નીકળી જાય એવી કવિતાઓ સાંભળી શ્રોતાનો ઉત્સાહ અને જુસ્સો વધતો ગયો. નીચા સ્વરમાં પઠન કરતા અદમભાઈના કવિતા પઠનથી શ્રોતાઓ મદહોશ થતા ગયા.શ્રોતાની માંગણીને માન આપી શ્રી કૄષ્ન દવે ફરીથી મંચ પર આવ્યા અને બાળગીતોની રમઝટ બોલાવી જેમાં “એક મંકોડાએ મીટીંગ બોલાવી” અને “લીમડાને આવી ગયો તાવ” બાળગીતનો સ્માવેશ થાય છે.અદમભાઈએ આવી રઈશભાઈની અને પોતાની હઝલ સંભળાવી.

ત્યારબાદ જેનું નામ દુનિયાથી અજાણ નથી એવાં ૧૧૨ દેશનાં પ્રવાસિની કવયિત્રી પ્રીતિ સેનગુપ્તા મહેફીલની રોનક વધારવા હાજર થયાં.તેમણે ‘સોનેરી પાંજરુ અને રૂપેરી બારણું ઉંચેરી ડાળીથી ઝુલ્યાં કરે’ અને એક નામ વગરનું પંખી,વિરામ વગરનું પંખી’ એવા બે પંખીગીત સંભળાવ્યા..એમની દેશવિદેશની યાત્રા દરમ્યાન નવાં નવાં પંખી અને નવાં નવાં વૃક્ષ જોવા મળે એની વાતો વચે વચે કરી એમણે કાર્યક્રમને રસપ્રદ બનાવ્યો હતો.‘સૂરજને વરસાદમાં ન્હાવું હોય એમ બને, મેઘધનુ પરથી સરકવું હોય એમ બને’ ‘મારા અંતરમાં એવું તે ઉગજો કે કાંટા યે હરિયાળા થાય’જેવું હ્ર્દયસ્પશી ગીત સાંભળી લોકો મુગ્ધ થઈ ગયાં હતાં.ઉત્તરધ્રુવના સ્થળે લખાયેલ ચિરપ્રેમની કવિતા અને ગુજરાત પર એક ‘રાજ્યગીત’ સાથે એમણે સમાપન કરેલું.

ત્યારબાદ લંચબ્રેક થયો. જેમાં ડો દિનેશ શાહ અને સુવર્ણાબેનની દીકરી બીજલે મહેમાનગતીમાં કશી મણા ના રાખી બધાંને ભાવતા ભોજન જમાડ્યા. અહી દિનેશભાઈની કહેલી એક વાત યાદ આવી ગયા કે સુવર્ણાબેનને પરોણાગતીનો ખૂબ શોખ હતો. તો માં ના બધાં ગુણ દીકરીમાં ઉતર્યા છે.બીજલે બધાને ખૂબ આગ્રહ કરી પ્રેમથી જમાડ્યાં.
ભોજન બાદ હ્યુસટનથી આવેલા શ્રીમતી ઈન્દુબેન શાહ મંચ પર પધાર્યા. ઈન્દુબેન એક ડોકટર અને કવયિત્રી પણ જે ખાસ કરીને આધ્તાત્મીક કવિતાઓ અને ઈશ્વર પર લખે છે.એમના બે સંગ્રહ પ્રકાશિત થયાં છે.તેમણે ભાસ આભાસ માથી પાનખર, વિદાય સૂરજ,સત્સંગી છત્રી,મનસા અને ભાસ-આભાસ વિગેરે કવિતાઓ સંભળાવી.‘મનની મનસા ભારે, વણઝાર સતત રાહ ચાલી’,‘કિનારે જાઉં કે નદીમાં તરું? તટે સ્થિર ઉભી આ શું વિચારો કરું?’ અને ‘આયનો કહે પિંજર જીર્ણ છે તારું, જીવ કહે કામ ઘણું બાકી છે તારું’ વગેરે કવિતાઓ સરસ રીતે રજૂ કરી. એક મઝાની અંગત ખુશીની, લગ્નના ૪૫ વર્ષની ઉજવણી પર રચેલ રોમેન્ટિક કૃતિ ખુશીખુશી, ગુલાબી રીતે રજૂઆત કરી સૌને આનંદ પમાડી ગયાં.
પછીના સેશનમાં દસ જેટલા કવિઓએ પોતાની એક એક રચના રજૂ કરી.ડો સુમનભાઈ પંડ્યાએ “ધરી નવલખી હીરા, ગાતી છંદો ધીરા…નીસરી અંબર કન્યા લઈને મંજીરા’ ગીત ગાયું.
જેમાં સોનલ રાના જે ફીજીથી આવેલી છે એને તોતડી મીઠી ગુજરાતીમાં એક સરસ કવિતા સંભળાવી. એ યુવતીના મુખે થી ફૂલ ઝર્યા અને લાગ્યુ કે ગુજરાતી કદી મરશે નહીં
શીતલભાઇના મુક્તકો પર કે ‘કોઈ ક્યાં કોઈને નડતું હોય છે, આભ ક્યાં ધરતીને નડતું હોય છે. એક સિક્કો આંખને આંજી ગયો, સુખ રસ્તા પરથી મળતું હોય છે.’ શ્રોતાએ એમને ખૂબ જ આનંદથી સાંભળ્યાં.
ચોથા દોરમાં હ્યુસટ્નથી આવેલા સાહિત્ય સરિતાના સક્રિય મેમ્બર અને વેબગુર્જરીના એડીટર શ્રીમતી દેવિકાબેન ધ્રુવ ૩૦ મિનિટની રજૂઆતમાં મેદાન મારી ગયાં. શરુઆતમાં આપણા મહાન કવિઓ સુંદરમ, બાલાશંકર કંથારિયા, ‘બેફામ’વગેરેની અમર પંક્તિઓ અને શેરથી વક્તવ્યની પૂર્વભૂમિકા બાંધીને ખુબ કલાત્મક રીતે,અવાજના સુંદર આરોહ અવરોહ થકી પ્રકૃતિ,પ્રેમ,પરમતત્ત્વ અને જીંદગી વિષયક સ્વરચનાઓ સંભળાવતા ગયાં, શ્રોતાઓની ‘દુબારા’ વારંવાર પામતા ગયાં. વિષયને સાંકળીને હાજર રહેલાં કવિઓની પંક્તિઓને પણ સાથે ગૂંથી લઈને એક મઝાનો રંગ હળવાશથી ભરતા ગયાં. સ્વરકાર શ્રી કર્ણિક શાહે સ્વરબધ્ધ કરેલી તેમની કેટલીક પંક્તિઓની ઝલક ઃ ‘પલપલ શબદ લખત મનભાવન, ઝરત પ્રીત મન કરત પાવન’, ‘દૂરથી સોહામણું ને પાસથી બિહામણું, જીંદગીને ભવ્યાથી માપતું નગર જુઓ’.તથા ‘તડકો વીંટીને અંગ બેઠા’તા સંગ સંગ’… ’જેવી મળી આ જીંદગી જીવી જવાની હોય છે, સારી કે નરસી જે મળી શણગારવાની હોય છે’ અને ‘કવિતા ફૂટતી ક્યાંથી સુહાની વાત રહેવા દો, નકામા માંડ રુઝાયેલ ઘાની વાત રહેવા દો.”વગેરે..આ સાથે કવિતાના દોરની પુર્ણાહુતી થઈ.સૌ છૂટાં પડ્યાં ફરી મળવા માટે ..
સાંજે ૬.૩૦ ફરી મળ્યાં.બેનક્વેટ હોલમાં જેમાં કોલેજ ઓફ લીબરલ આર્ટસ અને સાયન્સના ડીન શ્રી ડેવિડ રીચાર્ડસન, અતિથિવિષેશ તરીકે “દેશવિદેશ’ના મેનેજીંગ તંત્રી શ્રી રાજ અને અરુણા શાહ તથા સેવાભાવી, એવોર્ડ વિજેતા ડો. ભાલાણીની હાજરીમાં ભોજન, સંગીત સંધ્યા અને કેટલાંક પુસ્તક-વિમોચન કરવામાં આવ્યા. જેમાં મારા સંગ્રહ ‘સમી સાંજનાં સપનાં’નું પણ વિમોચન થયું.કવિઓને સન્માન-પત્ર માનપૂર્વક એનાયત કરવામાં આવ્યા.શ્રી કર્ણીક શાહે દરેક કવિઓ માટે એમની રચનાને કંપોઝ કરી મધૂર સ્વરાંકન કરેલું.શ્રી કર્ણિક શાહના સંગીતની મસ્તી માણતા સૌ ઝુમી ઉઠીને, ગરબા-રાસની લ્હાણ માણી રહ્યા. અંતે પ્રથમ દિવસનો કાર્યક્રમ રાતના ૧૦.૩૦ વાગે પૂરો થયો.

દેવિકાબેનના શબ્દોમાં કહુ તો”બીજા દિવસે એટલે કે નવે.ની બીજી તારીખે સવારે ૯ વાગે કવિતાનો પાંચમો દોર, આમંત્રિત બાનુમા ‘સપના’ વિજાપુરા( શિકાગો)થી શરુ થયો. તેમણે પોતાની મંદ મંદ મુસકાનથી ‘મઘમઘતો પવન તારા જ સ્મરણો લાવશે,આજ મધુકર અને સુમન તારા જ સ્મરણો લાવશે” અને ‘હોય છે આંસુમાં અગન કોણ માનશે? તો ય હસતા હોય છે વદન,કોણ માનશે?’થી સુંદર ઉપાડ કર્યો. વતન પ્રેમની વાતમાં ‘જનતા અહીં પળપળ મરે, આ દેશ આઝાદ ક્યાં છે? અને સૌ ધર્મને નામે ચરે, આ દેશ આઝાદ ક્યાં છે? ની ખુબ ધારદાર રજૂઆત કરી તો વળી પુત્ર પ્રેમની અતિ કોમળ વાત ‘ઓ કલેજાના ટૂકડા તને ઉડવા ગગન આપું, ખુશ્બુ પ્રસરે દૂર પાંખોમાં પવન આપું’ કવિતા ખુબ મ્રુદુતાથી સંભળાવી. આ ઉપરાંત તેમણે સ્ત્રી વ્યથાનું એક અછાંદસ અને બે હિન્દી રચના પણ સુપેરે વાંચી. ‘ખુલી આંખના સપનાં”અને ‘સમી સાંજના સપના નામના’બે કાવ્ય-સંગ્રહના સર્જક સપનાબેન એક અતિ સંવેદનશીલ કવયિત્રી છે.
છેલ્લો દોર આમંત્રિત સર્યૂબેન પરીખથી શરુ થયો. સર્યૂબેન હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતા સાથે શરૂઆતથી જ જોડાયેલાં છે પણ હાલ ઓસ્ટીનમાં રહે છે. તેમણે પહેલી પ્રીતના જુવાળની કવિતાથી વાતાવરણમાં તાજગીનો રંગ ભરી દીધો. એક સ્નેહાળ હ્રદયની વાત ‘સ્નેહના વહેણને કોઈની શર્ત નહિ’ રજૂ કરી. તો સંમતિ-લગ્ન અંગે ‘પસંદ-પરમાણ ને પછી પ્રેમ આવશે’ ની એક ઉંચેરી વાત કહી. ‘તું મને દેખે ન દેખે’માં ઇશ્વરને સંપૂર્ણ સમર્પણની અભિવ્યક્તિ વર્ણવી તો ધ્યાન અનુભવની ‘ખુલી આંખના અંધારે ટમટમતો ઝાંખો એક દીવો’ અને ‘નિરાશાના અંધારા ઓરડે એકલતા દર્દની દિવાલે’ તથા ‘આતુર આંખો રે મારી બારણે અથડાય’ એવી જુદા જુદા વિષયોને આવરી લેતી રચનાઓ રજૂ કરી. ‘રૂઠતી પળોને સમેટતી હું વાટમાં’ માં મૃત્યુનો સંકેત અને ‘નહિ રે કરો મારા કાનાની વાત’માં માતૃભાવ તો વળી મધુમાલતી મગન ઝુલતી ફરી’માં પુષ્પ-પ્રેમ અને ‘ફરી મળ્યાની તક મળી, તકલીફ ના ગણો’માં મૈત્રીભાવ સુંદર રીતે રજૂ કર્યા.સર્યુબેન એક લાગણીશીલ સાહિત્યકાર છે.સર્યુબેન કવિતા લખવા સિવાય સત્યઘટના પરથી વાર્તા પણ લખે છે અને થોડાં સમયમાં એમની એક ઈંગ્લીશમાં નોવેલ પણ પ્રકાશિત થવાની છે.
લોક લાગણીને માન આપી ફરી એકવાર કૄશ્નભાઇએ અને અદમભાઈએ કવિતાની રમઝટ બોલાવી.અંતમાં શીતલભાઈએ બે ત્રણ ગઝલ અને મુકતકનું પઠન કર્યુ. જેમાં
‘બોસ,સાચે તમે મઝામાં છો? કે મઝાના હજી નશામાં છો? આપણે ચાલતા હતા ત્યારે કેમ લાગ્યું કે તમે સહેજ હવામાં છો?’ અને ‘દોડતા દોડતા હાંફવાનું નહિ, જીંદગી જીવતા થાકવાનું નહિ. આથમે સૂર્ય માથે ચડેલો છતાં રાત થઈ એમ ધારવાનું નહિ’ બીજા પણ બે સુંદર મુક્તકો સંભળાવી આ છેલ્લો દોર અને કાર્યક્રમ પણ પૂરો કર્યો. આભાર અને સહ ભોજનનો આનંદ માણી સહુ વિખરાયા.
ગુજરાતીને જીવંત રાખવા ડો. દિનેશભાઈ શાહ અને વસુધાબેનના આ કાર્યને વિશ્વની દરેક યુનિવર્સીટીએ અપનાવી લેવા જેવું છે.કાલે ઉઠીને દરેક બાળકને ગુજરાતી બોલતું કરીએ તો આપણને શાંતિ થાય કે ગુર્જરીના ચીર કોઈ દુશાસન નહીં ખેંચી શકે..
સપના વિજાપુરા

Subscribe to Comments

2 Responses to “પોએટ્રી ફેસ્ટીવલ ગેઈન્સવિલ, ફ્લોરીડા”

  1. સપના,
    વાહ! બહુ સુંદર.
    સરયૂ

     

    Saryu Parikh

  2. ખુબ વિગતવાર અને સુંદર અહેવાલ…

    કાર્યક્રમની એક ઝલક જાણે ઊભી થઇ ગઇ..

     

    અશોક જાની 'આનંદ'

Leave a Reply

Message: